Friday, November 15, 2013

P R Joshi ....એક સ્મરણનોંધ ..

એક  સ્મરણનોંધ ...


બરાબર યાદ નથી પણ ૧૦-૧૧ વર્ષ ની ઉમર હશે એ વખતે . એક દિવસ ઓફિસેથી આવી ને પપ્પા એ દાદાને વાત કરી કે "પીઆર આવવાનો છે અત્યારે ." મને કાઈ ખબર ન પડી એટલે મેં પૂછ્યું કે "પીઆર એટલે કોણ ? "દાદાએ જવાબ આપેલો " પ્રબોધ જોશી . ' કેડીલા 'કંપની છે ને ? એમાં બહુ ઉચી પોસ્ટ પર છે " મેં માથું ધુણાવી મુકેલું . ત્યારે કેડીલા સ્પ્લીટ નહોતું થયું , એક જ કંપની હતી . ૧૦-૧૫ મિનીટ પછી એક વ્યક્તિ ઘરમાં પ્રવેશી - પડછંદ શરીર , ગોરો વાન , ચહેરા પર સતત રેલાતું સ્મિત અને કઈક અજબ સુરખી. જોશી કાકા ને એક આંખમાં કશીક તકલીફ હતી પણ એ તકલીફ એમના પ્રચંડ આત્મવિશ્વાસ ની એક કાંકરી પણ ખેરવી નહોતી શકી. જોશીકાકા ઉર્ફે PR ઉર્ફે પ્રબોધ આર જોશી . Group President - HR and Corporate communications - Zydus Cadila .ધીરે ધીરે જોશીકાકા સાથે પારિવારિક સંબંધો કેળવાતા ગયા અને અમારે ઘરે નાના કે મોટા પ્રસંગોએ એમની હાજરી અમારે મન સહજ થઇ પડી. અમારી આ ઓળખાણ પર વર્ષોના પડ ચડતા ગયા એમ એમ મજબૂતી વધતી ગઈ. આ મજબુતી મારા પપ્પાની માંદગી વખતે સામે આવી . પપ્પાની માંદગીની રજેરજની માહિતી એમની પાસે રહેતી. પોતે ફાર્માંસ્યુંટીકલ કંપની સાથે સંકળાયેલા હોવાને લીધે  શહેરના સારામાં સારા કેન્સર સર્જન , હોસ્પિટલો સાથે એમના વ્યવસાયિક સંબંધો  જોશીકાકાએ પપ્પાની માંદગીમાં કામે લગાડ્યા. પપ્પાનો એક જ મેસેજ કે ફોન પર એ ગમે તેવું કામ પડતું મુકીને હાજર થઇ જાય . " ભાઈ મને કહે તો મારે આવી જ જવાનું , કોઈ પણ સવાલ જવાબ કર્યા વિના " આ એમનો કાયમી સંવાદ .
સાતમી ઓક્ટોબર, ૧૯૫૩ એ જન્મેલા પ્રબોધ જોશીનો મૂળ જીવડો સાહિત્યકારનો એટલે જ તો એમ.એ. વિથ ઈંગ્લીશ લીટરેચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઇન્ડ રીલેશન એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ ; ' કેડીલા ' જેવી ફાર્મસી ઉદ્યોગની તોતિંગ કમ્પની સાથે ગળાડૂબ હોવા છતાં એમણે સાહિત્યને સદાય હ્રદયસરસું જ રાખ્યું . જાણીતા સાહિત્યકાર અને કવિ સ્વ. ડો. રમણલાલ જોશીના પુત્ર હોવાના નાતે , પિતાએ શરુ કરેલા માસિક ' ઉદ્દેશ ' ને પૂરી નિષ્ઠાથી ધબકતું રાખીને પિતૃતર્પણ પણ કર્યું . ' ઉદ્દેશ' માં ગુજરાતી સાહિત્યની હારોહાર અન્ય ભાષાના સાહિત્યનો પરિચય પીરસતા રહ્યા તો સંપાદકીયમાં એમની ભાષા, વિષય પરની મજબુત પકડ આખે ઉડીને વળગે એવી.

૧૬ માર્ચ ૨૦૧૨ , રાત્રે ૮ નો સુમાર હશે . પપ્પાનો મારા પર ફોન આવ્યો : " કાલે સવારે ૧૦.૩૦કલાકે જોશીકાકા આવવાના છે , તું આવી જજે આપણે લખવા વિષે થોડી વાત કરી લઈએ .સત્તરમી માર્ચે સવારે હું પપ્પાને ત્યાં પહોચી . થોડીવાર પછી પપ્પા મને કહે કે " જોશીકાકા ને ફોન કર , હજુ આવ્યો નહિ " મેં કહ્યું કે " હજુ હમણાં જ તો ૧૦ વાગ્યા છે , એમને ૧૦.૩૦ નું કહ્યું છે તો આવી જ જશે ' બરાબર સાડા દસે જોશીકાકા આવ્યા ને પપ્પા મોજ માં આવી ગયા . લગભગ બે કલાક બેઠા હશે ને એમાં જગત આખાની અલકમલકની વાતોનો દોર ચાલ્યો . પપ્પાએ એમના જાપાન પ્રોજેક્ટ વિષે પૂછ્યું. જોશીકાકા : "અત્યારે એની જ મીટીંગ હતી પણ તમારો ફોન આવ્યો એટલે મીટીંગ થોડી મોડી રાખી ".આંતરરાષ્ટ્રીય કક્ષાની મીટીંગ આ માણસે માત્ર એક જ ફોન કોલ પર પાછળ ઠેલી દીધી અને એનો લેશમાત્ર પણ દેખાડો ન કર્યો કે રંજ પણ નહિ . " તારા પપ્પા કહે એ મારા માટે પૂર્વ દિશા " ફરીથી એ જ ધ્રુવ વાક્ય . કમનસીબે પપ્પા શારીરિક રીતે બહુ લાંબો સમય સ્વસ્થ ન રહી શક્યાં  અને ૩૦ મી માર્ચે એમણે આખરી વિદાય લીધી.



૧૪ મી એપ્રિલ 2012 - પપ્પાના અવસાન ને ૧૫ દિવસ થઇ ચુક્યા હતા . આજે જોશી કાકાના કાવ્યસંગ્રહનું વિમોચન હતું . " પાછો ઉઘાડ નીકળ્યો આ "  ૧૯૭૮ માં પ્રથમ કાવ્યસંગ્રહ " મારે કોઈ નામ આપવું બાકી છે " પ્રકાશિત થયો ત્યાર પછી લગભગ ૩૩ વર્ષે બીજો કાવ્યસંગ્રહ. સ્વ. સુરેશ દલાલ કહે છે એમ "પ્રબોધ જોશી મહેફિલ કે મંચના કવિ નથી. એમની કવિતા ભાવકની હથેળીમાં કમળ થઇ ને ઉઘડે . ઓછામાં ઘણું વ્યક્ત કરવાની એમની ગજબની શક્તિ છે.નીરવતાનો નાદ એમને અતિ પ્રિય છે . ( પ્રસ્તાવના " પાછો ઉઘાડ નીકળ્યો આ "). "પુસ્તક નું વિમોચન ગુજરાતી સાહિત્ય જગત ના માંધાતાઓની હાજરીમાં થયું. એમને કાવ્યપઠન કરવાનું કહેવામાં આવ્યું ને જોગાનુજોગ થયું એવું કે એમના આ પુસ્તક પર હસ્તાક્ષર લેવાનું વિચારીને મેં આ પુસ્તક ખરીદેલું ને પાનાં ફેરવતી હતી . એક કાવ્ય પર નજર પડી - પિતાશ્રી ને . પંદર દિવસ પહેલા જ મારા બાપ ને ગુમાવી ચુકેલી  એટલે જાણ્યે અજાણ્યે આ કવિતા સાથે હું જોડાઈ ગઈ .ને જોશીકાકા એ પઠન પણ એ જ કાવ્ય નું કર્યું.
-----------
"પિતાશ્રી ને - "
-----------
તમે અશબ્દ
ને
હું સ્તબ્ધ
તમે કઈક કહેવા માંગતા હતા
પણ એ હું સાંભળી શકતો નહોતો
એવું તો તમે નહિ જ માનતા હોવ
ખરું ને ?


અંતિમયાત્રા માં

આજે
તમને ખભે ઉચકી ને
ચાલ્યો
થોડું થોડું
ત્યારે
એવું કેમ લાગ્યું કે
તમારી
આંગળી પકડી
ચાલી રહ્યો છું
ધીરે ધીરે

એ પછી

સ્મશાનમાં , શોકસભામાં
ઘર અને બહાર
મળ્યા ચહેરા અનેક
મૌન
પછી ભળી ગયા એકમેક
રચાયું કેવું ઐક્ય !!
વિસર્યો કે હું એક ....."

------------------------------
બે આંસુ કદાચ એમની આંખોથી પણ ટપક્યા હતા કે શું ?

ખેર બહુ ટુકા સમય માં જાણ થઇ કે એમને પણ કેન્સર થયું છે. મળવા જવાની તીવ્ર ઈચ્છા પણ રડી પડાશે તો ? એ ભયે જવાનું ટાળ્યું . ત્યાં જ ' ઈમેજ પબ્લીકેશન ' ના ૧૧ કવિઓના પુસ્તક વિમોચનમાં એ આવ્યાં અને અલપઝલપ મળવાનું  આશ્વાસન લીધું. શરીર ઘણું નખાઇ ગયેલું પણ ઉષ્મા બરકરાર. " હવે ઘણું સારું છે " આટલું બોલતાય શ્રમ પડતો હોય એવું મને લાગ્યું. " મમ્મી , બા-ફોઈ , દાદી ને કહેજે કે હવે મને સારું છે થોડું વધારે સારું થાય એટલે મળવા માટે ફોન કરીશ ' મેં ' મેસેજ આપી દઈશ' કહી ને રજા લીધી . જોશી કાકા ને પોતાની માંદગી વિષે ક્યાય ચર્ચા થાય એ જરાય ન ગમે એટલે બહુ ઓછાને એમની માંદગીની ગંભીરતા વિષે માહિતી હતી .અમારી એ મુલાકાત છેલ્લી જ બની રહી . અમે એમના ફોનની  રાહ જોતા રહ્યા અને એ તો મિસકોલ પણ માર્યા વગર અનંત યાત્રા એ ચાલી નીકળ્યા . કદાચ ઉપરથી પપ્પા એ તો ફોન નહિ કર્યો હોય ને કે " પ્રબોધ , આવી જજે " !!!!

(૧૮મી નવેમ્બરે જોશીકાકાની અંતિમ વિદાય ને  એક વર્ષ પૂર્ણ થશે ....)

Desai Shilpa ..