Friday, April 15, 2016

કુડિયોં કા હૈ જમાના..મુંબઈ સમાચાર,૦૩/૦૩/૨૦૧૬ ગુરુવાર લાડકી section

થોડાં દિવસ પહેલાં સંસદમાં સ્મૃિત ઈરાનીએ બહુ ધારદાર સ્પીચ આપી માણસને વાઇરલ થાય એમ હવે સ્પીચોય વાઇરલ થવા લાગી છે. રાજકારણનાં આટાપાટા જે હોય એ; આ સ્પીચ વિરોધ પક્ષનાં નેતાઓને વાઇરલ થઈ જાય એવી તો હતી જ એવું રાજકારણનાં ખેરખાંઓ પણ બહારખાને-અંદરખાને સ્વીકારી ચૂક્યાં છે. ઘણી સ્ત્રીઓએ ઘરમાં પોતાનાં પતિનેય કહ્યું હશે. “સાંભળીને સ્મૃિતની સ્પીચ? સાંભળી લેજો અને સમજીય લેજો. કે અમે સ્ત્રીઓ કેવું કેવું બોલી શકીએ છીએ.” કેટલાય પુરુષોમાં લઘુતાગ્રંથિ લાવી દે એવા આશ્ચર્યકારક અને આગઝરતાં ભાષણો ભૂતકાળમાં સ્ત્રીઓએ આપ્યાં જ છે. આ ટાણે ઇંદિરા ગાંધીને યાદ ન કરીએ તો ચાલે જ નહીં. એકવાર સંસદ સત્રમાં એક સાંસદે કોઈ ઉગ્ર બોલાચાલીમાં મોરારજી દેસાઈને “જૂઠ્ઠા” કહ્યું. તરત જ ઇંદિરા ગાંધી પાટલી પછાડીને ઊભા થયા અને કહી દીધું કે “નેતાજી, તમે મોરારજીને જૂઠ્ઠાં કહેશો તો સાચાં કોને કહેશો?” આફરીન. એ સમયનાં રાજકારણનું અને રાજકારણીનાં સ્તરનો ખ્યાલ આ એક વાક્યથી આવી શકે છે. તો બીજી તરફ થાળી-વેલણ વગાડતી સ્ત્રીઓ.. જુદા જુદા આંદોલનો સમયે થાળી-વેલણ લઈને શેરીઓમાં ઊતરી પડતી આજની બહેનો. આ ડ્રમ બૅન્ડવાળી બહેનો જો જરા સ્વસ્થ ચિત્તે વિચારે તો એમને ખ્યાલ આવશે કે જે થાળી પર એમણે ભવોભવની દાઝ કાઢીને ટીપ્યાં હોય એવાં થાળી-વેલણ. આંદોલનોની તો જે અસરો થવાની હોય તે થાય પણ થાળી પર વેલણ પ્રહારની અસર ચોક્કસ થાય છે અને થાળી ફરી ડાયનિંગ ટેબલ પર મૂકવા લાયક રહેતી નથી. થાળી એટલી બધી ગોબાવાળી થઈ જાય, કાનાવાળી થાળી ખાનાવાળી થાળીમાં તબદિલ થઈ જાય ને સરવાળે તપેલી ઢાંકવાનાં કામમાંય આવે કે કેમ એ પ્રશ્ન. દાઝ કાઢવાની આ પ્રથા આમ વાઇરલ થઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હકિકતમાં થાળી-વેલણની કથા એવી છે કે પતિને ગરામગરમ રોટલી-ભાખરી જમાડવાનાં અભરખાં ધરાવતી પત્નીને ડાઇનિંગ ટેબલ પર બેઠલો પતિ બૂમ પાડે કે “હજી કેટલી વાર છે?” ને જવાબમાં હોંશિલી પત્ની જવાબ આપવાને બદલે ભાખરી-રોટલી વણતાં વણતાં જ વચ્ચે થાળી પર એક-બે ટંકારવ કરીને જવાબ આપે તે પતિ સમજી જાય કે બસ હવે થાળી પીરસાવાની તૈયારી જ છે. જો કે આજે તો રોટલી ભાખરી ગરમામાંથી નીકળીને એ ખાસ્સો સમય ગરમ રહે એવા પાત્ર “કેસરોલ”માં ગોઠવાઈ ગઈ છે. એટલે પતિ કે કુટુંબીઓ જમવા બેસે ત્યારે “કેસરોલ”માં ભાખરી/રોટલી તૈયાર જ હોય. ખોલીને લઈ લેવા જેટલી જ વાર થાય. ને શરીર પર વધેલી ચરબી ઓછી કરવા કાને ભૂંગળા ભરાવીને બહાર બગીચામાં “walk” લેતી પત્નીને જોતાં જોતાં પતિએ જમી લેવાનું. આને કહેવાય વિકાસ! નવી નવી ટેક્નોલૉજીઓનો લાભ પુરુષોને મળ્યો છે એનાં કરતાં વધારે સ્ત્રીઓને મળ્યો છે. અથવા એમ કહો કે એ લોકોએ લઈ લીધો છે અને પુરુષોએ એ વિશાળ હૃદયે કે હૃદય પર પથ્થર રાખીને સ્વીકારી પણ લીધું છે.

સ્ત્રીઓને દુષ્ટાત્મા ચિતરવાનું કામ જેટલું એકતાકપૂર અને અન્ય ટીવી સિરિયલ્સે કર્યું છે એટલું તો બીજા બધાએ ભેગાં થઈનેય નહીં કર્યું હોય! રોજ સાંજે 7થી 11 દરમિયાન પ્રસારિત થતી વિવિધ ચેનલો કરતાય વધુ ઝડપે ગળા નીચે ઊતરી જશે. જોરદાર કાંજી પાયેલી કડક કે બનારસી રોલાં ને ભારેખમ દાગીનાવાળી ચરબીથી ફાટફાટ થતી મહિલાઓ કે પેન્સિલનેય કૉમ્પલેક્સ લાવે તેવી પાતળી કે કુપોષણથી પીડાતી છોકરીઓને જાતજાતનાં કાવાદાવા કરતાં જોઈએ તો દરેક સ્ત્રી આવી જ ગણતરીબાજ કે કાવાદાવાવાળી હશે એમ માનવા પ્રેરાઈએ. હકીકતમાં ટીવીની સ્વીચ બંધ કરીએ એટલે આ કાવાદાવાય એમાં જ પૂરાઈ જાય છે. ગાંધીજી સાથે ડૉક્ટર તરીકે ડૉ. સુશીલા નૈય્યર કે દેશનાં પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલા ય આ દેશનાં જ રતન છે.

આવાં કંઈ કેટલાંય મુદ્દાઓ વિચારતાં વિચારતાં ભટ્ટજી કમ્પાઉન્ડમાં ટહેલી રહ્યા હતા. એટલામાં હસુકાકા પ્રગટ થયાં.

“શું ભટ્ટજી? કેમ છો?”

“બસ જુઓ કાકા... ચાલુ છું...”

“હા તે એ તો દેખાય છે મનેય. હું એમ પૂછતો હતો કે શું લાગે છે?”

“શેનું?”

“શેનું તે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એનું.”

“એ દિવસે મારે એક જગ્યાએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે સ્પીચ આપવાની છે તે વિશે જરા મનોમંથન ચાલી રહ્યું હતું.”

“અચ્છા. ભાષણ આપવાનાં છો એમ? એમાં કહેજો કે સ્ત્રી એટલે દેવી. એની પૂજા કરવાની હોય. એને માથે બેસાડવાની હોય. નહીં કે એને હડધૂત કરવાની કે એની સાથે ખરાબ વર્તણૂક કરવાની. ખરી હિંમત શરીરનું પ્રદર્શન કરવામાં નહીં પણ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં છે.”

“કાકા.... ભાષણમાં ચાલો એવા છો.”

“બસ, બસ ભટ્ટજી... ચણાનાં ઝાડ પર ના ચઢાવો. જેએસકે.”

“હા કાકા, TTYL”

“એટલે શું ભટ્ટજી?”

“ટોક ટુ યુ લેટર”

“વાહ, ભટ્ટજી... નવું લાયા હોં.. બાકી..”

કાકા ગયા અને ભટ્ટજી પાછાં વિચારવા લાગ્યાં. પ્રતિમા બેદીએ એના જમાનામાં જૂહુનાં દરિયાકિનારે દિગંબર અવસ્થામાં દોડવાની હિંમત કરેલી એવી પબ્લિસિટી સ્ટંટની હિંમતો કરતી સ્ત્રીઓની સંખ્યામાં આજે ઘણો વધારો થયો છે. પુરુષોની મોનોપોલી હોય એવા અનેક ક્ષેત્રોમાં આજે સ્ત્રીઓ વટથી પ્રવેશી ચૂકી છે અને સફળ પણ થાય છે. હમણાંનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો નવો અધ્યાય શરૂ થયો છે. સ્ટૅન્ડઅપ કૉમેડીમાં ધીરે ધીરે અદિતી, પ્રીતિ દાસ, જેવી હિંમતવાન છોકરીઓએ ગજુ કાઢવા માંડ્યું છે. આ પ્રકારનાં કૉમેડી શૉમાં અશ્લિલતા ગમે એટલો પ્રયત્ન કરો તોય આવી જ જાય છે. પત્ની કે સ્ત્રીઓને સૉફ્ટ ટાર્ગેટ માનીને અઢળક મજાકો થઈ હશે, થતી રહી છે અને થતી આવશે એવા આ સમયમાં સ્ત્રીઓ પોતે જ આ ક્ષેત્રમાં આવીને કરારો જવાબ આપે એ અત્યંત જરૂરી છે. ગાંધીજીએય સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર લાવવાની હિમાયત કરી છે. હવે તો ભારતીય કાયદોય દીકરીને પૈતૃક મિલકતમાં સમાન હક્ક આપે છે. દહેજ પ્રજાનો વિરોધ કરતી એક દીકરીએ પરણવા આવેલાં મુરતિયાને લીલા તોરણે પાછો કાઢ્યો હતો. પરદેશોમાં નારી સ્વાતંત્ર્ય વિશે જરા જુદા ખ્યાલો છે. ત્યાં સ્ત્રીઓ એકલી ફરવા નીકળી પડે કે એકલી જ કુંવારી રહે તો કોઈ કંઈ પૂછતું નથી. જાપાનમાં એક છોકરીને એકલાં જ રહેવું હતું એટલે મૅડમ ઇન્ડોનેશિયા પાસે કોઈ સાવ નિર્જન ટાપુ પર પહોંચી ગયા. અથડાતાંકુટાતાં ત્યાં પહોંચી તો ગયા પણ પછી આ વધારે પડતું થઈ ગયું એવી સમજણ આવતાં બહેનને 19 દિવસ લાગ્યાં. 19 દિવસ પછી બહેન વતન પરત થયાં. છાપામાં આટલાં જ સમાચાર છે. પણ એની વિગતે તપાસ કરી તો જાણવા મળ્યું કે બહેન સેલ્ફી ફોટા પાડવાની સવલત છીનવાઈ જવાથી ડિપ્રેશનમાં આવી જાય એમ લાગતું હોવાથી 19મા દિવસે જ પરત આવી ગયેલાં. સ્ત્રીઓ પાસે જે આંસુ અને જીભ એ બે એવા વિનાશી હથિયાર છે કે જગતનું કોઈ વિજ્ઞાન એની નકલ નહીં કરી શકે. પણ “દ્રૌપદીએ જો જીભ પર અને સીતાએ આંસુ પર સંયમ રાખ્યો હોત તો જગત મહાભારત સાથે રામાયણ નામનાં મહાકાવ્યોથી વંચિત રહી ગયું હોત.” ભટ્ટજી આવા આવા વિચારોમાં ટહેલતાં હતાં એટલામાં વળી હસુકાકાની એન્ટ્રી પડી.

“ભટ્ટજી... તમે પેલી વાત વાંચી?”

“ફોડ પાડો કાકા. આ “પેલી, પેલો, પેલું એવાં જબરજસ્ત શબ્દો છે કે બધે એપ્લાય થઈ શકે.”

“અરે પેલી કંબોડિયાની રાજકુમારી માટે 28 લાખ રૂપિયામાં એક શૌચાલય બનાવ્યું તે વાળી વાત કહું છું.”

“હા, અને પ્રિન્સેસે એ શૌચાલયની તસ્વીરો જ લીધી. ઉપયોગ ન કર્યો. બોલો છે ને દાદાગીરી? હવે એ શૌચાલય ટુરિસ્ટ પ્લેસ કહેવાશે.”

“ઓહો ભટ્ટજી... આ તો મને ખબર જ નહતી.”

એટલામાં ભટ્ટજીનો સેલફોન રણક્યો થોડીવાર વાત કરી પછી ભટ્ટજી ઉવાચ : “કાકા, મારું પેલું ભાષણ આપવા જવાનું હતું ને એ કેન્સલ થયું. કારણ કે હવે સંસ્થાને કોઈ સાસ-બહુ સિરિયલની એકટ્રેસ મળી ગઈ છે. એટલે એ ભાષણ આપશે.”

“હત્તારીની... કંઈ નહીં. તમે આપણા ગોકુળધામમાં ભાષણ આપજો. અમે સાંભળીશું.”

ભટ્ટજી ખસિયાણું હસીને ચાલતાં થયાં.

ખોંખારો : વર્ષો પહેલાં સ્ત્રીઓ નાટક- એટલે કે ફિલ્મોમાં કામ નહતી કરતી એટલે પુરુષોએ જ સ્ત્રી વેશ ભજવવા પડતાં. આજે સ્ત્રીઓની સફળતાથી ઇર્ષાથી કે દાઝથી બળી મરીને પુરુષોએ કૉમેડી કરવા માટે સ્ત્રીપાત્રનો સહારો લેવો પડે છે. આને કહેવાય વિકાસ....!

Happy world women’s day.

http://bombaysamachar.com/epaper/e03-3-2016/LADKI-THU-03-03-2016-Page-4.pdf

Saturday, February 27, 2016

પ્રેમ રતન ધન ખોયો...25/02/2016 ગુરુવાર ,લાડકી -મુંબઈ સમાચાર


સંજય લીલા ભણસાલીએ “દેવદાસ” બનાવ્યું એ ત્રીજું દેવદાસ હતું. એ પહેલાં બે દેવદાસ બની ચૂકી હતી. એના રિવ્યુમાં એક ફિલ્મ ક્રિટીકે લખેલું કે “હજી ચોથા દેવદાસની જગ્યા બાકી હોય એવું લાગે છે. ફિલ્મમાં હજુ કંઈ ખૂટતું હશે! ત્યારે એમ થાય કે “દેવદાસ”ની એ કેવી ઉદાસી અને એવો તે કેવો પ્રેમભંગ હશે કે ત્રણ-ત્રણ ફિલ્મો બન્યા પછીય એનો વિરહ હજુય સુકાયો નથી અને અડીખમ છે. કયા સ્તરનો આ પ્રેમભંગ હશે?

વેલેન્ટાઇન ડેનો તહેવા હમણાં જ રંગેચંગે સંપન્ન થયો. લાલ રંગ અને હાર્ટ શેઇપનાં ફુગ્ગાઓમાંથી હવા પૂરેપૂરી નીકળી ગઈ હશે. પ્રેમની કસમ ને ભવોભવ સાથે જીવવા મરવાના કોલ સાથે અપાયેલી સસ્તામોંઘા ભાવની ચૉકલેટ-કૅડબરીઓનાં ખાલી રેપર રસ્તા પરની કચરાપેટીમાં કચરો થઈને પડ્યાં હશે ને નાનીમોટી ભેટો ઘરનાને મનના ખૂણે ક્યાંય ધરબાઈ ગઈ હશે. વેલેન્ટાઇન તહેવારનો ઊભરો સોડા વૉટર જેવો હોય છે. જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી બેસીય જાય. વેલેન્ટાઇન ડે પૂરો થયો ને બીજા દિવસથી રૂટિન જિંદગીની વોહી રફતાર ચાલુ. નસીબ સંજોગે ચોકઠાં ગોઠવાયા હોય તો પણ એમાં શરતો ઉમેરાવા લાગે છે ને શરૂ થાય છે પ્રેમભંગ થવાની ધીમી શરૂઆત. વેલેન્ટાઇન ડે વખતે જેમ જુદા જુદા સાત દિવસ જવાય એમ પ્રેમભંગ-બ્રેકઅપ માટેય જુદા જુદા સાત દિવસ નામે — સ્લેપ-ડે, કીક-ડે, પરફ્યુમ-ડે, કલર્ટિંગ-ડે, કન્ફેસન-ડે, મિસિંગ-ડે, અને છેલ્લે બ્રેકિંગ-ડે જવાય છે. પ્રેમમાં હોય ત્યારે જેમ પ્રેમીજનો પ્રેમ વ્યક્ત કરવાની જાત જાતની રીતો અપનાવે છે એમ પ્રેમમાં ભાંગી પડે ત્યારેય જુદી જુદી રીતો અજમાવાતી હોવાના સમાચાર આવતાં જ રહે છે. અમારા એક મિત્રના વેલેન્ટાઇન-ડેના વાસંતી તહેવારો સમયે જ પ્રેમ થઈ ગયો. બહેનબાનાં ચહેરા પર પણ પ્રેમની અસરો કાયમી મુસ્કુરાહટ સ્વરૂપે દેખાય. આંખો જરા જરામાં ઢળી જાય ને હોઠ હસી ઊઠે. ટૂંકમાં બધું કાવ્યાત્મક, ગુલાબી ગુલાબી, ફોન પર વાત કરતાંય આપણને મ લાગે કે બહેન મલકું મલકું જ હશે. “એ...” આથી વાત શરૂ થાય ને આપણે કહેવું પડે કે “બસ કરો માતાજી” ત્યારે માંડ માંડ વાત પૂરી થાય. કેટલાં રોઝ મળ્યાં ને કેટલાં હાર્ટ મળ્યા. એનો હિસાબ રાખવામાં બહેન જરા વધારે પડતાં જ લાગણીશીલ થઈ ગયાં અને સામેપક્ષે ભાઈ કોઈ બીજા સાથે વેલેન્ટાઇન-ડે ઉજવવામાં વ્યસ્ત થઈ ગયા. આ બહેનને ખબર પડી તો એમણે આ દુર્ઘટનાનો વિરોધ નોંધાવવા ભાઈને ખૂબ ગમતાં લાંબા સુંવાળા વાળને કપાવીને સાવ બૉયકટ કરાવી નાખ્યા ને પોતાનો બોયકટ વાળવાળો સ્માઇલિંગ સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ પર # Breakup # Happy # Go to hellનાં મેસેજ સાથે વાઇરલ કરી દીધો. તો બીજા એક કિસ્સામાં પ્રેમિકા છેતરપિંડીથી એટલી તો વીફરી કે એણે એના બૉયફ્રૅન્ડને મૂક્યો પડતો અને રખડી આવી એકલી આખા ભારતમાં... આગ્રામાં તાજમહેલની ચોટી પકડીને ફોટોય પડાવ્યો હસતાં મુખે. બંને કન્યાઓ પ્રેમભંગની ઘટનાને જીરવી ગઈને જીવીય ગઈ. બાકી પ્રેમભંગ થવાય તો એકબીજાને ખુવાર કરી નાંખનારાય પડ્યા છે જગતમાં.

ચાઇનામાં એક બૉયફ્રૅન્ડને એની ગર્લફ્રૅન્ડ સાથે ગંભીર પ્રકારનો ઝઘડો થઈ ગયો ને પરિણામે બ્રેકઅપ. હવે આ બ્રેકઅપથી ગુસ્સે ભરાયેલો યુવાન મંડ્યો તે સાઇકલ લઈને નીકળી પડ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાઇનાથી સાઇકલ ચલાવતો ચલાવતો પહોંચી ગયો સાઉથ આફ્રિકા. 6 મહિના પછી ભાઈ બેક ટુ પેવેલિયન થયા. વ્યવસાયે તલવારબાજીનું કોચિંગ આપતા આ મહાશય હવે બ્રેકઅપ થાય તો કેવી રીતે પોતાની જાતને સંભાળવી એનાય કોચિંગ ચાલુ કરશે એવા સમાચાર છે ખરાં.

પશ્ચિમ બંગાળમાં એક હાથી જંગલમાંથી રસ્તો ભૂલીને સિલિગુડી શહેરમાં આવી ચડેલો. આ હાથીએ શહેર આખુ માથે લીધેલું ને જે અડફેટે આવે એને ઘમરોળી નાખેલું. હવે આ હાથીએ આમ શા માટે કર્યું, એ શાથી આવા ઝનૂને ભરાયેલો ક્યાંક મુખ્ય કારણ પ્રેમમાં નિષ્ફળતા તો નહતું ને આવા બધા પ્રશ્નો જો કોઈ ચેનલવાળા એનો ઇન્ટરવ્યૂ લે તો ખબર પડે. રિપોર્ટર તરીકે કીડીબાઈને નિયુક્ત કરવા પડે, કારણ કે પ્રાણીજગતની ભાષા સમજવા માટે પ્રાણી જ જોઈએ. માણસ તો માણસની ભાષાય ક્યાં સમજે છે!!

ભારતમાં રાજકારણ અને ફિલ્મો એ બે એવા ક્ષેત્રો છે કે ક્યારે કોનું ક્યાં જોડાણ છે ને ક્યારે કોનું ક્યાં ભંગાણ છે એ કહેવું અઘરું થઈ પડે છે. ચૂંટણી વખતે ભલભલી વિરોધી પાર્ટીઓ જોડાણ કરે અને જેવો સ્વાર્થ પૂરો થાય એટલે ભંગાણ—બ્રેકઅપ. વળી પાછાં કંઈક સમીકરણ બદલાઈ જાય તો ફરી એકમેકના વેલેન્ટાઇન બની જતા પળવાર પણ, ન લગાડે ટલા સહિષ્ણુ તો ખરાં!

ફિલ્મલાઇનમાં હમણાં બ્રેકઅપનો વાયરો ફૂંકાયો છે જેમાં આઘાત અને આશ્ચર્ય થાય એવી પ્રણય બેલડી છૂટી પડી હોવાના સમાચારો રોજ ગાજે છે. કેટલાંક તો વળી ફિલ્મોમાં સાથે જોડીમાં હોય એટલે ફિલ્મ પૂરતા પ્રૉફેશનલ જોડી તરીકે રહે પછી હરિઓમ. રિયાલિટી શૉમાં ભાગ લેતાં લેતાં જ પ્રેમમાં પડે અને શૉ પૂરો થાય ત્યાં સુધીમાં તો પ્રેમની કલ્પના વાસ્તવિકતા એનું સ્વરૂપ દેખશે એટલે પ્રેમીપંખીડા કદી એકબીજાને ઓળખતાં હતાં એવાંય સંબંધો ન રહે. “પાવર-કપલ” નામનો ટીવી રિયાલિટી શૉ હોસ્ટ કરતાં અરબાઝખાન અને મલાઇકાખાનનો દાખલો લઈએ તો આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર કપલ તરીકે જ પ્રખ્યાત હતાં. શૉ ચાલુ થયો ત્યારે એના આયોજકોને કે મલાઇકા-અરબાઝનેય ખબર નહીં હોય કે આ પાવર કપલમાંથી પાવર નીકળી જશે અને સેપરેટેડ કપલ થઈ જાય એવા સંજોગો આવી ઊભા રહેશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બની ત્યારે કેટલાંયનાં હાયકારા લાગ્યા હશે એ અત્યારે બંનેને બરાબરનાનડ્યા છે અને એ બે વચ્ચેય બ્રેકઅપ થઈ ગયું છે. ફળસ્વરૂપે વિરાટ કોહલીએ તો બ્રેકઅપ થાય ત્યારે શું કરવું એની સાત ટિપ્સ પણ એના ફોલોઅર્સ સાથે વહેંચી છે. અને એ રીતે પોતેય પોતાને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો છે. સામે અનુષ્કા શર્માએ શું ગતકડું કર્યું એ હજી જાણવા મળ્યું નથી.

વર્ષો પહેલાં એક હિંદી ફિલ્મ આવેલી “ખામોશી.” વહિદા રહેમાન, સંજીવકુમાર, રાજેશ ખન્ના, અશોકકુમાર અભિનિત આ ફિલ્મમાં વહિદા રહેમાન નર્સ અને અશોકકુમાર ડૉક્ટર છે. પ્રેમભંગ થયેલી વ્યક્તિઓની સારવાર માટે નર્સ વહિદા રહેમાન પ્રેમભંગ દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે જ પ્રેમભંગની દર્દી બની ને હૉસ્પિટલમાં દાખલ થાય છે એ પ્રકારની કથાનકવાળી આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ હતી. આજના સુપર ઇલેક્ટ્રિક યુગમાં આવી ફિલ્મ આવીને ક્યારે જતી રહે તેય ખબર ન પડે. પ્રજામાં પ્રેમ અંગે સહિષ્ણુતા વધી હોય એ સારી બાબત છે. આજે એક પ્રેમમાં નિષ્ફળતા મળે તો એ ઘટનાને ત્યાં જ મૂકીને આગળ ચાલવા માંડે તેને પ્રૅક્ટિકલ કહેવાય છે. જ્યારે સેલિબ્રિટીઓનું બ્રેકઅપ થાય ત્યારે લોકો પોતાની વેદના પીડા ભૂલી જાય છે. કેટલીક વાર માત્ર અને માત્ર પબ્લિસિટી સ્ટંટ ખાતર કરેલો પ્રેમ ટૂંકાગાળામાં ગાળિયો બની જાય છે અને સાવ નાંખી દેવા જેવી બાબતમાંય બ્રેકઅપ થઈ જાય છે. ઉતાવળે કરેલી ભૂલો નિરાંત મળતા સમજાય ત્યારે બ્રેકઅપની શક્યતાઓ વધી જાય છે. સમાજમાં રહેતો, સમાજથી ડરીને ચાલનારો વર્ગ આપણે ત્યાં હજી મોટો છે જે બ્રેકઅપમાં શરમ-સંકોચ અનુભવે છે પણ ધીમે ધીમે એવું દેખાઈ રહ્યું છે. ભંગાણની ઘટના પ્રત્યે લોકો સહિષ્ણુ અને ઘટનાનાં કારણો પ્રત્યે અસહિષ્ણુ થતા જાય છે. પરદેશોમાં નસકોરાબોલવાં, રસોઈ બરાબર ન આવડવી, પરફ્યુમની સુગંધ ન ગમવી, સાથીદારના મિત્રો સગા પ્રત્યે અણગમો હોવો જેવા નજીવા કારણોસર બ્રેકઅપ થઈ જવાનાં અસંખ્ય દાખલાઓ મળી આવે છે.

્રેમમાં પડેલો માણસ અકારણ મલકાયા કરે, વધારે પડતી ટીપટાપ કરે, સાથીદારની પસંદ-નાપસંદનો બરાબર ખ્યાલ રાખે જ્યારે પ્રેમમાં ભાંગી ગયેલો માણસ લઘરો હોય, સમય-સ્થળ-કાળનું ખાસ ભાન ન હોય બધે જ નિરાશ રહે એ રીતે પ્રેમમાં પડેલો માણસ અને પ્રેમમાં ખરેખર પડી ગયેલામાણસના મનનો કારોબાર બીજાના હાથમાં જ હોય છે. 


ખોંખારો : પ્રેમભંગ થવાનું મુખ્ય કારણ પ્રેમ છે.


http://bombaysamachar.com/epaper/e25-2-2016/LADKI-THU-25-02-2016-Page-4.pdf

 

 

 

Monday, February 22, 2016

મુંબઈ સમાચાર-૧૮/૦૨/૨૦૧૬ લાડકી section "મરક મરક" વાટકી વ્યવહાર


— શિલ્પા દેસાઈ

“ઢબુ.... એ ઢબુડી.... સાંભળ તો બેટા, જરા બાજુમાં જસુબાનાં ઘરેથી થોડું મેળવણ લઈ આવ તો... કાલે ઢોકળાં બનાવવાનાં છે પણ હું મુઈ દૂધ મેળવવાનું ભૂલી ગઈને દહીં બધુ વાપરી નાખ્યું છે, જો તો મારી દીકરી...”
ઢબુ દોડતીકને જસુમાસીને ત્યાંથી બે ચમચી મેળવણ લઈ આવી ને બીજા દિવસે પાછી ઢબુડીની મમ્મી ઢબુને જસુમાસીને ત્યાં મોકલે : “જા તો બેટા, આ ઢોકળાંની પહેલી થાળી જસુમાસીને ત્યાં આપી આવ”ને એમ ગઈકાલે જસુમાસીને ત્યાંથી લાવેલી બે ચમચી મેળવણનું ઢોકળા થકી સાટુ વળી જાય. સાદા શબ્દોમાં આ થયો વાટકી વ્યવહાર. હજુય આ “વાટકી વ્યવહાર” નામ વપરાશમાં છે ખરું પણ “વાટકી” વ્યવહાર વાટકી ઠેકીને થાળી ને તપેલી સુધીં પહોંચી ગયો છે.
અમારી ગોકુલધામ જેવી સોસાયટીમાં હજુ સંયુક્ત કુટુંબપ્રથા સચવાઈ રહી છે. સવારની પહોરમાં પાણી બાબતે પાણીપત યુદ્ધમાં ઉતરનારા સાંજે એકબીજાનાં ઘરમાં ચા-નાસ્તા કરતાં નજરે પડે. કમમાસી મૂળ સુરતી હોવાથી સિઝનમાં એકવાર તો ઊંધિયું બને જ બને. ને સોસાયટીમાં બધાંય પોતપોતાની તપેલી લઈને લાઇનમાં આવી જાય. દરેકને પાછી ચોઈસ હોય એ પ્રમાણે મસમોટાં તપેલાંઓમાંથી ઊંધિયું કાઢીને આપવાની કમમાસીને ભયંકર ચીડ ચડે. “પછી અમે હું ખાહું એમ કેહમ? તપેલામાંનો તેલ ને મસાલો તો ની ચાલે.” આવા બિનઅસરકારક સંવાદોની વચ્ચે ઉંધિયાનાં તપેલામાંથી ઊંધિયું ઉલેચાતું રહે. ખાય સોસાયટીવાળા અને ઓડકાર કમમાસીને આવે જેવો પ્રેમ. કોઈ વળી તપેલી કમમાસીને ત્યાંથી જ લઈ જાય અને બીજા દિવસે ખાલી તપેલી આપવાને બદલે છેવટે વાટકી ખાંડ ભરીને પાછી વાળે. હવેની વિભક્ત કુટુંબની સોસાયટીમાં આવા દૃશ્યો દુર્લભ થતાં જાય છે. એક-બે-ત્રણ વાર કશું મોકલ્યું હોય અને દરેક વખતે વાસણ ખાલી જ પાછું આવ્યું હોય તો ચોથી વખતથી વાટકી-તપેલી વ્યવહાર બંધ કરવામાં આવે. અંગત સંબંધોમાં BreaK-up થાય એમ હવે વાટકી વ્યવહારમાંય બ્રેક-અપ થવા માંડ્યાં છે. જ્યાં જૂઓ ત્યાં વાટકી વ્યવહાર અપ્રત્યક્ષ રીતે વર્તાય જ છે. રાજકારણમાં એને કટકી કહે તો ક્રિકેટમાં સટ્ટો. ટુંકમાં નામરૂપ જૂજ્વાં, અંતે તો... થોડાં વર્ષો પહેલાં એક રાજકારણીની દીકરીનાં અપહરણનાં બદલામાં પાંચ આતંકવાદીઓને અને વિમાની અપહરણ કેસમાં ત્રણ આતંકવાદીઓને છોડવાનો વ્યવહાર થયેલો. આ બંને વાટકી વ્યવહાર જેવા સોદા ભારતને હજીય ભારે પડી રહ્યાં છે!
 
આવા વાટકી વહેવારો થકી જ સમાજ ઉજળો હતો. સેંકડો વર્ષો પહેલા ‘નાણાં’ જેવા વજનદાર માધ્યમની શોધ થવાને વાર હતી ત્યારે સમાજમાં વિનિમય પદ્ધતિ અમલમાં હતી. લોકો એકબીજા પાસેથી વસ્તુના બદલામાં નાણાંને બદલે અન્ય કોઈ વસ્તુ કે એ જ વસ્તુ સામે આપતા અને વ્યવહાર ત્યાં જ પૂરો થઇ જતો. સમજોને, હું તમારી પાસેથી કશુક ખરીદું-સામે તે જ વખતે તમને એ વસ્તુ કે સર્વિસના મુલ્ય જેટલી વસ્તુ કે સર્વિસ આપી કે વાત પૂરી. તમે તમારા રસ્તે ને હું મારા.  આજના જેવી હપ્તા પદ્ધતિને પણ ચલણી થવાને સમય હતો. ધીમે ધીમે મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો અને રીતિરિવાજોમાં ધીમા પણ મક્કમ ફેરફારો આવ્યા. નાણાંની શોધ થઈ અને બાર્ટર સિસ્ટમ કહેતા વિનિમય પદ્ધતિ લગભગ વિસારે પડી પણ ૧૯૮૪ના 14મી મેએ ડેંટીસ્ટ પિતા અને સાઈકિયાટ્રિસ્ટ માતાને ત્યાં જન્મેલા માર્ક ઝુકરબર્ગે એકવીસમી સદીના પહેલા દાયકામાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ગજુ કાઢ્યું અને હાલમાં ટંકશાળ સમી ફેસબુક નામની સોશિયલ સાઇટની ભાગીદારીમાં સ્થાપના કરી અને આજુબાજુમાં કોણ રહે છે એ ખબર ન હોય પણ જોજનો દુર મિત્ર કહેતા સંપર્ક બનાવવાનું એક માધ્યમ મળ્યું.
જુના સમયમાં બધા ઓટલે બેસીને કે પાનના ગલ્લે ભેગા થઈને ટોળટપ્પા કરતા એવી રીતે આ ફેસબુક જેવી સોશિયલ સાઇટના લીધે નેટ-ટપ્પાનો ઉદ્ભવ થયો. ધીરે ધીરે સોશિયલ નેટવર્કિંગ વળગણ બની ગયું. લોકો પોસ્ટ/સ્ટેટ્સ મુકે-એમના સંપર્કમાં રહેનારા લોકો કોમેન્ટ આપે, લાઇક આપે ...કઈ પોસ્ટને કેટલી લાઇક, કોમેન્ટ મળે એના પર વ્યક્તિની લોકપ્રિયતા મપાવા લાગી ને ધીમા તાપે દૂધ ઉકળતું હોય ને ઉભરો આવે એમ ધીરે ધીરે ફેસ્બુકીયાઓમાં કોમેન્ટ- લાઇક કરાવવાનો ઉભરો આવવા માંડ્યો. લોકો એકબીજા પાસે અપેક્ષા રાખવા માંડ્યા. ‘મેં તમારા ફલાણા સ્ટેટ્સમાં લાઇક કર્યું ને તમે મારી પોસ્ટ વાંચતા પણ નથી. વાંચો અને લાઇક કરો ચાલો ‘...અને જાણે વાટકી વ્યવહારે નવો અવતાર ધર્યો. લુપ્ત થવાના આરે આવેલા વાટકી વ્યવહારને પુ. ઝુકરબર્ગે નવજીવન બક્ષ્યું. વાટકી વ્યવહારની પ્રથાએ એટલું તો જોર પકડ્યું કે અહો રૂપમ અહો ધ્વનિ કરી એકબીજાના થાબડભાણા ન કરો તો ભલભલા બેસ્ટીઝ જાની દુશ્મન બની બેસે. છેલ્લે ક્યારે કોને લાઇક કે કોમેન્ટ કરેલી એનુંય આવા વાટકીવીરો રજીસ્ટર રાખતા હોય તો નવાઈ નહિ. ભટ્ટજીના કમનસીબે એમનેય  આવા કટ્ટર વાટકીવીરો ભટકાઈ ગયેલા. એક વાટકીવીરને એવી આદત કે સવારના પહોરમાં જાતજાતનું ને ભાતભાતનું લખી નાખે ને ફેસબુક પર પોસ્ટ કરે ને પછી બરાબર ધ્યાન રાખે કે કોણ આવ્યું ને લાઈક/કોમેન્ટ કરી. જેવી કોઈની હાજરી વર્તાઈ કે એ મહાશય પણ જઈને એમની પોસ્ટ પર હાજરી પુરાવી આવે. ટિપિકલ બાર્ટર સિસ્ટમ. આંખ કે બદલે આંખ જેવું જ કંઈક. લાઇકના બદલામાં લાઇક ને કોમેન્ટના બદલામાં કોમેન્ટ. નિર્ભેળ વાટકી વ્યવહાર. જો કોઈ ઘણા દિવસે પોસ્ટમાં જોવા મળ્યું હોય તો મીઠી મધુર ટકોર પણ કરે કે બહુ વખતે આજે તો દર્શન આપ્યા.  આવી વર્તણૂક પાછળની શુદ્ધને શુભભાવના એક જ કે કોઈને એમના થકી ખોટું ન લાગવું જોઈએ બસ. 
બીજા કિસ્સામાં ભટ્ટજી રોજની જેમ તે દિવસે સાંજે ચાલવા નીકળેલા, રસ્તામાં એક જુના મિત્ર મળ્યા. ભટ્ટજી તો લાપસી લાપસી થતા ચાલ્યા મિત્ર તરફ. પણ આ શું? મિત્ર તો રસ્તો ચાતરી ગયા. ભટ્ટજીએતો તરત જ મોબાઈલ કાઢ્યો અને ફોન ઘુમાવ્યો તો સાહેબે ફોન કાપી નાખ્યો. ત્રણ ચાર વાર એમ થયું. ખલાસ.. ભટ્ટજીનો ઈગો હર્ટ થયો. હર્ટેલા ઇગા સાથે એમણે ફોન પાછો ખભે ભરાવેલી તોબરીમાં સરકાવ્યો. દસ-પંદર દિવસ પછી વાયા વાયા સમાચાર મળ્યાં કે એ મિત્રની ફેસબુકની કોઈ પોસ્ટ પર ભટ્ટજીએ લાઇક કે કોમેન્ટ નહોતી કરી એટલે ભટ્ટજી તોછડા, અભિમાની, મેનરલેસ, કાયમ ઇન્સલ્ટ જ કરનારા પ્રાણીઓના લીસ્ટમાં સ્થાન પામી ચુક્યા હતા અને મિત્રની ગુડબુકમાંથી ચુપચાપ તડીપાર થઈ ગયેલા. તો અન્ય એક મહાનુભાવ તો એમની પોસ્ટનો TRP વધારવા કોઈ કોમેન્ટ મુકે કે તરત જ એમનો વ્યક્તિગત આભાર માની લે. પુ. ઝુકરબર્ગે ફેસબુક જેવી સોશિયલ સાઈટ શરુ કરીને લોકોમાં વાટકી વ્યવહારની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે એ માટે નોબેલ પ્રાઈઝ કમિટી તરફથી એમને ભાઈચારાની ભાવના વધારવા માટેનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવું જોઈએ.
 
ખોંખારો: 
આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી પ્રિય ઝુકરબર્ગ ટ્વીટર અને ફેસબુક પર અમને follow નહીં કરે ત્યાં સુધી અમે પણ એમને follow નહીં કરીએ. 
 
 
 
 http://bombaysamachar.com/epaper/e18-2-2016/LADKI-THU-18-02-2016-Page-4.pdf

Tuesday, February 9, 2016

સમજણ કે ગેરસમજણ?

કેમ છો કાકા? કેમ આમ મરક-મરક થાવ છો?

અરે ભટ્ટજી, શું વાત કરું તમને? આજે તો જોરદાર થયું.

શું? વાતમાં મોણ નાખ્યા વિના જે થયું એ કહી દો. એટલે તમનેય શાંતિ અને અમનેય શાંતિ.

અરે, હું મારા મોબાઇલનું બિલ ભરવા ગયેલો. બિલ ભરીને આવતો હતો ત્યાં જ ફોન રણક્યો એટલે મેં ગાડી જરા બાજુમાં લીધી અને ઊભી રાખી.

કાકા, ગાડી લાવ્યા? કહ્યુંય નહીં? અભિનંદન.

ભટ્ટજી, ગાડી એટલે સ્કૂટર. શું તમેય હમજ્યા મૂક્યાં વિના ઝૂડ ઝૂડ કરો છો!વચ્ચે ડબડબ કર્યા વિના વાત સાંભળો.” હા તો. હું ઊભો રહ્યો અને ફોન પર વાત કરતો હતો. લગભગ દસેક મિનિટમાં એટલા બધા લોકો આવતાજતા મને પગે લાગ્યા. પહેલાં તો મને એમ કે એ મારો વ્હેમ છે પણ મારી આજુબાજુ કોઈ ન હતુંએટલે મને ખાતરી થઈ ગઈ કે એ બધા મને જ પગે લાગતા હતા. નિયમિત યોગનાલીધે હું ઋષિમુનિ જેવો લાગું છું એટલે હશે. શું કહેવું તમારે?

એમ કે, તમે કઈ જગ્યાએ ઊભા રહેલા? આજુબાજુમાં કોઈ ન હતું. બરાબર પણ ક્યાંક ગલીખુંચીમાં મંદિર કે દેરી હશે. આવતાંજતાં માથું નમાવતા હશે અને તમે ભોળા એમ સમજી બેઠા કે એ તમને પગે લાગે છે.

ઓહ... જબરું થયું આ તો...

તો શું કાકા, ગેરસમજ થઈ તમને બરાબરની.

આપણાને સમજણ પડે છે એનાથી મોટી ગેરસમજણ કોઈ નથી. બાળક જન્મે પછી માતા-પિતા એને સમજણ આવે એની રાહ જુએ છે. કેટલાંક માતા-પિતા બાળકની ગેરસમજણભરી હરકતોથી પરેશાન થવા કરતાં પોતે ગુસ્સે ન થવાની સમજણ કેળવે છે. એ જ બાળક મોટું થાય એટલે છોકરી હોય તો અનેક પુરુષો અને છોકરો હોય તો અનેક સ્ત્રીઓ એના પ્રેમમાં છે એવી મધુર ગેરસમજણ મનમાં જ પંપાળ્યા કરે છે તો કોઈ વાર પ્રગટ પણ કરી દે છે અને એમ જીવવાની મઝા લૂંટે છે તો બીજી બાજુ માતા-પિતાને પણ દીકરો/દીકરી કૉલેજમાં ભણવા” જાય છે એવી ગેરસમજ પોષીને ખુશ થયા કરે છે. તો વળી પરણ્યા પછી રોજ સવારે પત્ની ગરમ-ગરમ ચ્હા બનાવીને વ્હાલથી માથે હાથ ફેરવીને ઉઠાડીને ટહુકો કરશે કે ઉઠો, ચા બની ગઈ છે આદુ-ફૂદીનાવાળી” એવી ગેરસમજમાં મહિનાઓ વીત્યે જાતે જ ચ્હા મૂકીને પત્નીને ઠાડતા થઈ જાય એવા પતિ પરમેશ્વરોય છે.

વાત માત્ર ઘરથી જ અટકતી નથી સમાજમાં સરકારી ઑફિસ, કોર્પોરેટ ઑફિસ, પ્રાઇવેટ, પબ્લિક ગમ્મે તે સ્થળ હોય, પટાવાળાથી લઈને માલિક સુધીનાને એવી જ ગેરસમજણ હોય કે સંસ્થા એમનાં થકી જ ચાલે છે. શકટનો ભાર જ્યમ શ્વાન તાણે” વાળા શ્વાનની જેમ ગેરસમજણ ધરાવતા લોકોનો Attitude કહેતાં ટણીનો પારોય ઊંચો હોય છે. એક વાર અમારે બૅન્કમાં લોકરમાં જવાનો પ્રસંગ પડ્યો. ઘણા સમયથી લોકરમાં જવાની જરૂર પડેલી નહીં. એમાં ને એમાં લોકરનું ભાડું ભરવાનું રહી ગયેલું. બૅન્કમાંથી રિમાઇન્ડર્સ આવ્યા હશે પણ કોઈ કારણોસર ધ્યાનમાં નહીં આવેલા. અમે તો બૅન્કમાં પહોંચ્ અને સંબંધિત અધિકારી પાસે જઈને ઊભા રહ્યાં. અધિકારી સેલફોન પર વ્યસ્ત હતા. થોડી વાર પછી અમે એમને યાદ અપાવ્યું કે અમારેય કામ છે. ભાઈઓ ડોકું હલાવ્યું અને હાથથી એક મિનિટ એમ ઇશારો કર્યો. અમે વધુ ધીરજવાન બનીને એમની ટેલિફોનિક સંવાદના સાક્ષી બની રહ્યાં. વળી થોડી વાર પછી અમે અમારી હાજરીનું યાદ દેવડાવ્યું. મ્હોં પર અત્યંત કંટાળાના ભાવ સાથે ભાઈએ ફોન મૂક્યો અને બોલ્યા : વડીલ, હું કંઈ ટોળટપ્પા ન હતો કરતો. કામની જ વાતો થતી હતી.” “અલા ’ઈ અમે અમારા સગ્ગા કાને સાંભળી તારી વાતો કે તું લગ્નમાં કયા કપડાં પહેરવાનો છે, કલરથીમ શું છે? વગેરે વગેરે... એને તું કામની વાત કહે છે?” “તમને નો હમજાય વડીલ” કહીને એમણે અમારી લોકરની વિગતો માંગી. બધું ચેક કર્યા પછી એમણે અમને લોકર ઓપરેટ કરવાની ના કહી, જ્યાં સુધી તમારું બાકી ભાડું નહીં ભરો ત્યાં સુધી નહીં થાય.” કેટલીય માથાકૂટ પછી અમારી ગેરસમજણ દૂર થઈ કે જ્યાં સુધી એના કમ્પ્યૂટરમાં ભાડું ભરાયાની અપડેટ નહીં થાય ત્યાં સુધી રિઝર્વ બૅન્કના ગવર્નર આવી જશે તોય લોકર નહીં ખૂલે. અમે એમ સમજેલાં કે પેલા ભાઈને ફોન પર વાત ન કરવા દીધી એટલે એ અમને લોકર વાપરવા નહીં દઈને દાઝ કાઢે છે. બીજા દિવસે આવીને અમે ભાડું ભર્યું ને અને પેલા અધિકારીએ અને કહ્યું, થઈ ગયું ને કામ તમારું વડીલ? અમે કહીએ એ પ્રમાણે કરો તો થઈ જ જાય. બૅન્કમાં અમે છીએ. તમે નહીં સમજ્યાં? અમે સમજીને ડોકું હલાવી મૂક્યું અને એમ અમારા લોકર પ્રકરણનો અંત આવ્યો.

જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ વાત કરે કે મને એમ કે અથવા મને એમ લાગ્યું કે...” ત્યારે હંમેશાં એની ગેરસમજને લીધે એ ખોટો જ પડ્યો હોય એવું બને. ખાસ કરીને ટ્રાફિકજામમાં ફસાયા હોઈએ ત્યારે આપણે ટ્રાફિકથી બચવા જે-જે તરકીબો અપનાવીએ એ ખોટી પડે તો સાથેવાળાને ઠપકો ખાવો જ પડે. મેં તો કહેલું જ કે આ ટાઇમે હીંથી ન જવાય. હવે જો આ મારી વાત ન માનવાનું પરિણામ... આપણે લગ્નમાં સમયસર પહોંચી નહીં રહીએ. આમાં લગ્નમાં સમયસર પહોંચી નહીં રહેવાય એ મુખ્ય દુઃખ ન હોય પણ જમવામાં રહી તો નહીં જઈએ ને! એવો વિચાર મુખ્ય હોય છે. ઘણી વાર સહિષ્ણુતાના અભાવને લીધે નાની નાની ગેરસમજના લીધે હર્યાભર્યા પરિવાર છૂટા પડી ગયાના દાખલાય આપણે જાણીએ જ છીએ. કોઈ વાર જે થઈ ગયું એ માત્ર ગેરસમજણ હતી એવી સમજણ આવે ત્યારે અત્યંત મોડું થઈ ગયું હોય છે.

ગાંધીજી વિશે જેટલી ગેરસમજ સમજણ તરીકે પ્રવર્તમાન છે એટલી કદાચ કોઈના માટે નહીં હોય. બાપુ માટે એમના પોતાના પુત્રથી માંડીને પોતાના જ દેશબાંધવોએ ગેરસમજ કરીને અન્યાય જ કર્યો છે. બાપુ જીવતા હતાં ત્યારે દેશમાં પથરાયેલી ગેરસમજો દૂર કરવા જ્યાં જાય ત્યાં ઉપવાસ પર તરવું પડતું. સદ્ભાગ્યે એમનું આ ઉપવાસ શસ્ત્ર ગેરસમજ દૂર કરવા કારગત નીવડતું. આજે નેતાઓ ઉપવાસ કરે ત્યારે ગેરસમજને બદલે કંઈક ગરબડ હોવાની સમજને વધારે બળ મળે છે.

મોટા ભાગનાને પોતે જે નથી એ હોવાની બહુ મોટી ગેરસમજણ હોય છે વળી આ ગેરસમજણને પંપાળનારાઓ નોય તોટો નથી હોતો. સોશ્યલ મિડિયા પર આ બંને પ્રકારનાં મનુષ્યો અચૂક મળી જાય. ને કોઈ મનાં ઇગોને હર્ટ કરે તો લાગીય બહુ આવે. એક ભાઈને ફેસબુક પર જાતજાતનું ને ભાતભાતનું લખવાની ટેવ. એમનાથી પરિચિત ન હોવાને લીધે અથવા તો પોતાના અજ્ઞાનના લીધે એમનાથી અંજાઈ જનારાઓનો ઢગલો એમના ફ્રૅન્ડલિસ્ટમાં એક વાર એમણે કોઈ લેખકના લેખનો નાનકડો અંશ પોતાના નામે ઠપકાર્યો. એમના કમનસીબે અને અન્યોના સદ્નસીબે એક સજ્જ વાચકે મૂળલેખકનો આખો લેખ જ ચિપકાવ્યો. ધીમે ધીમે ભાઈના બધાઉઠાંતરી કિસ્સા બહાર આવવા માંડ્યા. લોકોની ગેરસમજણ દૂર થઈ ગઈ છે એ જોઈને ભાઈએ ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું. એ જ રીતે મોટા મોટા સાધુ મહાત્માઓ અંગેની લોકોમાં ગેરસમજ દૂર થઈ જાય. પછી લોકો તેને પૂજવાનું બંધ કરી દે છે અને સામેનાં ગુસ્સાથી બચવા અંતર્ધ્યાન થઈ જાય છે.

ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં આવી જ એક ગેરસમજના લીધે આખી ફિલ્મ સુપરહીટ થઈ ગયેલી. હીરોનની બહેનનાં અકસ્માતે મૃત્યુ પછી લગ્નની વાત આવતાં આનંદિત થાય છે કે મનના માણીગર સાથે લગ્ન થશે. હકીકતમાં લગ્નની વાત બહેનના વિધુર પતિ અર્થાત્ હીરોઇનનાં બનેવી સાથે લગ્નની વાત થતી હોય છે. મોડી મોડી આ ગેરસમજ ઉકેલવામાં ફિલ્મમાં કૂતરું મદદરૂપ સાબિત થાય છે અને ફિલ્મનો સુખાંત આવે છે. વાસ્તવિક જીવનમાં કોઈ કૂતરું ગેરસમજ દૂર કરવા કામ લાગતું નથી.

પ્રાણીઓમાંય ગેરસમજ થતી હોય છે વચ્ચે એક રાજકારણીનાં પત્નીને એમનું પાળેલું કૂતરું કરડ્યુંના સમાચાર હતા. નરી ગેરસમજ જ હશે. વળી કૂતરાને કોને કરડાય વી સમજ ન હોવાથી એ આ બહેનને કરડ્યું હશે એમ બને.

સો વાતની એક વાત એ કે બહુ બધી ગેરસમજણોનો સરવાળો એટલે સમજણ. સમજણ સાથે સલાહોને સીધો સંબંધ છે. કોહલીને કયા ક્રમે રમાડવો એ સમજણ ધોનીને આપનારા દેશના દરેક ચારરસ્તે, પાનના ગલ્લે કે કીટલીઓ પર મળી આવે તો દેશ કે સરકાર કેવી રીતે ચલાવવી એ વિશે મોદીને સમજણ આપવા માટે કેટલાંય તત્પર હોય છે જ. વળી આઝાદી કાળમાં નેહરુના બદલે સરદારને વડા પ્રધાન બનાવ્યા હોત તો દેશનો નકશો જુદો હોત એવો અભિપ્રાય ઉછાળીને એમનું ચાલે તો ગાંધીજીને એ ખમીસ પહેરતા હોત તો ખમીસના કોલરેથી પકડીને કહી દે કે બાપુ તમને આટલી સાદી વાત પણ સમજ ન પડી?

ગેરસમજણ થતી અટકાવવા માટે ધીરજ નામનો ગુણ અતિઆવશ્યક છે. જગતમાં મોટા ભાગનાં યુદ્ધો ધીરજના અભાવે અને એના લીધે થયેલી ગેરસમજણથી જ થયાં છે. જો રાવણે વનવાસમાં સીતાને હરી લેવાને બદલે એ રામની પત્ની છે આજે નહીં તો કાલે એમનો વનવાસ પૂરો થવાનો જ છે એવી સમજણ કેળવી જરા ધીરજ રાખીને વિચાર્યું હોત તો યુદ્ધ ન થયું હોત. એ નાની અમથી ગેરસમજણથી આખા રાવણ કુળનો નાશ ન થયો હોત ! 


ખોંખારો : એકની સમજણ અન્ય માટે ગેરસમજણ જ હોય છે.

 


http://bombaysamachar.com/epaper/e04-2-2016/LADKI-THU-04-02-2016-Page-4.pdf

Sunday, January 31, 2016

ભૂલવું એટલું આસાન નથી! 28/1/16

મુંબઈ સમાચાર- ગુરુવાર,૨૮/૦૧/૨૦૧૬, લાડકી સેક્શન, "મરક મરક " 

 http://bombaysamachar.com/epaper/e28-1-2016/LADKI-THU-28-01-2016-Page-4.pdf


— શિલ્પા દેસાઈ

એકવાર એક ઓશોભક્ત ઓશોને મળ્યો અને કહ્યું મારે ધ્યાનમાં બેસવું છે પણ, જેવો ધ્યાનમાં બેસું એવું જ મને બધું યાદ આવે છે. હું કશું ભૂલી શક્યો નથી.’ અને ઓશોએ એને એક ઝેનકથાનું પડીકું પકડાવતા કહ્યું : “જો સાંભળ, તારાથી ધ્યાન થશે. માત્ર એટલું જ યાદ રાખવાનું કે તું જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે તારા મગજમાં વાંદરો ન આવે.” ને પેલો ખુશી ખુશી વિદાય થયો. ઘરે જઈ ધ્યાનમાં બેઠો... ને એને ધ્યાનમાં વાંદરા જ આવવા લાગ્યા. જેને એણે ભૂલવાનાં હતાં. એને જ એ ભૂલી શકતો ન હતો. એટલે વાત જાણે એમ છે કે ભૂલવું પણ એક કળા છે કે યોગનો ભાગ હશે!
ભૂલી જનારા લોકો ઘણાં કિસ્સાઓમાં ચોક્કસ હોય છે. જેમ કે જે લોકોને રોજ પીવાની ટેવ હોય એ લોકો ચોક્કસ સમયે ભૂલ્યા વગર ટેબલ પર હાજર જ હોય છે ને પીધા પછી એ લોકો “ભાન” ભૂલી જતાં હોય છે. જેમ “ફટાક બહેરા” હોય છે એમ “ફટાક ભૂલકણાં” પણ હોય છે. એમને જેટલું યાદ રાખવું હોય એટલું જ રાખે. કોઈની પાસેથી ઉધાર પૈસા લીધા પછી એ વાયદા પ્રમાણે આપવાનું ભૂલી જાય છે. તો કોઈ વળી મોબાઇલનું બિલ ભરવાનું ભૂલી જાય. ને પછી જ્યારે સર્વિસ બંધ થઈ જાય ત્યારે અથવા બંધ થઈ જવાના રિમાઇન્ડર આવે સર્વિસ પ્રોવાઇડર તરફથી કે તરત જ દોડે. બિલકુલ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એમ જ. કોઈ બૅન્કમાં ચેક જમા કરાવવાનું ભૂલી જાય તો કોઈ વળી છોકરાઓની સ્કૂલમાં ફી ભરવાનું ભૂલી જાય.
થોડા દિવસ પહેલાં એક મેળાવડામાં જવાનું બન્યું. એક ભાઈએ આવીને “ભટ્ટજી, કેમ છો?” પૂછ્યું. અમે સાવ નિશ્ચલ ભાવે એમની તરફ તાકી રહ્યાં. ભાઈએ છેલ્લે ક્યાં મળ્યાં હતાં, કેવી રીતે ઓળખાણ છે એનાં પૂર્વાપર સંબંધની યાદ આપી ત્યારે માંડ યાદ આવ્યું કે ઓહો! આ તો ફેસબુકવાળા. યાદશક્તિનું એવું છે કે કોઈવાર બહુ જૂનું વર્ષોનાં વર્ષો યાદ રહે તો કોઈ વાર સાવ નજીકનાં જ ભૂતકાળનુંય મગજમાંથી કદી બન્યું જ ન હોય એમ ભૂંસાઈ જાય છે. “ભૂલી જ ગયો/ગઈ” વાળું વાક્ય અત્યંત વરદાનરૂપ હોય છે. ઘણી વાર કોઈએ કશું સોંપ્યું હોય અને ન થઈ શક્યું હોય તો આ “ભૂલી ગઈ/ગયો” વાળી ઉક્તિ ઢાલ સાબિત થાય છે. જેમ પ્રેમને કોઈ ઉંમર નડતી નથી એમ ભૂલકણાપણાંનેય ઉંમરનો કોઈ બાધ નડતો નથી. ગમે તે ઉંમરે ભૂલી જઈ શકાય છે. ભૂલી જવું એ સામાન્ય ઘટના છે. દરેક સામાન્ય કે અસામાન્ય વ્યક્તિનાં જીવનમાં ક્યારેક તો બની જ હોય છે. એકવાર એક જ્ઞાતિના વાર્ષિક સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હતું. નાનાંમોટાં બાળકો સરસ મજાનાં તૈયાર થઈને એક હરોળમાં ગોઠવાઈ ગયા હતા. વારાફરતી બધાંના નામ બોલાયાં ને બાળકો સ્ટેજ પર આવીને ઇનામ, સર્ટિફિકેટ લઈને ફોટો પડાવવા ઊભાં રહ્યાં. અચાનક જ આયોજકે જાહેરાત કરી કે બાળકો, તમારાં સર્ટિફિકેટ અહીં જ મૂકીને જજો. તમને પછીથી ટપાલમાં મોકલી આપવામાં આવશે. કારણ કે સર્ટિફિકેટ પર આપણા જ્ઞાતિનાં પ્રમુખશ્રીના હસ્તાક્ષર કરાવવાનાં રહી ગયા છે. બાળકો એ સર્ટિફિકેટ પાછાં આપ્યાં અને પ્રેક્ષકગણમાં થોડો ગણગણાટ થઈને ઠરી ગયો.
બાજુવાળા હસુકાકા એમ તો એકદમ ચોક્કસ છે પણ કોણ જાણે કેમ એ કાકીની ટેરીટરીમાં આવે કે ગરબડ શરૂ. ચાવી, પાકીટ, રૂમાલ કે ફોન ભૂલી જ ગયાં હોય. કાકા ઑફિસ જતા હોય ત્યારે કાકી ઉંબરે બૂમ પાડે, “રૂમાલ, ચાવી પાકીટ લીધાં?” કાકા ત્રણમાંથી કંઈક તો ભૂલ્યાં જ હોય. જે દિવસે કાકી આવી બૂમ પાડવાનું ભૂલી જાય એ દિવસે કાકાએ અચૂક મોબાઇલ અથવા પાકીટ લેવા ઘેર આવવું જ પડે. એકવાર એવું થયું કે કાકીને કોઈ કારણોસર દવાખાને જવું પડ્યું. હસુકાકા એમની ઑફિસથી સીધા દવાખાને પહોંચ્યા. ત્યાંથી નીકળતી વખતે કાકી સ્કૂટર પાસે ઊભા રહ્યાં. કાકાએ એમને એમ કહ્યું કે હું સ્કૂટર વળાવી લઉં પછી તું બેસ નહીં તો આપણે બેય સ્કૂટર સહિત બેસી પડીશું.” કાકી હા ભણીને સહેજ દૂર ઊભાં રહ્યાં. કાકાએ સ્કૂટર વળાવીને ઊભા રહેવાને બદલે વાત કરતા કરતા કાકીને લીધા વિના સ્કૂટર ચલાવી મૂક્યું. કાકી બિચારા થોડીવાર રાહ જોઈને ઊભાં રહ્યાં. પછી દવાખાનાની બહાર બાંકડા પર બેસી ગયા. એટલામાં ડૉક્ટર બહાર આવ્યા ને કાકીને જોયાં. ને ઘડીકમાં જ વાત પામી ગયા. – છેવટે ડૉક્ટરનો કમ્પાઉન્ડર કાકીને એમના ઘેર મૂકી ગયો. તે દિવસથી કાકી કાકાને એમના ભૂલવાપણાં વિશે સંભળાવવાની એક પણ તક જતી કરતા નથી. સામાન્ય રીતે જાહેર વાહનવ્યવહારમાં નાની નાની વસ્તુઓ લોકો મૂકી આવતાં હોય છે. મુખ્યત્વે એમાં છત્રી, ફોનનાં ચાર્જર, નાની બ્રીફકેસ, પુસ્તકો, ચાવી, ટિફિન ભૂલી જવાતાં હોય છે. મુંબઈમાં એક વાર બેસ્ટની બસમાં હવાલદારની લાઠી સુધ્ધાં મળી આવી હતી. તો કોઈ વાર દૂધની કોથળીઓ, તેમની શીશીઓ, શાકભાજી, બિસ્કિટ વગેરે પણ જોવા મળી જાય છે.
યાદશક્તિમાં થોડો ઘટાડો થવાનું એક કારણ સ્માર્ટફોન પણ છે. સ્માર્ટફોન/ મોબાઇલ ફોન આવ્યા પહેલાં આપણામાંથી ઘણાં બધાને ઢગલો ફોન નંબર યાદ રાખવાની ટેવ હતી. મોબાઇલ ફોનની ફોનબુકની સગવડ અને અમુક જ અક્ષર ટાઇપ કરવાથી સ્ક્રીન પર આવી જતાં પરિણામોથી નંબરો યાદ રાખવાની ટેવ છૂટી ગઈ. મોટા ભાગનાં મોબાઇલ-વપરાશકર્તાઓને એમના મોબાઇલની ફોનબુકમાં સચવાયેલા નંબરોમાંથી માંડ દસ ટકા નંબર જ યાદ હશે. એમાંય હસુકાકાને તો પોતાનોય નંબર યાદ નથી. મોટા ભાગે એ સામેવાળાને જ કહે કે “તમારો નંબર આપો હું મિસ કોલ મારું છું. જે નંબર આવે એ મારો છે. સેવ કરી દેજો.”
મોબાઇલમાં ફોનબુકમાં સરખા નામથી ગોટાળાય થઈ જાય ને કોઈ વાર ધોલધપાટનોય વારો આવી જાય. એક મિત્ર નામે મિલન. મિલનના મિત્રનું નામ અશોક હતું અને બલિહારી એવી કે મિલનના પિતાનું નામ અશોકભાઈ. મિત્રએ અશોક 1 અને અશોક 2 નામથી નંબર સ્ટોર કરેલા, થયું એવું કે એકવાર અમારા મિત્ર મિલનનાં પિતા “અશોકભાઈ”એ મિલનને ફોન જોડ્યો. સ્ક્રીન પર “અશોક-1” નામ વાંચ્યું પણ મિલન ભૂલી ગયો કે એ નંબર પિતાશ્રીનો છે. એને એમ યાદ રહ્યું કે આ નંબર મિત્ર અશોકનો છે. ફોન ઊંચક્યો ને સામે છેડેથી આજે સાંજે શું કરવાનું છે? એવો પ્રશ્ન અશોકભાઈએ પૂછ્યો. મિલન કામની ધૂનમાં હતો તેણે જવાબ આપ્યો, બે યાર અશ્કા મગજનું દહીં થઈ ગયું છે. તું આપણી પેલી બાટલી મંગાઈ રાખ આવું છું. સી. યુ. મોડેથી નીકળું છું. ઘરે જવા હમણાં જ.” એમ કહીને મિલને ફોન મૂક્યો અને ઘરભણી પ્રયાણ કર્યું. ઘરે પહોંચ્યા પછી અશોકભાઈએ મિલનને “સી. યુ.” કર્યું બરાબરનું. ને ભાઈ મિલને તાત્કાલિક મોબાઇલમાં અશોક-1નાં બદલે “ડેડી” લખી નાંખ્યું.
એવું કહેવાય છે કે આપણે આપણા મગજનો માત્ર 10 ટકા જ ઉપયોગ કરીએ છીએ. એમાંય મોટા ભાગે તો બિનજરૂરી બાબતો જ યાદ રાખીએ છીએ. જાતજાતનાં સંશોધનો પછી સાબિત થયું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની યાદશક્તિ વધારે સતેજ હોય છે. એટલે જ અલ્ઝાઇમર્સના કિસ્સા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આ અલ્ઝાઇમર્સ વારસાગત રોગ છે. અમારા એક સંબંધીને આ રોગ છે. એ ખિસ્સામાં પોતાનાં નામસરનામાવાળી ચિઠ્ઠી લઈને જ નીકળે. “બ્લેક” ફિલ્મમાં અમિતાભ બચ્ચનને આવી બિમારી થયેલી અદ્ભુત દર્શાવી છે.
આપણા દેશમાં સામૂહિક ભૂલકણાપણાનો રોગ સર્વવ્યાપી છે. કોઈ પણ ઘટના-દુર્ઘટના ઘટે કે તરત જ એના વિરોધમાં મીણબત્તી, વાવટા લઈને ઊતરી પડવાનું ને મીણબત્તી પૂરી થાય એટલે આપણે શેનો વિરોધ કરતા હતા એય ભૂલી જઈને પાછાં રૂટિનમાં પરોવાઈ જઈએ છીએ.
રાજકારણ અને ફિલ્મ જગત બે એવાં ક્ષેત્રો છે કે જ્યાં ભલભલા માંધાતા મોટાં મોટાં ઝઘડા ભૂલી જઈને એક થઈ જાય છે. ગઈકાલે એકબીજા પર કેવા દોષારોપણ કર્યાં હતાં. એ અચાનક જ બાષ્પીભવન થઈ જાય અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેવા માંડે. આવા સગવડિયા ભૂલકણાપણાંનો કોઈ ઇલાજ કશેય નથી.
ખોંખારો : ભૂલી જવું અને માફી આપી શકવાને ગાઢ સંબંધ છે. તમે ભૂલી જાવ તો જ કોઈને સરળતાથી માફ કરી શકો.


તમને ‘સ્વિમિંગ’ આવડે છે?21/1/16

#MumbaiSamachar  thursday- 21/01/16 Laadki section -મરક મરક 

 
http://bombaysamachar.com/epaper/e21-1-2016/LADKI-THU-21-01-2016-Page-4.pdf


— શિલ્પા દેસાઈ

ડીંગ..ડોંગ... સવાર સવારમાં ડૉરબેલ સાંભળતા ચકુડિયો દોડીને બારણા પાસે ધસી ગયો ને દરવાજો ખોલતાં જ બોલ્યો ; “આવો, આવો કાકા...”
“પપ્પા ક્યાં?” હસુકાકાએ પૂછ્યું.
“એ તો નાહવા ગયા છે.” ચકલાએ જવાબ આપ્યો.
“પણ, મારે એમને નાહવા લઈ જવાના હતા ને?”
ચકલો હસ્યો ખી...ખી... ખી... જુઓ આ પપ્પા નીકળ્યા નાહીને... એમને નાહતા આવડે છે કાકા...”
એ ચકુડિયા... કાકાની ઉડાવે છે? તને ખબર છે ને કે હું ને તારા પપ્પા છેલ્લાં 12 વર્ષથી સાથે જ સ્વિમિંગમાં જઈએ છીએ. “અમારું ચાલે તો ત્રણસો પાંસઠે દિવસ સ્વિમિંગ કરીએ. પણ સ્વચ્છતા અભિયાન આપણેય માનીએ છીએ હોં.” તને સ્વિમિંગના ફાયદા ખબર છે? બેસ તારા પપ્પા તૈયાર થઈને આવે ત્યાં લગી. તને પાંચ મિનિટમાં સ્વિમિંગનું સિક્રેટ હમજઈ દઈસ.”
ચકલો “સિક્રેટ” શબ્દ સાંભળીને જરા લલચાયો અને મોબાઇલ પર ગેમ રમવાનું મુલતવી રાખીને હસુકાકાની સામે ગોઠવાયો. “જો સાંભળ, સ્વિમિંગ એક કળા છે. આઈ મીન આર્ટ... આ એકમાત્ર એવી કલા છે કે જે શારીરિક સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સ્વિમિંગથી બાળકના હાઇટબોડી મજબૂત બને છે. પાછું વજન ના વધે હોં. દરેકે દરેક ઉંમરની વ્યક્તિ માટે તંદુરસ્તી કાયમ રાખવા સ્વિમિંગ એક અદ્ભુત કસરત છે. એક ઝેન કથાય છે સ્વિમિંગ સાથે સંકળાયેલી બોલ ચકલા. એક સાધુ એના શિષ્યને લઈને નદી પાસે આવ્યા. નદીના સામે કાંઠે આશ્રમમાં પહોંચવાનું હતું. એક સ્ત્રી પણ ત્યાં ઊભેલી. પણ એને તરતા આવડતું ન હતું. વળી પાણીય ઊંડું હતું. એટલે ગુરુએ સ્ત્રીને પોતાની પીઠ પર બેસાડી નદી પાર કરાવી. શિષ્ય બધું જોઈ રહેલો. એણે આશ્રમ પર આવીને રહેવાયું નહીં એટલે ગુરુને પ્રશ્ન કર્યો કે આપણે સાધુ લોકો તો સ્ત્રીઓથી દૂર રહીએ ને તમે તો એને પીઠ પર બેસાડી નદી પાર કરાવી. ચકલા હવે ગુરુએ જે જવાબ આપ્યો એ હમજવા જેવો છે. ગુરુએ કહ્યું : “મેં તો એ સ્ત્રીને નદી પાર કરાવીને સામે કાંઠે ઉતારી દીધી પણ, તું તો એને ઠેઠ આશ્રમ સુધી લઈ આવ્યો. ચકલા ગુરુમાં આ ફિલસૂફી કેવી રીતે આઈ ખબર છે? જો પેલી સ્ત્રીને સ્વિમિંગ આવડતું હોત તો એ જાતે જ નદી પાર કરી ગઈ હોત અને જગતને આ મહાન ગૂઢ વાત સમજવા ન મળી હોત.”
ચકલો ત્રાટક કરતો હોય એમ હસુકાકાને તાકી રહેલો જરા વાર રહીને બોલ્યો : “કાકા, આપણુંય સ્વિમિંગનું ફૉર્મ લેતા આવજો. આપણેય સ્વિમિંગ શીખવું છે નહીં તો કોઈ દિવસ હુંય ઝેન કથાનું પાત્ર થઈ જઇસ.” બંને હસ્યા ને ચકલાના પપ્પા બાબુભાઈની એન્ટ્રી થઈ. એમણે કહ્યું, “હસુભાઈ, આજે મેળ નહીં પડે. અત્યારે મારે એક મિટિંગ છે. બપોરે ફ્રી થઈશ. એટલે હવે તરવાનું કાલે.”
“પણ, પપ્પા. બપોરે સમય હોય તો બપોરે જઈ આવજો ને... દિવસ શું કામ પાડવાનો? મારું ફૉર્મ બપોરે લેતા આવજો.”
“હા પણ ચકલા... બપોરે સ્વિમિંગમાં ના જવાય. લેડિઝ ટાઇમ હોય. જેન્સ નૉટ એલાઉડ.”
“પણ કોઈ જેન્સને બપોરે જ ફાવે એમ હોય તો?”
“તારા જેવા હોય ને એવા બપોરવાળાઓએ નદીમાં પાણી હોય તો કિનારે બેસીને છબ છબ કરી લેવાનું. વાર્તા પૂરી; ને હવે મારો પારો છટકે એ પહેલાં ભાગ અહીંથી... ને ચકલાએ રૂમની બહાર ચાલતી પકડી.
શરીરને સાજુંસમુ રાખવાનાં અનેક નુસખાંઓમાં શિરમોર છે. “સ્વિમિંગ.” સ્વિમિંગ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જો તમને સ્વિમિંગ આવડતું હોય તો એમાં “સ્ટાઇલો” મારવાની અઢળક તકો રહેલી છે. “બેકસ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ, વાટરફ્લાય. અંડરવૉટર વગેરે વગેરે. ઘણા અનુભવીઓ બેકસ્ટ્રોક એટલે કે પાણી પર ચત્તાપાટ પડીને તરવાનું પસંદ કરે છે. આકાશદર્શન કરતાં કરતાં તરવામાં એક તકલીફ એવી થાય કે દિશાભાન ઓછું રહે અને આજુબાજુનાં તરવૈયાઓ સાથે અથડાઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે. કોઈ વાર ઈજાગ્રસ્ત બી થઈ જવાય. તો અન્ય બેક સ્ટ્રોકવીરની અડફેટમાં આવી જવાય ત્યારે હેડ-ટુ-હેડ ઢીસુમ થઈ જવાય. બેક સ્ટ્રોક સ્ટાઇલનો એક ફાયદો એવો છે કે આકાશ દર્શન કરતાં કરતાં તરવાથી તમારી દૂરની નજર સુધરે છે. આવડા મોટાં આકાશમાં આપણે જોવા સિવાય કશું ઉકાળવાનું હોતું નથી માટે એકાગ્રતાય વધે છે. એકાગ્રતા વધવાથી મન પર કાબૂ વધે છે અને મન આડુંઅવળું ભટકતું અટકે છે.
“અંડર વૉટર સ્વિમિંગ” નામનો પ્રકાર સોટા એટલે કે રોફ મારવા બહુ ઉપયોગી સાબિત થાય છે. ‘શાન’ નામની હિંદી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશીકપૂર સ્વિમિંગ પૂલમાં અંડરવૉટર સ્વિમિંગ કર્યા પછી કોક ભળતી જ જગ્યાએ ગટરનું ઢાંકણું ખોલીને નીકળે છે. ડેન્માર્કના ‘સ્ટિંગ સીવરીનસેન નામના તરવૈયાનાં નામે સળંગ 22 મિનિટ જેટલું “અન્ડરવૉટર” તરવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે. ઘણી વાર તરવૈયો લાંબા સમય સુધી “અંડરવૉટર” રહે તો બહાર ઊભા રહીને જોતાં હોય એને એમ જ થાય કે આ ગયો ત્યાં તો એ સામા છેડેથી ફિલ્મોમાં જેમ એકદમ જ દેવીદેવતાઓ પ્રગટે છે એમ પ્રગટે. એ વખતે એનો ચહેરો જોયો હોય તો કોઈએ ગળચી દબાવી હોય અને માંડ માંડ છૂટ્યો હોય એવો જ લાગે. કોઈ પણ રમત સમૂહમાં રમવાથી એ રમવાની મજા અનેકગણી વધી જાય. આપણે ત્યાં લગ્ન પછી વરવધૂને કંકુવાળા પાણી ભરેલી કથરોટમાં રૂપિયો રમાડવાની પ્રથા છે. આવી જ રમત સ્વિમિંગ પુલમાં રૂપિયો કે ચાવી કે અન્ય વસ્તુ નાંખીને અંડરવૉટર જઈને એ શોધવાની રમાય છે. ફરક માત્ર એટલો પેલી કથરોટમાં માત્ર વરવધૂ જ રૂપિયો શોધવાની રમત રમે. કથરોટમાં માત્ર હાથ જ ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે સ્વિમિંગપુલમાં આખેઆખા પાણીની મંઈ ગરકી જવું પડે છે અને એના માટે વરવધૂ જ હોવાં જોઈએ એવા કોઈ નિયમો નથી હોતા.
સ્વિમિંગ કર્યા પછી ભયંકર ભૂખ લાગે છે એટલે જ દરેક સ્વિમિંગ પુલ/સ્નાનાગારની બહાર ભજિયા-ગાંઠિયા, ચાની લારીઓ ધમધોકાર ચાલતી હોય છે. જેટલી કૅલરી સ્વિમિંગ કરીને બળી હોય એટલી કે એનાથી વધુ કૅલરી આ બધું ગ્રહણ કરીને ફરીથી ભેગી કરી લેનારા તરવૈયાઓનીય ખોટ નથી. એટલે જ સ્વિમિંગ પુલમાં રંગબેરંગી કોશ્ચ્યુમ પહેરેલાં ફાંદાળા, અદોદળા તરવૈયાઓ જોવા મળે જ મળે.
હમણાં છાપામાં એક સમાચાર હતા કે એક સિંહણ તરતી તરતી કશેક પહોંચી ગઈ. એ પછી એને મજા પડી હોય કે બીક લાગી હોય પણ એણે ઊછળી ઊછળીને તરવાનું ચાલુ રાખ્યું. કેટલાંક જીવદાયપ્રેમીઓને આ સિંહણની દયા આવી અને એમણે જંગલખાતાને જાણ કરી અને સરવાળે સિંહણ ઘરભેગી થઈ. હમણાં હમણાંથી સિંહો દરિયાકિનારેય જોવા મળે છે એવું એક સર્વે કહે છે. એટલે સિંહોમાંય તરવાના ધખારા હોય કે પછી તંદુરસ્તી અંગે જાગૃતિ આવી હોય એમ બને.
તરવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે એક વાર શીખો તો પછી જિંદગીભર ભુલાતું નથી. કોઈ ભાષા શીખ્યા હોય અને જો પ્રેક્ટિસ ના કરો તો ભૂલી જવાય પણ સ્વિમિંગ કદી ભૂલાતું નથી. કદાચ અકસ્માતે કોઈ અજાણ્યા પાણીમાં પડી જાવ અથવા કોઈ પાડી નાંખે તો તમે તરત જ ડૂબી જાવ એવું કદી ન બને...
કાશીમાં અનેક લોકોનાં ઘરે બાથરૂમ જ નથી. કેટલાંય એવા લોકો છે જે ત્રણસોને પાંસઠ દિવસ ગંગા નદીમાં જ ડૂબકી લગાવીને નાહઈ લેતા હશે. ગામડામાં તળાવ કે નદીમાં ધુબાકા મારતાં છોકરાંઓને જોઈને એવી રીતે ધુબાકા મારવાની લગભગ દરેકને ઇચ્છા થઈ જ આવે. આમેય, જિંદગીમાં ક્યારેય પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે અને કોઈ ઉપાય ન બચે તો ભગવાનને પ્રાર્થના કરવાથી કોઈ વાર તરી જવાય છે. આમ, તરણકલા અને આધ્યાત્મિકતાને પણ સંબંધ છે ને શરીર ભીનું ન થવા છતાં તમે તરી જાવ છો. જીવનમાં સહુએ એક વાર તરણકલા તો શીખી જ લેવી જોઈએ એવું અમારું દૃઢપણે માનવું છે, “ક્યા પતા કૌન ધક્કા દે દે પાની મેં...”
ખોંખારો : શાંત પાણીમાં ઊંધા સૂઈને પલાંઠીવાળીને માત્ર શ્વોસોશ્વાસ નિયમિત રાખવાથી સ્થિર રહી શકાય છે. પણ શાંત પાણી હંમેશાં ઊંડાં હોય છે ને પલાંઠી છોડવામાં જો નિષ્ફળતા મળે તો જળસમાધિ થઈ જાય એવાય ચાન્સીસ ખરા. એટલે આપણે યોગ જ કરવા હોય તો બગીચામાં કરવા. સ્વિમિંગ પુલમાં તો નહીં જ....

નસકોરાં - ઊંઘ,બડે આરામ સે!!!

MUMBAI SAMACHAR-14/01/16 ,THURSDAY Laadki section ..


 
થોડા દિવસ પહેલા એક મિત્રને મળવા જવાનું થયું. બધા ગપાટા મારતા હતા અને અચાનક નસકોરા બોલતા હોય એવો અવાજ આવવા મંડ્યો . અમે ઘડિયાળ માં જોયું . રાત્રીના ૧૦ થયા હતા એટલે યજમાન મિત્રના ઘરમાં કોઈનો સુવાનો સમય હશે એમ માન્યું પણ વળી જોયું તો યજમાનના દરેક કુટુંબીજનો તો અમારી સાથે બેઠા હતા તો આ નસકોરા કોણ બોલાવતું હતું ? શું અમારી વાતો એટલી બધી કંટાળાજનક હતી કે કોઈ સુઈ જાય એવો સંદેહ પણ જાગ્યો અમારા મનમાં . થોડીવાર સુધી તો તાલબધ્ધ નસકોરા ને ગણકાર્યા વિના વાતો ચાલુ રાખી પણ પછી અમારી ધીરજ ખૂટી અને યજમાન ને આ નસકોરા કોના છે એમ પૂછી જ પાડ્યું . યજમાન અમારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા . જરાવાર રહીને એમને ખ્યાલ આવ્યો કે અમે નસકોરા ના માલિક વિષે પૂછી રહ્યા હતા એટલે એમણે ફોડ પાડ્યો કે " અમારો ડોગી છે , એ સુઈ જાય ત્યારે આવા નસકોરા બોલે છે " આ પછી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે માણસ સિવાય કુતરા , બિલાડા , ગાય , બળદ , ઘેટા , ભેસ , હાથી , ચિત્તા , વાઘ , વાંદરા , ઘોડા, ખચ્ચર અને ઝેબ્રા પણ નસકોરા બોલાવવામાં સક્ષમ છે .
 
નસકોરા બોલાવવાના કારણો / ઉપાય વિષે વિશ્વમાં ઠેર ઠેર સંશોધનો થયા હશે પણ નસકોરા બોલવાની શરૂઆત એકઝેટ ક્યારથી થઇ હશે એ વિષે સંશોધન પ્રિય દેશ અમેરિકા ય સાવ અજાણ છે . નસકોરા બોલવાની શરૂઆત ક્યારથી થઇ એ તો યક્ષપ્રશ્ન છે પણ એની શરૂઆત ચોક્કસપણે નાકથી થઇ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .
 
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ ' એ હું નહિ ' વાળું રટણ લગભગ દરેક નસકોરાવીર કરે છે . અતિશય થાક અથવા શ્રમ કર્યા પછી નસકોરા બોલવા એ સામાન્ય છે પણ એ સિવાય નસકોરા બોલાવા એ ભવિષ્યની બીમારીઓ તરફ ઈંગિત કરે છે. જે વ્યક્તિ ચરબીયુક્ત હોય , મેદસ્વી હોય એને નસકોરા બોલવા એ સહજ બાબત છે પણ એ વ્યક્તિઓના તીણી સિસોટી જેવા અવાજના નસકોરા બોલતા હોય એવું ય બને તો કોઈને રીક્ષાની ઘરઘરાટી જેવા , કોઈ ને શ્વાસ લેતી કે છોડતી એમ બેય વખત તો કોઈને બે માં થી એક જ વાર નસકોરા બોલે એમ બને. મોટાભાગે આ નસકોરાના બ્યુગલ થોડીવાર સતત સંભળાય પછી એના માલિક ઝબકી જાગી જાય એટલે એ પડખું ફરી જાય ને નસકોરા બંધ . વળી પાછા થોડીવાર રહીને રામ એના એ .
 
આપણા દેશમાં સહનશીલતાનો મહિમા દરેક ક્ષેત્રમાં વર્ણવાયો છે અને લગ્નસંસ્થા પર અતુટ વિશ્વાસ હોવાથી પતી-પત્ની બેમાંથી એક ને પણ જો નસકોરા બોલતા હોય તો બીજું પાત્ર મોટેભાગે ચલાવી લે છે . મારા એક મિત્રને નસકોરા ખુબ બોલે . એમના પત્નીની સહનશીલતા ની હદ આવી જાય ત્યારે એ પતિદેવને રીતસર હચમચાવી નાખે એટલે ભાઈ સફાળા જાગી જાય. જરાવાર તુતુમેમે ચાલે પછી બધું થાળે પડે . મિત્ર કોઈ પણ હિસાબે માનવા તૈયાર જ નહિ કે પોતાને આટલા બધા ભૂંગળા જેવા નસકોરા બોલે છે એટલે મીત્રપત્નીએ એક રાત્રે મિત્રના જ સ્માર્ટફોનમાં એમના નસકોરાનો ધ્વની રેકોર્ડ કર્યો . બીજા દિવસે સવારે ચા પીતી વખતે મેડમે પેલી રેકર્ડ ચાલુ કરી. મિત્રને એમ કે કોઈના નસકોરા છે એટલે એમણે સહજ પૃચ્છા કરી કે આ મિલના ભૂંગળા કોના છે . " તમારા " મીત્રપત્ની ઉવાચ . મિત્ર તો ચા કરતા ય વધારે ગરમ થઇ ગયા . ખાસ્સી રકઝક પછી એમણે સ્વીકાર્યું કે પોતાને નસકોરા બોલે છે . નસકોરાના ત્રાસને લીધે આપણા દેશમાં દંપતીઓના છૂટાછેડા નોંધાયા નથી પણ વિદેશોમાં તો છૂટાછેડા માટે આ એક મજબુત કારણ છે . ત્યાની પ્રજાની સહનશીલતા એક તો ઓછી અને એમાં ય લગ્નજીવન કરતા શાંતિથી ઊંઘવાનું એમને મન વધુ અગત્યનું છે !!!!!
 
ઘણીવાર આવા નસકોરા વીર સિનેમાગૃહ કે બસ / ટ્રેન માં ય ભટકાઈ જાય . સિનેમા જોવા આવે પછી કંટાળો આવે એટલે ઊંઘ ક્યારે આવી જાય એ ખબર ન પડે અને ભેગા નસકોરા ય તાલબધ્ધ ચાલુ થઇ જાય. એકબાજુ સિનેમા ચાલતી રહે ને બીજી બાજુ નસકોરા. અમારા એક પાડોશીને જ્યારે પુરતી ઊંઘ ન મળે ત્યારે ગમે તે ફિલ્મમાં ઘુસી જાય . સસ્તામાં સસ્તી ટીકીટ ખરીદે અને જેવી ફિલ્મ ચાલુ થાય એટલે એ ઊંઘી જાય. હોલમાં એ.સી. ચાલુ હોય એનાથી એમને રાહત મળે અને સહ્પ્રેક્ષકોને ફિલ્મની સાથે સાથે મ્યુઝીકલ નસકોરા નો લહાવો ય મળે સાવ મફત માં !!!!. મારી જ વાત કરું તો મને બસ કે ટ્રેન માં બહુ ઝડપ થી ઊંઘ આવી જાય. વાહનની એકધારી ગતિથી મને સરસ ઊંઘ આવી જાય અને મારી સાથેના મને એમ કહે કે " કેટલા નસકોરા બોલાવે છે !!! " ત્યારે હું માનવા જરાય તૈયાર નથી હોતી કે મારે નસકોરા બોલતા હોય .
સામાન્ય રીતે નસકોરા બોલાવતા હોય એ લોકો બીજાના નસકોરા સહન કરી શકતા નથી. છાપાનાં પાના ફેરવવાના ફરફર જેવા અવાજ થી પણ એમને ભયંકર ખલેલ પહોચતી હોય છે માટે એ લોકો રુમ મા એકલા સુવાનુ વધુ પસંદ કરે છે
 
નસકોરા બંધ થાય એ માટે જાત જાતના દાવ અજમાવાતા હોય છે . દા.ત. નાસ લેવો. નાસ લેવાથી શરદીનો નાશ થાય છે અને નસકોરા બોલતા હોય તો એ બંધ થાય છે એવી વ્યાપક માન્યતા છે.
 
શેક લેવો : ઘણા લોકો નાસ લઇ ન શકતા હોવાથી કપડુ ગોટો વાળીને તવી પર તપાવે અને એનો શેક લેતા હોય છે.પણ આવા બધા દાદીમાના નુસ્ખાઓનુ અનુસરણ કરવાના ઉત્સાહ અને જોશ પર ત્રણ ચાર દીવસમાં જ નસકોરા ફરી વળતા હોય છે અને નુસ્ખાઓ યથાસ્થાને જતા રહેતા હોય છે.
 
કેટલાક સમયથી નસકોરા બોલતા બંધ કરવા માટે મેડીકલ સ્ટોર્સમાં વગર પ્રિસ્ક્રિપ્શને જાતજાતના પાટા-પટ્ટી મળે છે . ખરેખર એ કારગત નીવડે છે કે માત્ર માનસિક શાંતિ માટે જ છે એ તો ભગવાન જાણે તો કોઈ વળી કસરત કરવાનું કહે . વધુ વજનથી આ સમસ્યા વકરે છે એવું સંશોધનો કહે છે . વ્યસનો અને નસકોરાને સારા સંબંધો છે એટલે સંશોધનો વ્યસનમુક્તિને પણ પ્રોત્સાહનો આપે છે . સો વાતની એક વાત કે નસકોરા ન બોલે  માટે બધાયે પ્રયત્નો કરવા છતાં ય જો નસકોરા બોલે જ તો  શ્વાસ લેવાનું તો બંધ ન કરી દેવાય ને ...!!!!
 
સમૂહ નસકોરા સાંભળવાનો લહાવો ક્યારેય તમને મળ્યો છે ? આ લહાવો ખાસ લેવા જેવો છે . કોઈ પણ યોગશીબીરના છેલ્લા ચરણમાં તમને આ લહાવો મળશે .કસરતો અને પ્રાણાયમોથી , શ્વાસને લયબદ્ધ રીતે જોરથી , ધીમેથી અંદર બહાર ફેંકીને શરીરના અંદરના ફેરફારોને સામાન્ય કરવા બધા આસનો પુરા થઇ જાય યાને યોગગુરુઓ શવાસન કરાવે છે જેની સંધી છૂટી પાડતા શબ+આસન એવો અર્થ થાય છે જાણે કે શબ પડ્યું હોય એમ પડ્યા રહેવાનું અને આવતા જતા શ્વાસને સાક્ષીભાવે જોયા કરવાના . આ આવતા જતા શ્વાસ થોડીવારમાં જ નસકોરામાં પરિવર્તિત થઇ જાય છે ને શરુ થાય નાસ્કોરાની જુગલબંધી .થોડીવાર બાદ શવાસન પૂરું થાય ત્યારે ધક્કો મારીને શરીર ને જગાડાય અને નસકોરાનો ધ એન્ડ .
 
ખોંખારો :
 કુંભકર્ણ માટે એમ કહેવાતું કે એ છ મહિના જાગતો અને છ મહિના સુતો . જયારે એ ઊંઘતો હશે ત્યારે નસકોરા બોલતા હશે તો એની આજુબાજુ વાળા છ મહિના સુધી અસહિષ્ણુ નહિ થતા હોય ?