Showing posts with label નસકોરાં. Show all posts
Showing posts with label નસકોરાં. Show all posts

Tuesday, March 24, 2015

અથશ્રી નસકોરાં કથા ..

થોડા દિવસ પહેલા એક મિત્રને મળવા જવાનું થયું. બધા ગપાટા મારતા હતા અને અચાનક નસકોરા બોલતા હોય એવો અવાજ આવવા મંડ્યો . અમે ઘડિયાળ માં જોયું . રાત્રીના ૧૦ થયા હતા એટલે યજમાન મિત્રના ઘરમાં કોઈનો સુવાનો સમય હશે એમ માન્યું પણ વળી જોયું તો યજમાનના દરેક કુટુંબીજનો તો અમારી સાથે બેઠા હતા તો આ નસકોરા કોણ બોલાવતું હતું ? શું અમારી વાતો એટલી બધી કંટાળાજનક હતી કે કોઈ સુઈ જાય એવો સંદેહ પણ જાગ્યો અમારા મનમાં . થોડીવાર સુધી તો તાલબધ્ધ નસકોરા ને ગણકાર્યા વિના વાતો ચાલુ રાખી પણ પછી અમારી ધીરજ ખૂટી અને યજમાન ને આ નસકોરા કોના છે એમ પૂછી જ પાડ્યું . યજમાન અમારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા . જરાવાર રહીને એમને ખ્યાલ આવ્યો કે અમે નસકોરા ના માલિક વિષે પૂછી રહ્યા હતા એટલે એમણે ફોડ પાડ્યો કે " અમારો ડોગી છે , એ સુઈ જાય ત્યારે આવા નસકોરા બોલે છે " આ પછી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે માણસ સિવાય કુતરા , બિલાડા , ગાય , બળદ , ઘેટા , ભેસ , હાથી , ચિત્તા , વાઘ , વાંદરા , ઘોડા, ખચ્ચર અને ઝેબ્રા પણ નસકોરા બોલાવવામાં સક્ષમ છે .


નસકોરા બોલાવવાના કારણો / ઉપાય વિષે વિશ્વમાં ઠેર ઠેર સંશોધનો થયા હશે પણ નસકોરા બોલવાની શરૂઆત એકઝેટ ક્યારથી થઇ હશે એ વિષે સંશોધન પ્રિય દેશ અમેરિકા ય સાવ અજાણ છે . નસકોરા બોલવાની શરૂઆત ક્યારથી થઇ એ તો યક્ષપ્રશ્ન છે પણ એની શરૂઆત ચોક્કસપણે નાકથી થઇ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .

અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ ' એ હું નહિ ' વાળું રટણ લગભગ દરેક નસકોરાવીર કરે છે . અતિશય થાક અથવા શ્રમ કર્યા પછી નસકોરા બોલવા એ સામાન્ય છે પણ એ સિવાય નસકોરા બોલાવા એ ભવિષ્યની બીમારીઓ તરફ ઈંગિત કરે છે. જે વ્યક્તિ ચરબીયુક્ત હોય , મેદસ્વી હોય એને નસકોરા બોલવા એ સહજ બાબત છે પણ એ વ્યક્તિઓના તીણી સિસોટી જેવા અવાજના નસકોરા બોલતા હોય એવું ય બને તો કોઈને રીક્ષાની ઘરઘરાટી જેવા , કોઈ ને શ્વાસ લેતી કે છોડતી એમ બેય વખત તો કોઈને બે માં થી એક જ વાર નસકોરા બોલે એમ બને. મોટાભાગે આ નસકોરાના બ્યુગલ થોડીવાર સતત સંભળાય પછી એના માલિક ઝબકી જાગી જાય એટલે એ પડખું ફરી જાય ને નસકોરા બંધ . વળી પાછા થોડીવાર રહીને રામ એના એ .


આપણા દેશમાં સહનશીલતાનો મહિમા દરેક ક્ષેત્રમાં વર્ણવાયો છે અને લગ્નસંસ્થા પર અતુટ વિશ્વાસ હોવાથી પતી-પત્ની બેમાંથી એક ને પણ જો નસકોરા બોલતા હોય તો બીજું પાત્ર મોટેભાગે ચલાવી લે છે . મારા એક મિત્રને નસકોરા ખુબ બોલે . એમના પત્નીની સહનશીલતા ની હદ આવી જાય ત્યારે એ પતિદેવને રીતસર હચમચાવી નાખે એટલે ભાઈ સફાળા જાગી જાય. જરાવાર તુતુમેમે ચાલે પછી બધું થાળે પડે . મિત્ર કોઈ પણ હિસાબે માનવા તૈયાર જ નહિ કે પોતાને આટલા બધા ભૂંગળા જેવા નસકોરા બોલે છે એટલે મીત્રપત્નીએ એક રાત્રે મિત્રના જ સ્માર્ટફોનમાં એમના નસકોરાનો ધ્વની રેકોર્ડ કર્યો . બીજા દિવસે સવારે ચા પીતી વખતે મેડમે પેલી રેકર્ડ ચાલુ કરી. મિત્રને એમ કે કોઈના નસકોરા છે એટલે એમણે સહજ પૃચ્છા કરી કે આ મિલના ભૂંગળા કોના છે . " તમારા " મીત્રપત્ની ઉવાચ . મિત્ર તો ચા કરતા ય વધારે ગરમ થઇ ગયા . ખાસ્સી રકઝક પછી એમણે સ્વીકાર્યું કે પોતાને નસકોરા બોલે છે . નસકોરાના ત્રાસને લીધે આપણા દેશમાં દંપતીઓના છૂટાછેડા નોંધાયા નથી પણ વિદેશોમાં તો છૂટાછેડા માટે આ એક મજબુત કારણ છે . ત્યાની પ્રજાની સહનશીલતા એક તો ઓછી અને એમાં ય લગ્નજીવન કરતા શાંતિથી ઊંઘવાનું એમને મન વધુ અગત્યનું છે !!!!!

ઘણીવાર આવા નસકોરા વીર સિનેમાગૃહ કે બસ / ટ્રેન માં ય ભટકાઈ જાય . સિનેમા જોવા આવે પછી કંટાળો આવે એટલે ઊંઘ ક્યારે આવી જાય એ ખબર ન પડે અને ભેગા નસકોરા ય તાલબધ્ધ ચાલુ થઇ જાય. એકબાજુ સિનેમા ચાલતી રહે ને બીજી બાજુ નસકોરા. અમારા એક પાડોશીને જ્યારે પુરતી ઊંઘ ન મળે ત્યારે ગમે તે ફિલ્મમાં ઘુસી જાય . સસ્તામાં સસ્તી ટીકીટ ખરીદે અને જેવી ફિલ્મ ચાલુ થાય એટલે એ ઊંઘી જાય. હોલમાં એ.સી. ચાલુ હોય એનાથી એમને રાહત મળે અને સહ્પ્રેક્ષકોને ફિલ્મની સાથે સાથે મ્યુઝીકલ નસકોરા નો લહાવો ય મળે સાવ મફત માં !!!!. મારી જ વાત કરું તો મને બસ કે ટ્રેન માં બહુ ઝડપ થી ઊંઘ આવી જાય. વાહનની એકધારી ગતિથી મને સરસ ઊંઘ આવી જાય અને મારી સાથેના મને એમ કહે કે " કેટલા નસકોરા બોલાવે છે !!! " ત્યારે હું માનવા જરાય તૈયાર નથી હોતી કે મારે નસકોરા બોલતા હોય .
સામાન્ય રીતે નસકોરા બોલાવતા હોય એ લોકો બીજાના નસકોરા સહન કરી શકતા નથી. છાપાનાં પાના ફેરવવાના ફરફર જેવા અવાજ થી પણ એમને ભયંકર ખલેલ પહોચતી હોય છે માટે એ લોકો રુમ મા એકલા સુવાનુ વધુ પસંદ કરે છે

નસકોરા બંધ થાય એ માટે જાત જાતના દાવ અજમાવાતા હોય છે . દા.ત. નાસ લેવો. નાસ લેવાથી શરદીનો નાશ થાય છે અને નસકોરા બોલતા હોય તો એ બંધ થાય છે એવી વ્યાપક માન્યતા છે. 

શેક લેવો : ઘણા લોકો નાસ લઇ ન શકતા હોવાથી કપડુ ગોટો વાળીને તવી પર તપાવે અને એનો શેક લેતા હોય છે.પણ આવા બધા દાદીમાના નુસ્ખાઓનુ અનુસરણ કરવાના ઉત્સાહ અને જોશ પર ત્રણ ચાર દીવસમાં જ નસકોરા ફરી વળતા હોય છે અને નુસ્ખાઓ યથાસ્થાને જતા રહેતા હોય છે.
અંતમાં , આદીલ સાહેબની ક્ષમાયાચના સાથે એમના શબ્દોમાં જરા ફેરફાર સહીત એમ કહી શકાય કે .....

' જયારે ઊંઘની જગમાં શરૂઆત થઇ હશે ,
ત્યારે પ્રથમ નસકોરા ની રજૂઆત થઇ હશે ' !!!!!