Thursday, October 6, 2016

સમયપાલન



એક રેલવે પ્લેટફોર્મ પર મુસાફરો ટ્રેઈનની રાહ જોતાં ઊભાં હતાં.  નિયત સમયે ટ્રેઈન આવી અને પુરતો સમય ટ્રેઈન ઊભી રહેવાની હતી તેમ છતાં બધાં સૌ પહેલાં અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યાં. જેમ લોટના ડબ્બામાં થોડું ઠમઠોરો એટલે લોટ વધારે દેખાતો હોય તો ય  બરાબર સેટ થઈ જાય એમ થોડીવાર પછી  બધાં ય સરખાં ગોઠવાઈ ગયાં. ટ્રેઈન ચાલુ થઈને સહેજ ઝડપ પકડી એટલામાં જ બે ત્રણ જુવાનિયાં દોડતાં આવીને ડબ્બામાં દાખલ થયાં. દોડી દોડીને હાંફી ગયેલાં બરાબરનાં. હાંફ ઓછી થઈ એટલે એક કાકાએ સહેજ વહેલા આવતા હોવ તો આમ દોડવું ન પડે ને અકસ્માતથી ય બચી શકાય એવી વણમાંગી સલાહ આપી.અેટલે એક વરણાગિયો બોલ્યો કે "કાકા, અમને અપડાઉનીયાઓને આમ જ ફાવે. ધીરેથી ટ્રેઈનમાં ચડીએ તો પડી જઈએ. " બોલો. કહેવું છે કંઈ? ઘણાંને એવી ટેવ જ હોય પણ કે કોઈ પણ કામ છેલ્લી ઘડીએ જ પુરું કરે. સમયસર કે સમય કરતા જરા વહેલું લીધેલું કામ પુરું કરવાનું એમને ફાવે જ નહીં. પાછું એમને એ વાતનું અભિમાન પણ હોય. આવાં લોકોનો આત્મવિશ્વાસ પ્રચંડ હોય. પોતાને સોંપવામાં આવેલું કામ સમયસર પૂર્ણ થશે જ એવો વિશ્વાસ એમને હોય એટલો કામ સોંપનારને ય હોય જ એ જરુરી નથી . એટલે કામ કેટલે પહોંચ્યુંની ઊઘરાણી કરી કરીને માણસને હેરાન કરી મુકે.
  છેલ્લી ઘડી સુધી કામ ન કરવાના ગેરફાયદા કરતા ફાયદાનું પલ્લું ભારે છે એવો અમારો નમ્ર અભિપ્રાય છે. છેલ્લે જ કામ કરવાને લીધે ઓફિસમાં તમારી ખ્યાતિ પ્રસરી જાય છે અને અન્ય સાથી કર્મચારીઓ પોતાની અણઆવડત કે કામચોરીને લીધે કામ ન કરી શક્યા હોય તો એ  તમને કામ સોંપતા પહેલાં હજારવાર વિચાર કરે છે.તમે વહેલાસર કામ કરી લીધું હોય તો સાથી કર્મચારી તમારી મદદ લેવા પ્રેરાય છે અને જો એને એવી ટેવ પડી જાય તો એ કામચોર થઈ જાય અને કામ ઓછું કરે. સરવાળે નુકસાન તમને જે પગાર આપે છે એનું જાય કારણકે તમે કાયમ તો કોઈનું કામ કરી નહીં જ શકો. 

  મોટાંભાગે દોડાદોડીમાં કરેલું કામ વધુ સારું થયાનાં દાખલાં ય છે. તમે જોજો કે મોટાં જમણવારોમાં રસોઈયા મોડાં જ આવવા પંકાયેલા હોય છે. પણ પછી એ જે ઝડપથી અને કુશળતાથી રસોઈ બનાવે એ અફલાતૂન જ હોય. ઘરે નિરાંતે રસોઈ બનાવવા છતાં આંગળા ય કરડી  ખાઈએ એવી એકધારી સરસ રસોઈ કેટલીવાર બને છે? 
  કામ શરુ મોડું કર્યું હોય એટલે નિયત સમયમર્યાદામાં પુરું કરવા માટે એડીચોટી કા જોર લગાના પડતા હૈ. એટલે કામમાં અનાયાસે જ ઝડપ આવી જાય. બિલ ગેટ્સે એકવાર એમ કહેલું કે કોઈ અઘરી સમસ્યા આળસુને સોંપી જોવી. એ એનું નિરાકરણ ખાતરીપૂર્વક શોર્ટકટમાં જ લાવશે. બિલભાઈને કદાચ ખબર નહીં હોય પણ છેલ્લી ઘડી સુધી કામ પુરુ નહીં કરનારા પણ એટલી જ કદાચ એથી ય વધુ કાર્યક્ષમતાથી સમસ્યા ઊકેલી બતાવે છે. કારણકે ઓછાં સમયમાં કામ પુરું કરવા માટે એમણે એમની સર્જનાત્મક્તાનો પુરો ઉપયોગ કર્યો હોય છે. આમ, છેલ્લી ઘડીવાળા સર્જનાત્મક વિચારધારા ધરાવતા હોય છે. 
  કેટલાંક પાસે પુરતો સમય હોય તો ય એમને નિરાંતે કરેલા કામમાં જોઈએ એવી મઝા નથી આવતી. કારણકે નિરાંત હોય એટલે એમનું ધ્યાન કામ ને બદલે ઈધરઊધર ભટકે છે.  મોબાઈલમાં ગેમ રમવી, કામ પડતું મુકીને ફોન પર કે પડોશમાં જઈને નાહકના ટોળટપ્પાં ,કૂથલી કરવામાં સમય વ્યતીત કરવાનું એમને વ્યસન થઈ જાય છે અને કામ પર પુરતું ફોકસ કરી શકતાં નથી. મોબાઇલ ફોન કે પડોશી કે ઓળખીતા પારખીતાની સાથે આમ વગર કામનો સમય જવાથી એમાં સંડોવાયેલા બન્ને પક્ષના કામના કુલ માનવકલાકો પર સીધી અસર પડે છે. આવાં બિનકાર્યક્ષમ લોકો સમયમર્યાદામાં કરવા ધારેલું કામ થઈ ન શકવાની ભીતિથી કામમાં છબરડાં કે વેઠ જ વાળે કે બીજું કંઈ?વળી, નિરાંતે કરેલા કામમાં કશું રોમાંચક કે ચમત્કારી બનવાની સંભાવનાઓ નહિવત્ હોય છે એટલે સાહસિકોને એ ધીમી ગતિના સમાચાર જેવું કંટાળાજનક લાગે છે.એમને ટેન્શનમાં હોય તો જ કામ કરવાની મઝા પડે છે. બધું પેપરવર્ક પ્રમાણે પરફેક્ટ જ થતું હોય તો પરિણામની જાણ લગભગ હોય જ છે. પણ જો  કામ પુરું થશે કે નહીંના ટેન્શનની સાથોસાથ એ સારું થશે કે નહીં એવી ય ફિકર હોય તો  એ બમણંુ ધ્યાન દઈને કામ કરે. પરિણામે , એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય . આપણે સૌ જાણીએ છીએ કે જેને પોતાની આવડત અને ક્ષમતા પર વિશ્વાસ હોય એ ક્યાંય પાછા પડતા નથી માટે એનું સમાજમાં પણ સારું એવું વજન પડે છે.
સમય પાલન કરી ને ય મંઝિલ તો એક જ છે તો કાર્યમાં આનંદ મળે અેવી રીતે કામ કરવામાં સમજદારી છે. વેળાસર કામ પુરું કરવામાં બચેલા સમયમાં 'ત્યારે કરીશું શું?'  વાળો  લાખ રુપિયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફળસ્વરુપે સમયપાલક મનુષ્યના મનમાં કંટાળો ઘર કરી જાય છે જે મનુષ્યને આગળ જતાં નિરાશા ભણી ધકેલે છે. મોટાંભાગનાં ડિપ્રેશનના દર્દીઓમાં કંટાળાે જ મુખ્ય ઘટક હોય છે.મોંઘા ભાવની દવાઓ ખાઈને તંદુરસ્તી મેળવવા કરતા બહેતર છે કે દરદ આવે એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દેવી. છેલ્લી ઘડી સુધી કામમાં રોકાયેલા રહેવાને લીધે મગજને આડુંઅવળું વિચારવાનો સમય જ મળતો નથી માટે કાર્યનો આરંભ એવી રીતે કરો કે એ નિયત સમયમર્યાદા સુધી કરવું જ પડે. 
    " આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું " કે " ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર " જેવી કહેવતના જનકને વાંકુ જોવાની ટેવ પડેલી હોઈ એણે છેલ્લી ઘડીવાળાને ઉતારી પાડતી આ કહેવતો બનાવી હશે. એમ પણ બને કે આ કહેવતો    બનાવનાર ગુરુતાગ્રંથિથી પીડાતા હોય અને એ પોતાના સિવાય બીજા કોઈનું સારું બોલી જ ન શકતા  હોય એટલે એ છેલ્લી ઘડીવાળાની કાર્યક્ષમતાથી બળીને  આવી કહેવતો રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હોય. 

ખોંખારો: છેલ્લી ઘડીએ જ કામ પુરું કરનારાઓને લીધે જ સમયપાલનનું મહત્વ છે. 

PUBLISHED IN 'MUMBAI SAMACHAR' 06/10/2016 ,THURSDAY, લાડકી,' મરક મરક ' 

Monday, October 3, 2016

કહેવતો-રુઢિપ્રયોગો મણકો -૫


જાહેર જનતાના હિતમાં જારી:






૧.અા લખાણ મનદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.  કોઇ પણ પ્રકારની હાનિ માટે હમો જવાબદાર નથી. 
૨.જો કોઇને આ ભાષાંતર વાંચ્યા પછી ઢાંકણીભર પાણીમાં ડૂબી જવાની ઇચ્છા થાય તો અે માટે ઢાંકણી ,પાણીનો પ્રબંધ સદરહુઅે પોતે કરવાનો રહેશે. 
૩.દેશીવિદેશી અૉર્ડર લેવામાં  અાવશે નહીં જેની નોંધ લેવી અને યાદ રાખવી.
૪. આ યાદીની અધિકૃતતા અંગે કોઈ પણ પુછપરછ કરવાની સજ્જડ મનાઈ છે.
૫. આ યાદીમાં સ્વેચ્છાએ સુધારો /વધારો કરવાનો કોઈને અધિકાર નથી. 
૬.આ યાદી હજી પાશેરામાં પહેલી પૂણી છે. ભાવકે પોતાનાં જોખમે નવી યાદી બહાર પડે  જોતાં રહેવું.




૧.ઘર કી મુર્ગી દાલ બરાબર - The hen of house is equal to Daal . 




૨. સાપને ઘેર સાપ પરોણો -Snake guest at snake's house 




૩. ઘર ખાવા દોડવું - House runs to eat 



૪. ઘરભંગ થવું - House to be fractured 



૫.ધરતીનો છેડો ઘર - The earth"s end is house 




Thursday, September 29, 2016

ઑપરેશન મચ્છર ભગાવો ...


દ્રશ્ય ૧ :
ઓ બા, આ સોસાયટીમાં બધા ટોળે વળ્યા છે જો. હવન કરાવો . ચાર ચારનાં જુથમાં  લેંઘો-બુસકોટ પહેરેલા ભાઈમાણસ ને નાઈટ ગાઉન પહેરેલી  બાઈમાણસ ઊભીને સેનો ગણગણાટ કરે છે? ને વળી આ કેમેરા, બેટરી લઇને પેલાં માસ્કધારીઓ કોણ ઘુસ્યા છે ? એ લોકો એમની ખડખડપાંચમ જેવી કારનું બારણું ય વાસ્યા વિના કેમ સોસાયટીના કોમન પ્લોટ બાજુ દોડ્યા?  કેમ કોઈ સરખું કહેતા નથી મને? એ માસ્કધારીઓએ 'ખબરદાર કોઈએ પીછો કર્યો છે તો " એવી  રાડ પાડી એ તો મેં બરાબર સાંભળી. મીન્સ મને સંભળાય તો છે જ સરખું. ઓ બા.. આજે મારી વાતનો કેમ કોઈ જવાબ નથી આપતું? એ રોન્કા..અહીં આવ ને બધું કહે મને. શું ચાલી રહ્યું છે આ ?
 "કંઈ નહીં ભટ્ટજી,પેલા બધા માસ્કધારીઓ મેદાન બાજુ ગયા છે.કહે છે કે ત્યાં જ છે બધી મોંકાણ. એ લોકોનાં ધારવા પ્રમાણે મેદાનના ખુણે આખી સોસાયટીનો જે કાટમાળ પડ્યો રહે છે એ જ મેઈન સેન્ટર છે. હમણા જ નિકીનો વોટસપ મેસેજ આવ્યો  મને . પેલા માસ્કધારીઓમાં મેઈન છે એણે કહ્યું કે કોલોની છે અહીં . "
"નિકલીઈઈઈ.. એસીપી પ્રદ્યુમનને ફોન કર.. એ એનું લશ્કર લઈને આવશે તો જ બાત બનેગી. એ જો ભગવાન શંકર ડમરુ વગાડતા હોય  એમ હાથ હલાવીને  " દયા, કુછ તો ગરબડ હૈ ..."  બોલે તો જ માનવાનું કે ગરબડ છે. ને એ જો એમ કહે કે " કાતિલ યહીં કહીં હૈ,અભિજિત ઢુંઢો ઉસે .."  તો કાતિલ સો ટકા અહીં જ હોવાનો. ઓ બા.. હવે સહન નથી થતું. એ રોન્કા , કંઈ કર .. ઓ બા.. "
" ભટ્ટજી, થોડો આરામ કરો એટલે બધું બરાબર થઈ જશે. ને હવે પેલા માસ્કધારીઓએ આંખો પર ચસ્મા ચડાવીને સોસાયટીમાં ખુણેખાંચરે  પેલી સફેદ દવા છાંટી દીધી છે એટલે મચ્છર બચ્છર ગાયબ થયા જ સમજો. ઓપરેશન મચ્છર ભગાવો સક્સેસફુલ . હવે તમે એક કામ કરો. આ હમણાં તમે પાઉટ બનાવેલું ને 'ઓ બા ' બોલતા પહેલાં.. . એ ફરીથી કરોને પ્લીઝ. એક ફોટો પાડીને નિક્કીને મોકલી આપું કે લે આ મસ્ત પાઉટ.. માર્કેટ મેં નયા આયા હૈ. મોજ કર. " 
"રોન્કા , મારી ઊડાવે છે? કંપની સરકાર ગિન ગિન કે બદલા લેગી હોં , યાદ રાખ. ઓ બા.. તું હવે જા. કંઈ જણાવવા જેવું હોય તો જ આવજે.નહીં તો આજે મારો હાથ ઉપડી જશે તારા પર. ઓ બા.."
"ખીખીખી .. પહેલાં તમે  ખાટલામાંથી તો ઊભા થાવ ..એ સોરી સોરી.. જાઉં છું" 



 દ્રશ્ય :૨ 

રામ , સીતા અને લક્ષ્મણજી હાયલા જાય છે હોં જંગલ ભણી. રામ લક્ષ્મણજી તો ભગવા વસ્ત્રોમાં સોહી ઉઠ્યા છે બાપ. ગળામાં મોતીની માળાને બદલે મોગરાંનાં ફુલની માળા શોભી રહી છે ને સીતામાતા તો સફેદ બાસ્તા જેવા વસ્ત્રોમાં સાક્ષાત દેવી ઉતરી આવ્યા હોય એવા દેખાય છે. વાંહોવાંહ આખી અયોધ્યા નગરી હિબકા ભરતી શ્રીરામને વનમાં ન જવા વિનવી રહી છે પણ શ્રીરામ તો એ સમયે નેતા હોવા છતાં વચનનાં પાકા છે. માતા કૈકેયીને આપેલું વચન પુરું કરવા એ બંધાયેલા છે. તમે જુઓ કે રામ અને સીતા તો પતિ પત્ની છે. એકબીજાંની સાથે રહેવા અગ્નિની સાક્ષીએ કોલ દીધાં છે.પણ લક્ષ્મણજીનું બલિદાન જુઓ તમે. એ તો એનો ભાઈ છે. હાર્યે નોં આયવા હોત તો ય હુ થાવાનું હતું પણ લક્ષ્મણજી ધરાર નોં જ માયના ને હારોહાર થઈ જ ગયા. ભાઈ હો તો ઐસા ! બિચારાઓને ખબર પણ નથી કે કાલે હવારે હુ થાવાનું છે. વનમાં એમને કેવાં કેવાં અનુભવો થાવાના ઈ તો ખુદ જાનકીનાથને ય ખબર નથી મારા વહાલા. પણ ત્યારે આ ડેંગ્યુ કે ચિકનગુનીયા કે મલેરિયા કે એવા બધા તાવના વાવર આજના જેવા નહીં જ હોય ,ઓ બા. દાટ વાળ્યો છે મછરાંઓએ તો.આખા દેશમાં બધે વગર ટિકીટે પહોંચીને આતંક ફૈલા રખ્ખા  હૈ કમીનોંને. એકબાર હાથ લગ જાએ તો આમ ચપટીમાં મસળી નાંખીશ. જોવું હોય તો જોજો. ઈટ્સ અ ચેલેન્જ ટુ ઓલ . ડેન્ગ્યુનાં મચ્છર છે કે ચિકનગુનીયાના એ તો કોમનમેનને કેવી રીતે ખબર પડે? આપણા કાન પાસે  આવીને પોતાની જાતિ વિષે બોલતા હોય તો ય આપણાને તો એ ગુનગુનગુન જ સંભળાવાનું છે.ઓ બા.ભલભલા શક્તિમાન ને સુપરમેનોની હવા નીકળી જાય એવું છે આ તાવનું કામ તો બાપા. આંટા લાવી દીધાં. શ્રીકૃષ્ણ જે કર્મનો સિધ્ધાંત કહેતા હતા એ આજે છેક મને સમજાયો. મચ્છર માટે શ્રેષ્ઠ કહેવાય એવું વાતાવરણ આપણે જ  પુરું પાડીએ છીએ. સ્વચ્છતાનાં નામે સોસાયટીમાં કચરો વાળતા હોઈએ એવા ફોટા પડાવીને સોશિયલ મિડીયા પર શેઅર કરી દઈએ એટલે કામ તમામ. પછી એ સાવરણો કે સાવરણી ક્યાં ઉકરડામાં પડી છે એ જોવાની ય આપણે તસદી લેતાં નથી. શેની સ્વચ્છતા વળી? આપણે કરેલાં કર્મોનો હિસાબ  આ મચ્છર લે છે બોલો. ઓ બા.. ને પેલો રોન્કો મારી મશ્કરી કરે છે .પાઉટ કરો તો પ્લીઝવાળો.. એક જમણા હાથની પડશે ને તો ભોંયભેગો થઈ જઈશ. મહાભારતનાં યુધ્ધ વખતે એ લોકોને મચ્છર કરડ્યાં હશે? ક્યાંથી કરડે? બખ્તર પહેરેલાં હોય એટલે મચ્છર પહોંચી જ નહીં શક્તા હોય યોધ્ધાના શરીર સુધી.એવું જ હશે. નહીં તો શ્રીકૃષ્ણે એક આખો અધ્યાય તો નહીં પણ બે-ચાર શ્લોક તો કહ્યાં જ હોત અર્જુનને મચ્છરોના માનમાં.ઓ બા.. કોણ બુમો પાડે છે?  ને મને કોણ હચમચાવે છે આટલું બધું? ત્રાસ કરી દીધો. માંડ આંખ ખોલીને જોયું તો સામે રોન્કો હાથમાં દવા અને પાણી લઈને ઊભેલો દેખાયો.
ભટ્ટજી.. ઓ ભટ્ટજીઈઈ.. ઉઠો . તમારી દવા લેવાનો વખત થઈ ગયો છે. સું બબડતા હતા પણ તમે? કોઈ સપનું બપનું આયેલું? કેટરીના કેફ આઈ 'તી કે એન્જેલિના જોલી? ને આ "ઓ બા " બોલો છો ત્યારે ભલે તમે છો નહીં પણ સોલ્લિડ ઈનોસન્ટ લાગો છો હોં ."
" પેલાં મચ્છર મારવાવાળા ગયા? હોય તો બોલાવી લાવ." 
"કેમ ભટ્ટજી? ઘરમાં ય છાંટી ગયા છે. તમે તો કંઈ રામ, સીતા ને સુપરમેન ને ઓ બા એવું બધું જાતજાતનું બોલતા હતા ઊંઘમાં. એટલે તમને ક્યાંથી ખબર હોય? "
" ઘરમાં નહીં, મારે તારા પર  છંટાવવી છે . બહુ બોલે છે તું આજકાલ.. ઓ બા.."
ને રોન્કાએ ભટ્ટજીને ફટાફટ  દવા પીવડાવી અને ભટ્ટજીના ગુસ્સાથી બચવા રીતસર દોટ મુકી.

ખોંખારો :  નાના પાટેકરવાળી  અમર ઉક્તિ  ' એક મચ્છર સાલા આદમી કો હીજડા બના દેતા હૈ  "  મચ્છરોનો રાષ્ટ્રીય  સંવાદ બની ગયો છે

-એક સમાચાર

PUBLISHED IN MUMBAI SAMACHAR ,૨૯/૦૯૨૦૧૬  thursday લાડકી," મરક મરક" 

Sunday, September 25, 2016

khabarchhe.com weekly column




કોઈ બહુ જૂની ઈમારત અચાનક ધરાશયી થાય કે કોઈ સંસ્થાને કાયમી તાળા વાગે ત્યારે એમાં ઘણું બધું ક્યારેય જાણ ન થવા પામવાનું હોય એ પણ ધરબાઈ જતું હોય છે. કેટલીય સ્મરણયાત્રાઓ એકસાથે નીકળતી હોય છે જાણે અને કેટલાંય સંભારણાંઓ ઢબુરાઈ જતા હોય છે... પત્રો લખવાનું એક મસમોટું સુખ એ હોય છે કે ઘણું બધું સચવાઈ જતું હોય છે. લખી તો જુઓ.. 



(પ્રાણલાલદાદા અને તુષાર ભટ્ટ( હવે બન્ને સ્વર્ગસ્થ) ફોટો સૌજન્ય:  Tushar Bhatt's personal album ) 






Thursday, September 22, 2016

પિતૃસભા અને વડીલોનો કકળાટ

અમારા ખાસ  સંવાદદાતા અને ફોટોગ્રાફરે  જ્યારે સિનીયર્સ ક્લબ એસોસિએશનની મુલાકાત લીધી ત્યારે   સિનિયર સિટીઝન્સ બગીચામાં બેસીને સુખદુ:ખની વાતો વહેંચી રહ્યા હતા. ચોરસ કે ગોળ ,એકેય મેજ વિનાની આ પરિષદમાં સિનીયર સીટી' જનો 'ને  બગીચાનાં ખૂણે કોઈએ કાગવાસ માટે દૂધપાક,પુરી, પાતરાં ને બટાકાની સુકી ભાજી પીરસેલી ડિસ્પોઝેબલ ડીશ પર મંડરાતા 'પિતૃઓ'ની છાની ઈર્ષા  આવી રહી હોય એમ જણાતું હતું. હારતોરા ,માઈક કે સભાસંચાલકની ગેરહાજરીવાળી આ સભામાં ગણ્યા ગાંઠ્યા ધોળા વાળ અને બાકી ચળકતી ટાલવાળા મિસ્ટર પટેલ પોતાની આપવીતી જણાવી રહ્યા હતા: "મારે તૈણ છોકરાં. તૈણે પયણ્યા ત્યોં હંુદી તો શીધા શોટા જેવા હતા.જેવી એક પશી એક વીશનખાળીઓ આઈ પશી જ ખરી મોંકાણ મંડઈ. જ્યોં હુંદી મું નોકરી કરીને પૈશા આલતો હતો  ત્યોં હુંદી તૈણે ય થોડી શીધીઓ રહી પણ મું રિટાર્ડેડ થયો પશી વોંદરીઓએ પોત પ્રકાશ્યું . હરખું કરીને ખાવા ના આલે, ગમે ઈમ બોલઅ.. છોકરાં નોકરીએથીન ઘેર આવે એટલે એક પશી એક ફરિયાદપોથી ઊઘાડે.ને મારા છોકરાં ય વહુઓની કઠપુતળી થઈ ગયેલા બોલો. તમારી કાકી તો ક્યારનાય કૈલાશધામ પોંકી ગયેલા તે આ બધું વેઠવાનું આયુ નઈ. શુખી થઈ જઈ વહેલી જઈ એમોં .એને તો બચારીને ખાવાના ય બહુ ભભડા નહોતા. એ હતી તારઅ મારા બધા ય ચસકા વેઠતી તી. મનઅ બુધ્ધિના લઠ્ઠને જ ઈની કિમત નોતી. એ જઈ પશી વઉઓએ રંગ દેખાડ્યો. હશે હેંડો..મું ય શુ રોમાયણ મોંડીન બેઠો.  "  વડીલની વાતથી વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું અને બધાં ચુપ રહ્યાં. થોડીવાર પછી મિસીસ શાહ બોલ્યા : " મારે તો સારું જ હતું. દીકરો ય રામ જેવો ને વહુ ય સાક્ષાત સીતા. બહુ સાચવી છે મને તો. પણ હવે વહુ જરા બદલાઈ ગઈ છે.રસોઈના ક્લાસ કરે છે તે નિતનવું બનાવે. જુવાનીયાવને તો પથરા ય પચે પણ આપણાને આ ઉંમરે કેવી રીતે પચે? વચ્ચે કંઈ મેક્સિકન બનાયુ તો કોઈને ય ભાવ્યું નહીં. પણ જિદ્દી બહુ છે તે એ આઈટમ સારી થઈ છે એવું બધાંએ ના કહ્યું ત્યાં સુધી સવાર સાંજ એ જ બનાઈને ખવડાઈ. મેં કીંધું કે બાપા ,આ અખતરા પડતા મુક અને આપણું દેસી જ બનાય, તો મારો રામ અચાનક જ રાવણ થઈ ગયો વહુના બચાવમાં. તે આપણે મેક્સિકન રાઇસ ભેગાં ગમ ખાઈને ચુપ રહ્યાં."ત્યાં એક  જરા કડક વકીલ જેવા  દેખાતા  મિસીસ મહેતા  ટહુક્યા: " તે ચલાઈ શેનું લેવાનું? આપણો હક્ક છે સારુ અને પચે એવું ખાવાનો. આપણે મા-બાપ મુઆ એનો અર્થ એ નહીં કે એ જે કરે છે એ બધું બરાબર છે. છણકાઈ કાઢીએ ને એ જ વખતે? હવેની પ્રજા વડીલોને તો ફર્નિચર ને ડસ્ટબીન સમજે છે. " એમનાં સમર્થનમાં સ્ત્રીસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી અને જાતજાતની ચળવળોનાં પ્રણેતા મિસ મુખરજીએ ગર્જના કરી:" આ બધાં પુરુષોનાં જ કારસ્તાન છે. એ જ આવી  બાબતોમાં  બિનજરુરી ચંચુપાત કરી સ્ત્રીઓને ઝગડાવે છે. ને પછી સાસુ-વહુ જેવા સુંદર સંબંધોને લૂણો લગાડે છે.મિત્રો, હવે સમય આવી ગયો છે આ બધાને યોગ્ય પાઠ ભણાવવાનો. પરશુરામે જેમ ધરતીને નક્ષત્રી કરેલી એ રીતે આપણે ધરતીને 'નમર્દી' તો ન કરી શકીએ પણ કમ સે કમ આ નગુણી પુરુષજાતને એટલું તો સમજાવી જ શકાય કે હમ કિસી સે કમ નહીં.પેલું કોઈ મહાત્માએ કહ્યું છે ને ' દુનિયાભરના ગુલામો, એક થાવ, તમારે તમારી સાંકળો સિવાય કંઈ ગુમાવવાનું નથી.આપણે કંઈ પુરુષનાં ગુલામ નથી,રમકડું નથી કે મનફાવે એમ નચાવી જાય.હવે નાચવાનો વારો એમનો છે..." ત્યાં જ મિસ્ટર કાવસજી ઊભા થયા અને કહ્યું: "બાનુ, તમો હુ બોલે તે હમોને જીરીક હો હમ્મજમાં નથી આવતું. આવી બધી પંચાતી કરવામાં જ  તુને કોઈ સોજ્જો પોયરો ની મઇલો ને તુ રેહી ગેઈ હારી. આપને આંય મીઠ્ઠી મીઠ્ઠી ચીટચાટ કરવા ભેગાં થયલા છે. આવી ગઢેરા જેવી બાબતમાં ટાઈમ વેસ્ટ ની કરીએ તો સારુ એવી મેં બધા વતી તમુને રિકવેસ્ત કરું છું.મેં તમુને એક મજેનો કિસ્સો સંભલાવું તે સાંભલો. મિસ્તર ત્રિવેદીનાં ઘરે મેં જમ્મા ગયલો. દુધપાક પુરી ને પાતરાં મારી બો મોટ્ટી કમજોરી છે. આ વખતે દૂધપાક બો મસ્ત બનાવેલો એને તાંના મહારાજે. આપને તો ત્રન વાટકી ભરીને પી લાયખો. ને પછી કમાલ થેઈ. એટલી તો ઊંઘ આવે મને . માંડમાંડ ઘરે આઈવો ને ઘોટાઈ મુયકુ તે ત્રન કલ્લાકે પરાને આંખ ખુલી.મિસ્તર ત્રિવેદીને ફોન કરીને પુઈછું  કે આજે તારી બૈરીએ હુ ખવડાઈવું ,જો ની કેટલી ઊંઘ આવી ગઈ ,હારા ગઢેરા.મિસ્તર ત્રિવેદી કેહ કે એ તો જાયફલ ઊતું દૂધપાકમાં. જીરીક વધારે પડી ગયલું એટલે ઊંઘ આવે .મેં કેહ્યુ હુ હારા આમ ને આમ કોઈને મારી લાખહો તમે. " મિસ્ટર પટેલનાં પુણ્યપ્રકોપથી ડઘાયેલા અને મિસ બોસના પ્રકોપથી દાઝેલા શ્રોતાઓ મિસ્ટર કાવસજીની વાતથી જરા ટાઢાં પડ્યાં. હવે બોલવાનો વારો આવ્યો ઓછાંબોલાં  મિસીસ દવેનો. આડી અવળી કોઈ જ વાત કર્યા વિના એમણે મિસીસ શાહને એમની સીતા રસોઈ શીખવા જાય છે એ ક્લાસની માહિતી માંગી." લગ્નને કેટલાં વર્ષ થયાં તો ય હજુ રસોઈમાં રોજ કેટલી હળદર ને કેટલું મીઠું નાંખુ એમ પુછે છે બોલો. પ્રેમથી ન શીખી શકે તો પારકી મા જ કાન વીંધે એ જ સૌના હિતમાં રહેશે. માણસ બે ટાઈમ ખાય તો ખરું કે નહીં સરખું? "
હજુ ય સભામાં ત્રણ જણને બોલવાનો વારો બાકી હતો. પણ જેવા અમારાં સંવાદદાતા અને ફોટોગ્રાફરને જોયાં કે દરેક  પોતપોતાનાં દેખાવ પ્રત્યે સભાન થઈ ગયાં. અને કુંડાળુ સીધી હરોળમાં તબદિલ થઈ ગયું.ફોટો પડી ગયો એટલે દરેક જણે પોતપોતાનાં વોટ્સઅપ નંબર પર અખબારમાં આવે એ ઈમેજ મોકલવા પ્રેમાગ્રહ કર્યો અને બધા ' આવજો, આવજો ,મઝા આવી' જેવા શિષ્ટાચારનાં વાક્યો બોલી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આ તરફ પેલા કાગવાસ પર મંડરાતા 'પિતૃઓ'એ પણ '' આ માણસો તો સહેજે ઠરતા નથી. ઘોંઘાટ કરી મુક્યો એટલામાં તો . પાછાં વગોવે આપણાને 'કાગારોળ'  કરીએ છીએ એમ કહીને " જેવું કંઈક બબડીને બધાએ નીલા ગગન ભણી ઉડાન ભરી. 
ખોંખારો: શ્રાધ્ધ નિમિત્તે હવે પારંપારિક દૂધપાક-પુરી ને બદલે જમાના પ્રમાણે પંજાબી. ચાયનીઝ, મેક્સિકન, થાઈ ફુડ જેવો કાગવાસ મુકાતાં  પિતૃઓ આંદોલનના માર્ગે. - એક સમાચાર.        

Published in Mumbai Samachar, 22/09/2016, thursday , laadki ,  મરક મરક        

Thursday, September 15, 2016

ચલ ચલ ચલ મેરી રામપિયારી..


  ગણપતિજીનું વિસર્જન થાય પછી શ્રાધ્ધપક્ષ બેસે. આપણે ભારતીયો તહેવાર વહેવાર તો ઠીક છે પણ ખાણીપીણીના નિતનવા કારણ ચોક્કસ શોધી પાડીએ છીએ. શ્રાવણ, પર્યુષણમાં ઉપવાસની કઠોર તપસ્યા કરીએ ને પછી ભાદરવામાં પૂર્વજોને શ્રાધ્ધના બહાને આપણે જ દૂધપાક પુરી અને પાતરાં ખાઈએ ને વળી પાછાં નવરાત્રીમાં ઉપવાસ. નવરાત્રીમાં શક્તિ ઉપાસનાની સાથે સાથે વાહનખરીદીનું જબરું મહત્વ છે.કારણો તો ભગવાન જાણે પણ દશેરાના દિવસ પુરતા લગભગ બધાં વાહનો હારતોરાંથી શોભે છે. આ હારતોરાં બીજા દિવસે ગાય બકરી માટે જ્યાફત બને છે.કેટલો  પ્રાણીપ્રેમ!  ઘરમાં નવું વાહન  આવે એટલે 'નવું નવ દહાડા'ના ન્યાયે થોડાં દિવસ બરાબર ધ્યાન રખાય પણ પછી હરિ: ૐ.જરાક સાવધાની મોટી મોટી દુર્ઘટનાઓ ટાળી શકે છે. વાહનને જો આપણે આપણા બાળકની માફક સાચવીએ તો બાળકો તો કદાચેય આગળ જતાં ક-છોરું થાય પણ વાહન ક-વાહન થતું નથી. વાહન સાચવણી શ્રેણી અંતર્ગત અહીં કાર અને પ્લેન સાચવવાની નિવડેલી ચાવીઓ જનહિતમાં જારી કરવામાં આવેલી છે.

 કાર કેવી રીતે સાચવશો? 







૧. સૌપ્રથમ તો પરવડે એવી કાર લેવી. રંગની પસંદગી આપણા near ones dear ones ને સોંપી આપણે ચોક્કસ રંગ માટે વધારાનાં કેટલાં ફદિયાં ચુકવવા પડશે એ ફિકર કરવી . 
૨. કાર લઈ આવ્યા પછી એના પાર્કિંંગ માટે વ્યવસ્થિત જગ્યા નકકી કરો. બંગલામાં પાર્કિગની સમસ્યા ઓછી થાય છે. ફ્લેટમાં આ સમસ્યા ભયંકર વકરેલી જોવા મળે છે. 
૩. પાર્કિંંગ પતે એટલે કારને કવર કરવા વિષે વિચારવું . ઘરમાં જૂની ચાદર ચારસા કે રજાઈ કવરમાંથી સરખંુ માપ લઈ કાર કવર સીવડાવી બચતનો ઉત્તમ દાખલો બેસાડો.ખાસ નોંધ : કારને કવર કરવાથી ધૂળ તડકા વરસાદથી કારનું રક્ષણ થાય છે અને કદાચ ધૂળ લાગેલી પણ હોય તો ય આવતા-જતાં માનવબાળ કારનાં કાચ ઉપર પોતાનાં પ્રેમપ્રકરણોની મફત જાહેરખબર  કરતાં અને કપિ-બાળ કે શ્વાન-બાળ અટકચાળા કરતા અટકે છે. 
૪. કારનું કવર સીવડાવતા વધેલા ચાદર ચારસાના કટકા ચીંદરડા કાર સાફ કરવા ઉપયોગમાં લઈ શકાય. 
૫. કારની ચાવી માટે સરસ મઝાની કિચેન લાવો. દેવીદેવતાના ચિત્રોવાળી, કાર્ટુન, હાર્ટ , શુ,સ્લીપર, એકાક્ષરી ..જે ગમે એ કિચેન લો. ડુપ્લીકેટ ચાવી માટે ઓછી કિંમતની કિચેન પર પસંદગી ઉતારી  શકાય.આ ડુપ્લીકેટ ચાવી ક્યાં મુકી છે એ ઘરના બધા સભ્યોને બરાબર ખબર હોય એ ખાસ ધ્યાન રાખવું. ( ઓરિજિનલ ચાવી ખોવાય એ પહેલાં ડુપ્લીકેટ ચાવી       ખોવાઈ હોય એવો એક દાખલો ઇતિહાસે નોંધ્યો નથી પણ છે ખરો. )
૬. કાર લાંબા સમય સુધી વપરાશમાં ન લેવાની હોય તો દર બે દિવસે કારને સેલ મારો . (સેલ શબ્દને  વેચવાના અર્થમાં ન લેવા વિનંતી) રોજ રાત્રે કારમાંથી સ્ટીરીયોની ચેનલ કાઢીને ઘરમાં બીજા દિવસે મળી જાય એમ નજરવગી રાખો.
૭. કાર લીધા વિના એક દિવસ માટે બહારગામ જતા હોવ તો કારમાંથી ગવંડર કહેતા ગવર્નર કહેતા સ્ટીયરીંંગ છુટુ પાડીને ઘરમાં મુકો.કાર લીધા વિના એકથી વધુ દિવસ માટે સપરિવાર જતા હોવ તો કારના બધા પૈડાં ય છુટાં પાડીને ઘરમાં મુકો.આથી કોઈની મતિ ફરવાની શક્યતા નહીંવત્ થઈ જાય અને કારના નુકસાન કે  કાર-ચોરીનો ભય રાખ્યા વિના નચિંતપણે બહારગામ જઈ શકાય. 
૮. આટલી કાળજી રાખવાથી તમારી કાર શો-રુમમાં હોય એવી જ રહેશે . 
૯.હવે સૌથી અગત્યની વાત . ઘરમાં હાજર હોય એ બધા એ કાર છોડાવીએ કે તરત જ જુદા જુદા એંગલથી  ભૂલ્યા  વિના સેલ્ફી પાડી લેવા. 
૧૦. આટલું ધ્યાન રાખવા છતાં ય કાર વાપરવાથી આજે નહીં તો કાલે,  'રામપ્યારી' તો થવાની જ છે.જો એ પરિસ્થિતિ માન્ય ન હોય તો બધી પળોજણ મુકીને ટોયશોપમાં જઈને એક ટોયકાર ખરીદવામાં સમજદારી છે.



અહીં દર્શાવેલાં એરોપ્લેન- વિમાન સાચવણીના સુચનો  જેનો ભારતીય પાસપોર્ટ રદ થયેલો છે તે  રા.રા. શ્રી શ્રી વિજય માલ્યાને સમર્પિત છે. એમના અભૂતપુર્વ કારનામાંઓ  વિના આ સૂચનો કદી સુઝી શક્યા હોત કે કેમ એ લાખ રુપિયાનો પ્રશ્ન છે. 

#સૌ પ્રથમ એરોપ્લેનને બીયરથી બરાબર ધોઈને લુછી લો. 
#હવે એરોપ્લેનના બારી બારણાં ખુલ્લાં કરી દો. પાયલટ કેબીનમાં ફ્રન્ટ વિન્ડો પણ ખોલી નાખો. જેથી બીયર વ્હીસ્કીની વાસ આવતી બંધ થઇ જાય.
 #બની શકે તો બધી સીટ્સ પણ છૂટી કરી ને એકવાર તડકે મૂકી દો. 
 #બે દિવસ પછી બધી સીટ્સ પાછી યથાસ્થાને મૂકી બારી બારણાં બંધ કરી દેવાં. 
 #હવે એરોપ્લેનને કવર કરી દો. કવર ડેકોરેટિવ બનાવવું હોય તો પ્લેનના લાઈફ જેકેટ્સ ઉપયોગમાં લઇ લેવાય. 
#બારી બારણાં બંધ કરતાં પહેલા પ્લેનમાં સારી કંપનીનું એર ફ્રેશનર છાંટવાનું ભૂલશો નહી. 
#દર ત્રીજા દિવસે પ્લેનની બેટરીને સેલ મારવો જેથી બેટરી ન ઉતરી જાય. 
#પ્લેન સ્ટાર્ટ ન થાય તો આપણે જે દેવીદેવતામાં માનતા હોઈએ તેનું ત્રણવાર જોર થી સ્મરણ કરવું દા. ત. જય માતા દી..કે પછી હર હર મહાદેવ...વગેરે વગેરે અને પછી બજાજના સ્કૂટરને જેમ આડું પાડીને સ્ટાર્ટ કરતા એમ આડું પાડી જોવું.
#દર પંદર દિવસે એરોપ્લેન બીયરથી ધોવું જેથી પ્લેનની ચમક જળવાઈ રહે. 
   બસ,  અત્યારે તો આટલું ધ્યાન રાખશો તો ય તમારા સફેદ હાથી સચવાઈ જશે. તેમ છતાંય, જો તમને પ્લેન સાચવવા ની તકલીફ પડે તો એક એક પાર્ટ છૂટો કરીને અમારા અમદાવાદમાં ગુજરી બજારમાં વેચી મારજો. આ ગુજરીબજાર રીવર ફ્રન્ટ પાસે જ ભરાય છે. અમારા નિષ્ણાતો આ પાર્ટ્સનો ભંગાર " વિજયી આકર્ષણ " ના નામે રાઈડ તરીકે  મૂકી દેશે અને ધુમ કમાણી કરશે . 

ખોંખારો : જ્યોતિન્દ્ર દવે કહેતા એમ સલાહ આપવી સૌને ગમે છે પણ સલાહ લેવી કોઈને ગમતી નથી. કોઈ સલાહ માને કે ન માને , આપણે આપણી ફરજમાંથી પાછા ન પડવું જોઈએ. અમે પણ અમારી ફરજ પુરી કરી છે. કોઈ માનશે કે નહીં માને એની લેશમાત્ર ચિંતા કે દરકાર અમને નથી. માટે જ પડી રહેલા ને ઠાંચરા થઈ ગયેલા વિમાનો માટે ય કથીરમાંથી કંચન ટાઈપ્સ સલાહ પણ તદ્દન નિ:સ્વાર્થભાવે આપી છે.ભવિષ્યમાં કોઈને અન્ય વાહનની સાચવણી અંગે માર્ગદર્શન આપવાની આ સાથે અમે ઉત્સાહભેર ખાતરી આપીએ છીએ.


Published in MUMBAI SAMACHAR ,15/09/2016 Thursday લાડકી, "મરક મરક" 

Cartoons© Desai Shilpa 

Thursday, September 8, 2016

કાકાએ કાકીને કહ્યું કે...

     સામાન્ય રીતે ગુજરાતી ,ખાસ કરીને  સંયુક્ત કુટુંબની પરંપરા છે કે કોઈ મહેમાનને જમવા નિમંત્રે તો ફુલ ભાણું જ હોય. જેમાં મીઠાઈ(સીઝનાનુસાર) ,ફરસાણ, પુરી /રોટલી/રોટલા/ભાખરી ,એક કે બે શાક, દાળ/ કઢી ભાત, કચુંબર-અથાણું-ચટણી /રાયતુ અને પાપડ હોય જ. ઘણાં બિનગુજરાતીઓને એક જ ટંકમાં આટલું બધું ખાવાનું જોઈને આશ્ચર્ય અને આઘાત લાગે છે.એમને એમ જ લાગે છે કે ગુજરાતી ગૃહિણી રસોડામાંથી જ પરવારતી નહીં હોય.હે ભગવાન ,એમને માફ કરી દેજે ,એમને ખબર નથી કે એ કોને અંડરએસ્ટીમેટ કરી રહ્યા છે! 
"તારી કચુંબર ને ચટણી બનાવી નાંખીશ .." આવો સંવાદ જુની ગુજરાતી ફિલ્મોમાં ખલનાયક પુરી કરડાકીથી બોલીને ફિલ્મની  ફ્રેમમાં હાજર અન્ય પાત્રો પર પ્રભાવ પાડવા મથતો અને ફિલ્મી પાત્રો એનાથી ગભરાતા હોય એવો  દેખાવ ઊભો કરાતો પણ પ્રેક્ષકોમાં એ સંવાદથી ભયને બદલે રમૂજ જ ફેલાતી. હકીકતમાં કોઈની કચુંબર કે ચટણી કરવાનું કહેવા પાછળનો ગૂઢાર્થ એમ છે કે બોલનાર એના સાંભળનારની કચુંબરમાં હોય એવા ઝીણા ઝીણા ટુકડા કે ચીરી  કરી શકે એટલો શક્તિમાન છે પણ આજ દિન સુધી કોઈએ કોઈની કચુંબર કરી હોય એવા પ્રમાણ મળ્યા નથી. એટલે થાળીમાં ભલે જરા જેટલી જ જગ્યા રોકાતી હોય પણ અધિકૃતતાની રીતે આ વિષય સંશોધન માંગી લે એવો દળદાર ને દમદાર છે. 



       કચુંબરમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી કાચાં ય ખાઈ શકાય એવા હોય છે.કચુંબર બોલતાવેંત જ ભાવકના મનપ્રદેશમાં લીલા શાકભાજીની વાડીનું અનેરું દ્રશ્ય રચાય છે.લાલલીલા રંગોનંુ સંયોજન ધરાવતી કચુંબર થાળીની શોભામાં વૃધ્ધિ કરે છે.વીસમી સદીના અંતમાં  વિશ્વમાં ,ખાસ કરીને ભારતમાં સ્વાસ્થ્ય અંગેના દાયકાઓથી ચાલી આવતા ખયાલોમાં ધરમૂળ પરિવર્તન આવ્યું અને જાતજાતના ફીટનેસ ટ્રેનર્સની આખી પ્રજાતિનો જન્મ થયો. જુદા જુદા ખાદ્ય પદાર્થોની પૌષ્ટિક્તા અંગે જાગૃતિની એક પ્રચંડ લહેર ઊઠી અને આ લહેરમાં કાચાં , તાજાં  શાકભાજીની કચુંબર શિરમોર થઈ પડી. એમાં ય કોબીજ,ટામેટાં, ડુંગળી, રંગબેરંગી કેપ્સિકમ મરચાંના ભાવ રાતોરાત વધી ગયાં. ડિઝલ પેટ્રોલના ભાવ થોડાં થોડાં સમયે  વધઘટ થાય ,જનતા થોડો ગણગણાટ કરે ને પછી  એ ફેરફારને જીવન જરુરી ગણીને સ્વીકારી લે એમ જ આ શાકભાજીના ભાવોમાં ફેરફાર થાય ત્યારે મોટાભાગે જનતા મુંગે મોંઢે સ્વીકારી લે છે. આખિર અપની સેહત કા ખયાલ ભી રખના પડતા હૈ! બાર ગાઉએ બોલી બદલાય એમ બાર ગાઉએ કચુંબરમાં ય ફરક હોય છે.પરદેશમાં તો ઓલિવ ઓઈલ, મધ, લીંબુ પણ કચુંબરનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે પણ ઉમાશંકર જોષીએ કહ્યું છે એમાં નજીવો ફેરફાર કરીને કહી શકાય કે નામરુપ જુજવાં , અંતે તો કચુંબર ની કચુંબર. થાળીની અધુરપને કચુંબર પૂર્ણતા બક્ષે છે. ખુબ ભૂખ લાગી હોય ત્યારે ત્વરિત ક્ષુધાશમનનો ગુણધર્મ ધરાવતી આ જીવનોપયોગી જડીબૂટ્ટીને વાનગી  કે ફરસાણ મિષ્ટાન્નમાં સ્થાન મળી શક્યું નથી એ એનું કમભાગ્ય નહીં તો બીજું શું? તેમ છતાં ય આ જાલિમ જમાનો પોતાને કઈ કેટગરીમાં સમાવાશે એની ચિંતા કર્યા વિના कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन  અનુસાર પોતાનું કામ કર્યે જાય છે એ એની મહાનતા છે. કચુંબરનો મહિમા અપરંપાર છે.
        થાળીમાં બીજું અગત્યનું સ્થાન રાયતાનું છે. કચુંબરમાં છુટથી વપરાતી  કાકડી, ડંુગળી,કોબીજ જેવી સામગ્રી દહીં સાથે મિશ્રણ કર્યા બાદ  સ્વાદાનુસાર મીઠું, મરચું, ગળપણ નાંખીને  બનાવાતું સ્વાદિષ્ટ વ્યંજન એટલે ' રાયતુ.'  રાઈનો ઉપયોગ ન થતો હોવા છતાં એને 'રાયતુ' કેમ કહેવાય છે એ પણ સંશોધનનો વિષય ખરો. દહીંનો ગુણધર્મ ખટાશ છે અને રાયતાની મઝા મોળા દહીંનું હોય ત્યારે જ વધુ આવતી હોવાથી સવારનું બનાવેલુ રાયતુ સાંજે ઉપયોગમાં લઈ શકાય એવું ભાગ્યે જ રહ્યું હોય છે.વળી, હેલ્થકોન્શિયસ-તાના પરિણામે આયુર્વેદ તરફ ઝુકેલી પ્રજા ' મુળો ,મોગરી ને દહીં..બપોર પછી નહીં ' વાળી આયુર્વેદની પ્રચલિત  ઉક્તિમાં માનવા લાગી એટલે  લીધે કેટલાય દહીંપ્રેમીઓની રાતની થાળીમાંથી દહીં દેખાતું બંધ થઈ ગયું છે. એનો સીધો માર રાયતાને સૌથી વધુ પડ્યો છે પણ રાયતાએ આ અન્યાયના વિરોધમાં 'અનામત આપો ' કહીને કદી મોરચો નથી કાઢ્યો.તેમ છતાં ય શાકની ઘટ પડે એમ લાગે ત્યારે ચતુર ગૃહિણી રાયતુ બનાવીને પરિવારને ઓછા શાકને લીધે પડનારી મુશ્કેલીમાથી બચાવી લે છે .ઘણાં સુંવાળી પ્રકૃતિના હોય છે જેમને દહીં માફક આવતું નથી એ લોકો આ વ્યંજનને થાળીમાં લેવાનો મોહ ટાળે છે અને દુરથી જ નમસ્કાર કરવામાં સલામતી સમજે છે.દહીં સાથે કેળા, સફરજન જેવા ફળના નાના ટુકડા મિક્સ કરીને ખાવામાં અનેરી લિજ્જત આવે છે જે સ્વાનુભવે જ સમજાય. 
       એક સમય હતો કે જ્યારે અથાણુ  એટલે કેરીનું જ હોય એવી માન્યતા વ્યાપક હતી. કાળચક્ર ફરવાની સાથે આ માન્યતા બદલાઈ અને અથાણા સંસ્કૃિતમાં નવો પ્રાણ ફુંકાયો. ' ચા બગડી એનો સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો ને અથાણુ  બગડ્યું એનું વરસ બગડ્યું ' કહેવત પરથી અથાણાનું મહત્વ ખ્યાલ આવે છે.જો કે આગળ પડતા મરચા, તેલ, મીઠાને લીધે અથાણુ થાળીમાં માંડ એક કે બે નાની ચમચી જેટલું જ પીરસવામાં આવે છે. પૌષ્ટિક મૂલ્ય તદ્દન નજીવું તથા શરીરને નુકસાન મૂલ્ય કદાચ સૌથી વધુ હોવા છતાં  કેટલાંક જીભના રસિયાઓ શાક અથાણા જેટલું અને અથાણુ શાક જેટલું લેતા હોય છે. અથાણા જ્યારે શાકભાજી ઓછા મળતા હોય ત્યારે થાળીમાં સહેજ જ  જગ્યા રોકીને ય ભરેલી હોવાનો આભાસ આપે છે . હવેની ગૃહિણીઓ ઘરે વિવિધ અથાણા બનાવવાને બદલે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવા ઉમદા આશયથી તૈયાર અથાણા લેવાનું પસંદ કરે છે એટલે ભલે ઘરે બનાવેલા અથાણા વિસરાતા સુર જેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય પણ  અથાણા માટે હોટલો અને ગૃહઉદ્યોગો માટે ઈશ્વરીય અવતાર છે .
જયાં સુધી કચુંબર, રાયતા, અથાણા થાળીમાં દેખાતા રહેશે ત્યાં સુધી આપણે ભાષા કે સંસ્કૃિતની ફિકર કરવાની જરાય જરુર નથી.

ખોંખારો : કચુંબર , રાયતા અને અથાણાની  કસોટી 'સમય'  છે.કચુંબર વાસી, રાયતુ ખાટું અને અથાણુ કાળુ થઈ જાય છે .




PUBLISHED IN MUMBAI SAMACHAR, 08/09/2016,લાડકી પુર્તિ, "મરક મરક " 
 તસવીક સૌજન્ય : ગુગલ .