Sunday, January 31, 2016

ભૂલવું એટલું આસાન નથી! 28/1/16

મુંબઈ સમાચાર- ગુરુવાર,૨૮/૦૧/૨૦૧૬, લાડકી સેક્શન, "મરક મરક " 

 http://bombaysamachar.com/epaper/e28-1-2016/LADKI-THU-28-01-2016-Page-4.pdf


— શિલ્પા દેસાઈ

એકવાર એક ઓશોભક્ત ઓશોને મળ્યો અને કહ્યું મારે ધ્યાનમાં બેસવું છે પણ, જેવો ધ્યાનમાં બેસું એવું જ મને બધું યાદ આવે છે. હું કશું ભૂલી શક્યો નથી.’ અને ઓશોએ એને એક ઝેનકથાનું પડીકું પકડાવતા કહ્યું : “જો સાંભળ, તારાથી ધ્યાન થશે. માત્ર એટલું જ યાદ રાખવાનું કે તું જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે તારા મગજમાં વાંદરો ન આવે.” ને પેલો ખુશી ખુશી વિદાય થયો. ઘરે જઈ ધ્યાનમાં બેઠો... ને એને ધ્યાનમાં વાંદરા જ આવવા લાગ્યા. જેને એણે ભૂલવાનાં હતાં. એને જ એ ભૂલી શકતો ન હતો. એટલે વાત જાણે એમ છે કે ભૂલવું પણ એક કળા છે કે યોગનો ભાગ હશે!
ભૂલી જનારા લોકો ઘણાં કિસ્સાઓમાં ચોક્કસ હોય છે. જેમ કે જે લોકોને રોજ પીવાની ટેવ હોય એ લોકો ચોક્કસ સમયે ભૂલ્યા વગર ટેબલ પર હાજર જ હોય છે ને પીધા પછી એ લોકો “ભાન” ભૂલી જતાં હોય છે. જેમ “ફટાક બહેરા” હોય છે એમ “ફટાક ભૂલકણાં” પણ હોય છે. એમને જેટલું યાદ રાખવું હોય એટલું જ રાખે. કોઈની પાસેથી ઉધાર પૈસા લીધા પછી એ વાયદા પ્રમાણે આપવાનું ભૂલી જાય છે. તો કોઈ વળી મોબાઇલનું બિલ ભરવાનું ભૂલી જાય. ને પછી જ્યારે સર્વિસ બંધ થઈ જાય ત્યારે અથવા બંધ થઈ જવાના રિમાઇન્ડર આવે સર્વિસ પ્રોવાઇડર તરફથી કે તરત જ દોડે. બિલકુલ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એમ જ. કોઈ બૅન્કમાં ચેક જમા કરાવવાનું ભૂલી જાય તો કોઈ વળી છોકરાઓની સ્કૂલમાં ફી ભરવાનું ભૂલી જાય.
થોડા દિવસ પહેલાં એક મેળાવડામાં જવાનું બન્યું. એક ભાઈએ આવીને “ભટ્ટજી, કેમ છો?” પૂછ્યું. અમે સાવ નિશ્ચલ ભાવે એમની તરફ તાકી રહ્યાં. ભાઈએ છેલ્લે ક્યાં મળ્યાં હતાં, કેવી રીતે ઓળખાણ છે એનાં પૂર્વાપર સંબંધની યાદ આપી ત્યારે માંડ યાદ આવ્યું કે ઓહો! આ તો ફેસબુકવાળા. યાદશક્તિનું એવું છે કે કોઈવાર બહુ જૂનું વર્ષોનાં વર્ષો યાદ રહે તો કોઈ વાર સાવ નજીકનાં જ ભૂતકાળનુંય મગજમાંથી કદી બન્યું જ ન હોય એમ ભૂંસાઈ જાય છે. “ભૂલી જ ગયો/ગઈ” વાળું વાક્ય અત્યંત વરદાનરૂપ હોય છે. ઘણી વાર કોઈએ કશું સોંપ્યું હોય અને ન થઈ શક્યું હોય તો આ “ભૂલી ગઈ/ગયો” વાળી ઉક્તિ ઢાલ સાબિત થાય છે. જેમ પ્રેમને કોઈ ઉંમર નડતી નથી એમ ભૂલકણાપણાંનેય ઉંમરનો કોઈ બાધ નડતો નથી. ગમે તે ઉંમરે ભૂલી જઈ શકાય છે. ભૂલી જવું એ સામાન્ય ઘટના છે. દરેક સામાન્ય કે અસામાન્ય વ્યક્તિનાં જીવનમાં ક્યારેક તો બની જ હોય છે. એકવાર એક જ્ઞાતિના વાર્ષિક સમારંભમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું હતું. નાનાંમોટાં બાળકો સરસ મજાનાં તૈયાર થઈને એક હરોળમાં ગોઠવાઈ ગયા હતા. વારાફરતી બધાંના નામ બોલાયાં ને બાળકો સ્ટેજ પર આવીને ઇનામ, સર્ટિફિકેટ લઈને ફોટો પડાવવા ઊભાં રહ્યાં. અચાનક જ આયોજકે જાહેરાત કરી કે બાળકો, તમારાં સર્ટિફિકેટ અહીં જ મૂકીને જજો. તમને પછીથી ટપાલમાં મોકલી આપવામાં આવશે. કારણ કે સર્ટિફિકેટ પર આપણા જ્ઞાતિનાં પ્રમુખશ્રીના હસ્તાક્ષર કરાવવાનાં રહી ગયા છે. બાળકો એ સર્ટિફિકેટ પાછાં આપ્યાં અને પ્રેક્ષકગણમાં થોડો ગણગણાટ થઈને ઠરી ગયો.
બાજુવાળા હસુકાકા એમ તો એકદમ ચોક્કસ છે પણ કોણ જાણે કેમ એ કાકીની ટેરીટરીમાં આવે કે ગરબડ શરૂ. ચાવી, પાકીટ, રૂમાલ કે ફોન ભૂલી જ ગયાં હોય. કાકા ઑફિસ જતા હોય ત્યારે કાકી ઉંબરે બૂમ પાડે, “રૂમાલ, ચાવી પાકીટ લીધાં?” કાકા ત્રણમાંથી કંઈક તો ભૂલ્યાં જ હોય. જે દિવસે કાકી આવી બૂમ પાડવાનું ભૂલી જાય એ દિવસે કાકાએ અચૂક મોબાઇલ અથવા પાકીટ લેવા ઘેર આવવું જ પડે. એકવાર એવું થયું કે કાકીને કોઈ કારણોસર દવાખાને જવું પડ્યું. હસુકાકા એમની ઑફિસથી સીધા દવાખાને પહોંચ્યા. ત્યાંથી નીકળતી વખતે કાકી સ્કૂટર પાસે ઊભા રહ્યાં. કાકાએ એમને એમ કહ્યું કે હું સ્કૂટર વળાવી લઉં પછી તું બેસ નહીં તો આપણે બેય સ્કૂટર સહિત બેસી પડીશું.” કાકી હા ભણીને સહેજ દૂર ઊભાં રહ્યાં. કાકાએ સ્કૂટર વળાવીને ઊભા રહેવાને બદલે વાત કરતા કરતા કાકીને લીધા વિના સ્કૂટર ચલાવી મૂક્યું. કાકી બિચારા થોડીવાર રાહ જોઈને ઊભાં રહ્યાં. પછી દવાખાનાની બહાર બાંકડા પર બેસી ગયા. એટલામાં ડૉક્ટર બહાર આવ્યા ને કાકીને જોયાં. ને ઘડીકમાં જ વાત પામી ગયા. – છેવટે ડૉક્ટરનો કમ્પાઉન્ડર કાકીને એમના ઘેર મૂકી ગયો. તે દિવસથી કાકી કાકાને એમના ભૂલવાપણાં વિશે સંભળાવવાની એક પણ તક જતી કરતા નથી. સામાન્ય રીતે જાહેર વાહનવ્યવહારમાં નાની નાની વસ્તુઓ લોકો મૂકી આવતાં હોય છે. મુખ્યત્વે એમાં છત્રી, ફોનનાં ચાર્જર, નાની બ્રીફકેસ, પુસ્તકો, ચાવી, ટિફિન ભૂલી જવાતાં હોય છે. મુંબઈમાં એક વાર બેસ્ટની બસમાં હવાલદારની લાઠી સુધ્ધાં મળી આવી હતી. તો કોઈ વાર દૂધની કોથળીઓ, તેમની શીશીઓ, શાકભાજી, બિસ્કિટ વગેરે પણ જોવા મળી જાય છે.
યાદશક્તિમાં થોડો ઘટાડો થવાનું એક કારણ સ્માર્ટફોન પણ છે. સ્માર્ટફોન/ મોબાઇલ ફોન આવ્યા પહેલાં આપણામાંથી ઘણાં બધાને ઢગલો ફોન નંબર યાદ રાખવાની ટેવ હતી. મોબાઇલ ફોનની ફોનબુકની સગવડ અને અમુક જ અક્ષર ટાઇપ કરવાથી સ્ક્રીન પર આવી જતાં પરિણામોથી નંબરો યાદ રાખવાની ટેવ છૂટી ગઈ. મોટા ભાગનાં મોબાઇલ-વપરાશકર્તાઓને એમના મોબાઇલની ફોનબુકમાં સચવાયેલા નંબરોમાંથી માંડ દસ ટકા નંબર જ યાદ હશે. એમાંય હસુકાકાને તો પોતાનોય નંબર યાદ નથી. મોટા ભાગે એ સામેવાળાને જ કહે કે “તમારો નંબર આપો હું મિસ કોલ મારું છું. જે નંબર આવે એ મારો છે. સેવ કરી દેજો.”
મોબાઇલમાં ફોનબુકમાં સરખા નામથી ગોટાળાય થઈ જાય ને કોઈ વાર ધોલધપાટનોય વારો આવી જાય. એક મિત્ર નામે મિલન. મિલનના મિત્રનું નામ અશોક હતું અને બલિહારી એવી કે મિલનના પિતાનું નામ અશોકભાઈ. મિત્રએ અશોક 1 અને અશોક 2 નામથી નંબર સ્ટોર કરેલા, થયું એવું કે એકવાર અમારા મિત્ર મિલનનાં પિતા “અશોકભાઈ”એ મિલનને ફોન જોડ્યો. સ્ક્રીન પર “અશોક-1” નામ વાંચ્યું પણ મિલન ભૂલી ગયો કે એ નંબર પિતાશ્રીનો છે. એને એમ યાદ રહ્યું કે આ નંબર મિત્ર અશોકનો છે. ફોન ઊંચક્યો ને સામે છેડેથી આજે સાંજે શું કરવાનું છે? એવો પ્રશ્ન અશોકભાઈએ પૂછ્યો. મિલન કામની ધૂનમાં હતો તેણે જવાબ આપ્યો, બે યાર અશ્કા મગજનું દહીં થઈ ગયું છે. તું આપણી પેલી બાટલી મંગાઈ રાખ આવું છું. સી. યુ. મોડેથી નીકળું છું. ઘરે જવા હમણાં જ.” એમ કહીને મિલને ફોન મૂક્યો અને ઘરભણી પ્રયાણ કર્યું. ઘરે પહોંચ્યા પછી અશોકભાઈએ મિલનને “સી. યુ.” કર્યું બરાબરનું. ને ભાઈ મિલને તાત્કાલિક મોબાઇલમાં અશોક-1નાં બદલે “ડેડી” લખી નાંખ્યું.
એવું કહેવાય છે કે આપણે આપણા મગજનો માત્ર 10 ટકા જ ઉપયોગ કરીએ છીએ. એમાંય મોટા ભાગે તો બિનજરૂરી બાબતો જ યાદ રાખીએ છીએ. જાતજાતનાં સંશોધનો પછી સાબિત થયું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની યાદશક્તિ વધારે સતેજ હોય છે. એટલે જ અલ્ઝાઇમર્સના કિસ્સા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આ અલ્ઝાઇમર્સ વારસાગત રોગ છે. અમારા એક સંબંધીને આ રોગ છે. એ ખિસ્સામાં પોતાનાં નામસરનામાવાળી ચિઠ્ઠી લઈને જ નીકળે. “બ્લેક” ફિલ્મમાં અમિતાભ બચ્ચનને આવી બિમારી થયેલી અદ્ભુત દર્શાવી છે.
આપણા દેશમાં સામૂહિક ભૂલકણાપણાનો રોગ સર્વવ્યાપી છે. કોઈ પણ ઘટના-દુર્ઘટના ઘટે કે તરત જ એના વિરોધમાં મીણબત્તી, વાવટા લઈને ઊતરી પડવાનું ને મીણબત્તી પૂરી થાય એટલે આપણે શેનો વિરોધ કરતા હતા એય ભૂલી જઈને પાછાં રૂટિનમાં પરોવાઈ જઈએ છીએ.
રાજકારણ અને ફિલ્મ જગત બે એવાં ક્ષેત્રો છે કે જ્યાં ભલભલા માંધાતા મોટાં મોટાં ઝઘડા ભૂલી જઈને એક થઈ જાય છે. ગઈકાલે એકબીજા પર કેવા દોષારોપણ કર્યાં હતાં. એ અચાનક જ બાષ્પીભવન થઈ જાય અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેવા માંડે. આવા સગવડિયા ભૂલકણાપણાંનો કોઈ ઇલાજ કશેય નથી.
ખોંખારો : ભૂલી જવું અને માફી આપી શકવાને ગાઢ સંબંધ છે. તમે ભૂલી જાવ તો જ કોઈને સરળતાથી માફ કરી શકો.


તમને ‘સ્વિમિંગ’ આવડે છે?21/1/16

#MumbaiSamachar  thursday- 21/01/16 Laadki section -મરક મરક 

 
http://bombaysamachar.com/epaper/e21-1-2016/LADKI-THU-21-01-2016-Page-4.pdf


— શિલ્પા દેસાઈ

ડીંગ..ડોંગ... સવાર સવારમાં ડૉરબેલ સાંભળતા ચકુડિયો દોડીને બારણા પાસે ધસી ગયો ને દરવાજો ખોલતાં જ બોલ્યો ; “આવો, આવો કાકા...”
“પપ્પા ક્યાં?” હસુકાકાએ પૂછ્યું.
“એ તો નાહવા ગયા છે.” ચકલાએ જવાબ આપ્યો.
“પણ, મારે એમને નાહવા લઈ જવાના હતા ને?”
ચકલો હસ્યો ખી...ખી... ખી... જુઓ આ પપ્પા નીકળ્યા નાહીને... એમને નાહતા આવડે છે કાકા...”
એ ચકુડિયા... કાકાની ઉડાવે છે? તને ખબર છે ને કે હું ને તારા પપ્પા છેલ્લાં 12 વર્ષથી સાથે જ સ્વિમિંગમાં જઈએ છીએ. “અમારું ચાલે તો ત્રણસો પાંસઠે દિવસ સ્વિમિંગ કરીએ. પણ સ્વચ્છતા અભિયાન આપણેય માનીએ છીએ હોં.” તને સ્વિમિંગના ફાયદા ખબર છે? બેસ તારા પપ્પા તૈયાર થઈને આવે ત્યાં લગી. તને પાંચ મિનિટમાં સ્વિમિંગનું સિક્રેટ હમજઈ દઈસ.”
ચકલો “સિક્રેટ” શબ્દ સાંભળીને જરા લલચાયો અને મોબાઇલ પર ગેમ રમવાનું મુલતવી રાખીને હસુકાકાની સામે ગોઠવાયો. “જો સાંભળ, સ્વિમિંગ એક કળા છે. આઈ મીન આર્ટ... આ એકમાત્ર એવી કલા છે કે જે શારીરિક સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સ્વિમિંગથી બાળકના હાઇટબોડી મજબૂત બને છે. પાછું વજન ના વધે હોં. દરેકે દરેક ઉંમરની વ્યક્તિ માટે તંદુરસ્તી કાયમ રાખવા સ્વિમિંગ એક અદ્ભુત કસરત છે. એક ઝેન કથાય છે સ્વિમિંગ સાથે સંકળાયેલી બોલ ચકલા. એક સાધુ એના શિષ્યને લઈને નદી પાસે આવ્યા. નદીના સામે કાંઠે આશ્રમમાં પહોંચવાનું હતું. એક સ્ત્રી પણ ત્યાં ઊભેલી. પણ એને તરતા આવડતું ન હતું. વળી પાણીય ઊંડું હતું. એટલે ગુરુએ સ્ત્રીને પોતાની પીઠ પર બેસાડી નદી પાર કરાવી. શિષ્ય બધું જોઈ રહેલો. એણે આશ્રમ પર આવીને રહેવાયું નહીં એટલે ગુરુને પ્રશ્ન કર્યો કે આપણે સાધુ લોકો તો સ્ત્રીઓથી દૂર રહીએ ને તમે તો એને પીઠ પર બેસાડી નદી પાર કરાવી. ચકલા હવે ગુરુએ જે જવાબ આપ્યો એ હમજવા જેવો છે. ગુરુએ કહ્યું : “મેં તો એ સ્ત્રીને નદી પાર કરાવીને સામે કાંઠે ઉતારી દીધી પણ, તું તો એને ઠેઠ આશ્રમ સુધી લઈ આવ્યો. ચકલા ગુરુમાં આ ફિલસૂફી કેવી રીતે આઈ ખબર છે? જો પેલી સ્ત્રીને સ્વિમિંગ આવડતું હોત તો એ જાતે જ નદી પાર કરી ગઈ હોત અને જગતને આ મહાન ગૂઢ વાત સમજવા ન મળી હોત.”
ચકલો ત્રાટક કરતો હોય એમ હસુકાકાને તાકી રહેલો જરા વાર રહીને બોલ્યો : “કાકા, આપણુંય સ્વિમિંગનું ફૉર્મ લેતા આવજો. આપણેય સ્વિમિંગ શીખવું છે નહીં તો કોઈ દિવસ હુંય ઝેન કથાનું પાત્ર થઈ જઇસ.” બંને હસ્યા ને ચકલાના પપ્પા બાબુભાઈની એન્ટ્રી થઈ. એમણે કહ્યું, “હસુભાઈ, આજે મેળ નહીં પડે. અત્યારે મારે એક મિટિંગ છે. બપોરે ફ્રી થઈશ. એટલે હવે તરવાનું કાલે.”
“પણ, પપ્પા. બપોરે સમય હોય તો બપોરે જઈ આવજો ને... દિવસ શું કામ પાડવાનો? મારું ફૉર્મ બપોરે લેતા આવજો.”
“હા પણ ચકલા... બપોરે સ્વિમિંગમાં ના જવાય. લેડિઝ ટાઇમ હોય. જેન્સ નૉટ એલાઉડ.”
“પણ કોઈ જેન્સને બપોરે જ ફાવે એમ હોય તો?”
“તારા જેવા હોય ને એવા બપોરવાળાઓએ નદીમાં પાણી હોય તો કિનારે બેસીને છબ છબ કરી લેવાનું. વાર્તા પૂરી; ને હવે મારો પારો છટકે એ પહેલાં ભાગ અહીંથી... ને ચકલાએ રૂમની બહાર ચાલતી પકડી.
શરીરને સાજુંસમુ રાખવાનાં અનેક નુસખાંઓમાં શિરમોર છે. “સ્વિમિંગ.” સ્વિમિંગ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જો તમને સ્વિમિંગ આવડતું હોય તો એમાં “સ્ટાઇલો” મારવાની અઢળક તકો રહેલી છે. “બેકસ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ, વાટરફ્લાય. અંડરવૉટર વગેરે વગેરે. ઘણા અનુભવીઓ બેકસ્ટ્રોક એટલે કે પાણી પર ચત્તાપાટ પડીને તરવાનું પસંદ કરે છે. આકાશદર્શન કરતાં કરતાં તરવામાં એક તકલીફ એવી થાય કે દિશાભાન ઓછું રહે અને આજુબાજુનાં તરવૈયાઓ સાથે અથડાઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે. કોઈ વાર ઈજાગ્રસ્ત બી થઈ જવાય. તો અન્ય બેક સ્ટ્રોકવીરની અડફેટમાં આવી જવાય ત્યારે હેડ-ટુ-હેડ ઢીસુમ થઈ જવાય. બેક સ્ટ્રોક સ્ટાઇલનો એક ફાયદો એવો છે કે આકાશ દર્શન કરતાં કરતાં તરવાથી તમારી દૂરની નજર સુધરે છે. આવડા મોટાં આકાશમાં આપણે જોવા સિવાય કશું ઉકાળવાનું હોતું નથી માટે એકાગ્રતાય વધે છે. એકાગ્રતા વધવાથી મન પર કાબૂ વધે છે અને મન આડુંઅવળું ભટકતું અટકે છે.
“અંડર વૉટર સ્વિમિંગ” નામનો પ્રકાર સોટા એટલે કે રોફ મારવા બહુ ઉપયોગી સાબિત થાય છે. ‘શાન’ નામની હિંદી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશીકપૂર સ્વિમિંગ પૂલમાં અંડરવૉટર સ્વિમિંગ કર્યા પછી કોક ભળતી જ જગ્યાએ ગટરનું ઢાંકણું ખોલીને નીકળે છે. ડેન્માર્કના ‘સ્ટિંગ સીવરીનસેન નામના તરવૈયાનાં નામે સળંગ 22 મિનિટ જેટલું “અન્ડરવૉટર” તરવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે. ઘણી વાર તરવૈયો લાંબા સમય સુધી “અંડરવૉટર” રહે તો બહાર ઊભા રહીને જોતાં હોય એને એમ જ થાય કે આ ગયો ત્યાં તો એ સામા છેડેથી ફિલ્મોમાં જેમ એકદમ જ દેવીદેવતાઓ પ્રગટે છે એમ પ્રગટે. એ વખતે એનો ચહેરો જોયો હોય તો કોઈએ ગળચી દબાવી હોય અને માંડ માંડ છૂટ્યો હોય એવો જ લાગે. કોઈ પણ રમત સમૂહમાં રમવાથી એ રમવાની મજા અનેકગણી વધી જાય. આપણે ત્યાં લગ્ન પછી વરવધૂને કંકુવાળા પાણી ભરેલી કથરોટમાં રૂપિયો રમાડવાની પ્રથા છે. આવી જ રમત સ્વિમિંગ પુલમાં રૂપિયો કે ચાવી કે અન્ય વસ્તુ નાંખીને અંડરવૉટર જઈને એ શોધવાની રમાય છે. ફરક માત્ર એટલો પેલી કથરોટમાં માત્ર વરવધૂ જ રૂપિયો શોધવાની રમત રમે. કથરોટમાં માત્ર હાથ જ ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે સ્વિમિંગપુલમાં આખેઆખા પાણીની મંઈ ગરકી જવું પડે છે અને એના માટે વરવધૂ જ હોવાં જોઈએ એવા કોઈ નિયમો નથી હોતા.
સ્વિમિંગ કર્યા પછી ભયંકર ભૂખ લાગે છે એટલે જ દરેક સ્વિમિંગ પુલ/સ્નાનાગારની બહાર ભજિયા-ગાંઠિયા, ચાની લારીઓ ધમધોકાર ચાલતી હોય છે. જેટલી કૅલરી સ્વિમિંગ કરીને બળી હોય એટલી કે એનાથી વધુ કૅલરી આ બધું ગ્રહણ કરીને ફરીથી ભેગી કરી લેનારા તરવૈયાઓનીય ખોટ નથી. એટલે જ સ્વિમિંગ પુલમાં રંગબેરંગી કોશ્ચ્યુમ પહેરેલાં ફાંદાળા, અદોદળા તરવૈયાઓ જોવા મળે જ મળે.
હમણાં છાપામાં એક સમાચાર હતા કે એક સિંહણ તરતી તરતી કશેક પહોંચી ગઈ. એ પછી એને મજા પડી હોય કે બીક લાગી હોય પણ એણે ઊછળી ઊછળીને તરવાનું ચાલુ રાખ્યું. કેટલાંક જીવદાયપ્રેમીઓને આ સિંહણની દયા આવી અને એમણે જંગલખાતાને જાણ કરી અને સરવાળે સિંહણ ઘરભેગી થઈ. હમણાં હમણાંથી સિંહો દરિયાકિનારેય જોવા મળે છે એવું એક સર્વે કહે છે. એટલે સિંહોમાંય તરવાના ધખારા હોય કે પછી તંદુરસ્તી અંગે જાગૃતિ આવી હોય એમ બને.
તરવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે એક વાર શીખો તો પછી જિંદગીભર ભુલાતું નથી. કોઈ ભાષા શીખ્યા હોય અને જો પ્રેક્ટિસ ના કરો તો ભૂલી જવાય પણ સ્વિમિંગ કદી ભૂલાતું નથી. કદાચ અકસ્માતે કોઈ અજાણ્યા પાણીમાં પડી જાવ અથવા કોઈ પાડી નાંખે તો તમે તરત જ ડૂબી જાવ એવું કદી ન બને...
કાશીમાં અનેક લોકોનાં ઘરે બાથરૂમ જ નથી. કેટલાંય એવા લોકો છે જે ત્રણસોને પાંસઠ દિવસ ગંગા નદીમાં જ ડૂબકી લગાવીને નાહઈ લેતા હશે. ગામડામાં તળાવ કે નદીમાં ધુબાકા મારતાં છોકરાંઓને જોઈને એવી રીતે ધુબાકા મારવાની લગભગ દરેકને ઇચ્છા થઈ જ આવે. આમેય, જિંદગીમાં ક્યારેય પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે અને કોઈ ઉપાય ન બચે તો ભગવાનને પ્રાર્થના કરવાથી કોઈ વાર તરી જવાય છે. આમ, તરણકલા અને આધ્યાત્મિકતાને પણ સંબંધ છે ને શરીર ભીનું ન થવા છતાં તમે તરી જાવ છો. જીવનમાં સહુએ એક વાર તરણકલા તો શીખી જ લેવી જોઈએ એવું અમારું દૃઢપણે માનવું છે, “ક્યા પતા કૌન ધક્કા દે દે પાની મેં...”
ખોંખારો : શાંત પાણીમાં ઊંધા સૂઈને પલાંઠીવાળીને માત્ર શ્વોસોશ્વાસ નિયમિત રાખવાથી સ્થિર રહી શકાય છે. પણ શાંત પાણી હંમેશાં ઊંડાં હોય છે ને પલાંઠી છોડવામાં જો નિષ્ફળતા મળે તો જળસમાધિ થઈ જાય એવાય ચાન્સીસ ખરા. એટલે આપણે યોગ જ કરવા હોય તો બગીચામાં કરવા. સ્વિમિંગ પુલમાં તો નહીં જ....

નસકોરાં - ઊંઘ,બડે આરામ સે!!!

MUMBAI SAMACHAR-14/01/16 ,THURSDAY Laadki section ..


 
થોડા દિવસ પહેલા એક મિત્રને મળવા જવાનું થયું. બધા ગપાટા મારતા હતા અને અચાનક નસકોરા બોલતા હોય એવો અવાજ આવવા મંડ્યો . અમે ઘડિયાળ માં જોયું . રાત્રીના ૧૦ થયા હતા એટલે યજમાન મિત્રના ઘરમાં કોઈનો સુવાનો સમય હશે એમ માન્યું પણ વળી જોયું તો યજમાનના દરેક કુટુંબીજનો તો અમારી સાથે બેઠા હતા તો આ નસકોરા કોણ બોલાવતું હતું ? શું અમારી વાતો એટલી બધી કંટાળાજનક હતી કે કોઈ સુઈ જાય એવો સંદેહ પણ જાગ્યો અમારા મનમાં . થોડીવાર સુધી તો તાલબધ્ધ નસકોરા ને ગણકાર્યા વિના વાતો ચાલુ રાખી પણ પછી અમારી ધીરજ ખૂટી અને યજમાન ને આ નસકોરા કોના છે એમ પૂછી જ પાડ્યું . યજમાન અમારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા . જરાવાર રહીને એમને ખ્યાલ આવ્યો કે અમે નસકોરા ના માલિક વિષે પૂછી રહ્યા હતા એટલે એમણે ફોડ પાડ્યો કે " અમારો ડોગી છે , એ સુઈ જાય ત્યારે આવા નસકોરા બોલે છે " આ પછી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે માણસ સિવાય કુતરા , બિલાડા , ગાય , બળદ , ઘેટા , ભેસ , હાથી , ચિત્તા , વાઘ , વાંદરા , ઘોડા, ખચ્ચર અને ઝેબ્રા પણ નસકોરા બોલાવવામાં સક્ષમ છે .
 
નસકોરા બોલાવવાના કારણો / ઉપાય વિષે વિશ્વમાં ઠેર ઠેર સંશોધનો થયા હશે પણ નસકોરા બોલવાની શરૂઆત એકઝેટ ક્યારથી થઇ હશે એ વિષે સંશોધન પ્રિય દેશ અમેરિકા ય સાવ અજાણ છે . નસકોરા બોલવાની શરૂઆત ક્યારથી થઇ એ તો યક્ષપ્રશ્ન છે પણ એની શરૂઆત ચોક્કસપણે નાકથી થઇ હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી .
 
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની જેમ ' એ હું નહિ ' વાળું રટણ લગભગ દરેક નસકોરાવીર કરે છે . અતિશય થાક અથવા શ્રમ કર્યા પછી નસકોરા બોલવા એ સામાન્ય છે પણ એ સિવાય નસકોરા બોલાવા એ ભવિષ્યની બીમારીઓ તરફ ઈંગિત કરે છે. જે વ્યક્તિ ચરબીયુક્ત હોય , મેદસ્વી હોય એને નસકોરા બોલવા એ સહજ બાબત છે પણ એ વ્યક્તિઓના તીણી સિસોટી જેવા અવાજના નસકોરા બોલતા હોય એવું ય બને તો કોઈને રીક્ષાની ઘરઘરાટી જેવા , કોઈ ને શ્વાસ લેતી કે છોડતી એમ બેય વખત તો કોઈને બે માં થી એક જ વાર નસકોરા બોલે એમ બને. મોટાભાગે આ નસકોરાના બ્યુગલ થોડીવાર સતત સંભળાય પછી એના માલિક ઝબકી જાગી જાય એટલે એ પડખું ફરી જાય ને નસકોરા બંધ . વળી પાછા થોડીવાર રહીને રામ એના એ .
 
આપણા દેશમાં સહનશીલતાનો મહિમા દરેક ક્ષેત્રમાં વર્ણવાયો છે અને લગ્નસંસ્થા પર અતુટ વિશ્વાસ હોવાથી પતી-પત્ની બેમાંથી એક ને પણ જો નસકોરા બોલતા હોય તો બીજું પાત્ર મોટેભાગે ચલાવી લે છે . મારા એક મિત્રને નસકોરા ખુબ બોલે . એમના પત્નીની સહનશીલતા ની હદ આવી જાય ત્યારે એ પતિદેવને રીતસર હચમચાવી નાખે એટલે ભાઈ સફાળા જાગી જાય. જરાવાર તુતુમેમે ચાલે પછી બધું થાળે પડે . મિત્ર કોઈ પણ હિસાબે માનવા તૈયાર જ નહિ કે પોતાને આટલા બધા ભૂંગળા જેવા નસકોરા બોલે છે એટલે મીત્રપત્નીએ એક રાત્રે મિત્રના જ સ્માર્ટફોનમાં એમના નસકોરાનો ધ્વની રેકોર્ડ કર્યો . બીજા દિવસે સવારે ચા પીતી વખતે મેડમે પેલી રેકર્ડ ચાલુ કરી. મિત્રને એમ કે કોઈના નસકોરા છે એટલે એમણે સહજ પૃચ્છા કરી કે આ મિલના ભૂંગળા કોના છે . " તમારા " મીત્રપત્ની ઉવાચ . મિત્ર તો ચા કરતા ય વધારે ગરમ થઇ ગયા . ખાસ્સી રકઝક પછી એમણે સ્વીકાર્યું કે પોતાને નસકોરા બોલે છે . નસકોરાના ત્રાસને લીધે આપણા દેશમાં દંપતીઓના છૂટાછેડા નોંધાયા નથી પણ વિદેશોમાં તો છૂટાછેડા માટે આ એક મજબુત કારણ છે . ત્યાની પ્રજાની સહનશીલતા એક તો ઓછી અને એમાં ય લગ્નજીવન કરતા શાંતિથી ઊંઘવાનું એમને મન વધુ અગત્યનું છે !!!!!
 
ઘણીવાર આવા નસકોરા વીર સિનેમાગૃહ કે બસ / ટ્રેન માં ય ભટકાઈ જાય . સિનેમા જોવા આવે પછી કંટાળો આવે એટલે ઊંઘ ક્યારે આવી જાય એ ખબર ન પડે અને ભેગા નસકોરા ય તાલબધ્ધ ચાલુ થઇ જાય. એકબાજુ સિનેમા ચાલતી રહે ને બીજી બાજુ નસકોરા. અમારા એક પાડોશીને જ્યારે પુરતી ઊંઘ ન મળે ત્યારે ગમે તે ફિલ્મમાં ઘુસી જાય . સસ્તામાં સસ્તી ટીકીટ ખરીદે અને જેવી ફિલ્મ ચાલુ થાય એટલે એ ઊંઘી જાય. હોલમાં એ.સી. ચાલુ હોય એનાથી એમને રાહત મળે અને સહ્પ્રેક્ષકોને ફિલ્મની સાથે સાથે મ્યુઝીકલ નસકોરા નો લહાવો ય મળે સાવ મફત માં !!!!. મારી જ વાત કરું તો મને બસ કે ટ્રેન માં બહુ ઝડપ થી ઊંઘ આવી જાય. વાહનની એકધારી ગતિથી મને સરસ ઊંઘ આવી જાય અને મારી સાથેના મને એમ કહે કે " કેટલા નસકોરા બોલાવે છે !!! " ત્યારે હું માનવા જરાય તૈયાર નથી હોતી કે મારે નસકોરા બોલતા હોય .
સામાન્ય રીતે નસકોરા બોલાવતા હોય એ લોકો બીજાના નસકોરા સહન કરી શકતા નથી. છાપાનાં પાના ફેરવવાના ફરફર જેવા અવાજ થી પણ એમને ભયંકર ખલેલ પહોચતી હોય છે માટે એ લોકો રુમ મા એકલા સુવાનુ વધુ પસંદ કરે છે
 
નસકોરા બંધ થાય એ માટે જાત જાતના દાવ અજમાવાતા હોય છે . દા.ત. નાસ લેવો. નાસ લેવાથી શરદીનો નાશ થાય છે અને નસકોરા બોલતા હોય તો એ બંધ થાય છે એવી વ્યાપક માન્યતા છે.
 
શેક લેવો : ઘણા લોકો નાસ લઇ ન શકતા હોવાથી કપડુ ગોટો વાળીને તવી પર તપાવે અને એનો શેક લેતા હોય છે.પણ આવા બધા દાદીમાના નુસ્ખાઓનુ અનુસરણ કરવાના ઉત્સાહ અને જોશ પર ત્રણ ચાર દીવસમાં જ નસકોરા ફરી વળતા હોય છે અને નુસ્ખાઓ યથાસ્થાને જતા રહેતા હોય છે.
 
કેટલાક સમયથી નસકોરા બોલતા બંધ કરવા માટે મેડીકલ સ્ટોર્સમાં વગર પ્રિસ્ક્રિપ્શને જાતજાતના પાટા-પટ્ટી મળે છે . ખરેખર એ કારગત નીવડે છે કે માત્ર માનસિક શાંતિ માટે જ છે એ તો ભગવાન જાણે તો કોઈ વળી કસરત કરવાનું કહે . વધુ વજનથી આ સમસ્યા વકરે છે એવું સંશોધનો કહે છે . વ્યસનો અને નસકોરાને સારા સંબંધો છે એટલે સંશોધનો વ્યસનમુક્તિને પણ પ્રોત્સાહનો આપે છે . સો વાતની એક વાત કે નસકોરા ન બોલે  માટે બધાયે પ્રયત્નો કરવા છતાં ય જો નસકોરા બોલે જ તો  શ્વાસ લેવાનું તો બંધ ન કરી દેવાય ને ...!!!!
 
સમૂહ નસકોરા સાંભળવાનો લહાવો ક્યારેય તમને મળ્યો છે ? આ લહાવો ખાસ લેવા જેવો છે . કોઈ પણ યોગશીબીરના છેલ્લા ચરણમાં તમને આ લહાવો મળશે .કસરતો અને પ્રાણાયમોથી , શ્વાસને લયબદ્ધ રીતે જોરથી , ધીમેથી અંદર બહાર ફેંકીને શરીરના અંદરના ફેરફારોને સામાન્ય કરવા બધા આસનો પુરા થઇ જાય યાને યોગગુરુઓ શવાસન કરાવે છે જેની સંધી છૂટી પાડતા શબ+આસન એવો અર્થ થાય છે જાણે કે શબ પડ્યું હોય એમ પડ્યા રહેવાનું અને આવતા જતા શ્વાસને સાક્ષીભાવે જોયા કરવાના . આ આવતા જતા શ્વાસ થોડીવારમાં જ નસકોરામાં પરિવર્તિત થઇ જાય છે ને શરુ થાય નાસ્કોરાની જુગલબંધી .થોડીવાર બાદ શવાસન પૂરું થાય ત્યારે ધક્કો મારીને શરીર ને જગાડાય અને નસકોરાનો ધ એન્ડ .
 
ખોંખારો :
 કુંભકર્ણ માટે એમ કહેવાતું કે એ છ મહિના જાગતો અને છ મહિના સુતો . જયારે એ ઊંઘતો હશે ત્યારે નસકોરા બોલતા હશે તો એની આજુબાજુ વાળા છ મહિના સુધી અસહિષ્ણુ નહિ થતા હોય ?

સંકલ્પ લેવાનો છે?...7/1/16


http://bombaysamachar.com/epaper/e07-1-2016/LADKI-THU-07-01-2016-Page-4.pdf

મુંબઈ સમાચાર- લાડકી section ..ગુરુવાર ,૭ જાન્યુઆરી,૨૦૧૬



— શિલ્પા દેસાઈ

“ડાબા હાથે ચમચીથી જળ લઈ જમણા હાથની હથેળીમાં જળ રેડો અને બોલો “આથી હું સંકલ્પ કરું છું .... ને જળ આ મૂર્તિ પર ચઢાવી દો. હવે તમારે સંકલ્પ કરવાનો છે યજમાન... બે હાથ જોડીને ઈશ્વર આગળ માથું નમાવીને બોલો કે નવા વર્ષમાં રોજ સવારે સાઇકલ ચલાઇશ ને સાંજે ઓછામાં ઓછું 3 કિમી ચાલીસ.” “મહારાજ એક મિનિટ…. મારે ક્યાં વજન ઉતારવાની જરૂર છે? હું તો વજન વધે એની દવાઓ લઉં છું. બ્રાન્ડેડ કંપનીઓમાં તો મારા માપનાં કપડાંય નથી મળતા એટલે એટલિસ્ટ એ કંપનીઓનાં કપડાં પહેરી શકાય એટલાં માટે હું મથી રહ્યો છું ને તમે મારી પાસે આ શું સંકલ્પ લેવડાવો છો!”
“અલ્યા ભ’ઈ મારા, એવું નથી. હાથ જોડ્યા પછી સંકલ્પ દરેકે પોતપોતાનો લેવાનો હોય. હું તો મારો સંકલ્પ બોલતો તો કારણ, આ સિઝનમાં મુહૂર્ત બહુ હતાં અને એટલે મારે કૅલરી સારી એવી જમા થઈ ગઈ છે. પરિણામે અબોટિયાની ગાંઠ છૂટી ના જાય એ બીકે એમાં સૅફ્ટીપિન ભરાવું છું. આમ તો મારી પાસે હવે ઇલાસ્ટિકવાળું જ રેડીમેડ ધોતિયું છે પણ આજે એ મળ્યું નહીં તે આ પહેરવું પડ્યું છે. આ મારી ફાંદ દેખાય છે ને? પાટલે બેસીને હું પૂજા કરાવું ત્યારે જો કંકુ-હળદર-ચોખા-કપૂરની થાળી જો ફાંદ તળે સંતાઈ જાય તો મને દેખાતી ય નથી. એ શોધવામાં મારાથી શ્લોકો ય સ્કીપ થઈ જાય છે. ઘણીવાર એટલે આ થાળી ય હવે મારી બાજુમાં મૂકું છું જેથી તરત નજરે ચડે. ખ્યાલ આયો? અને... હું એમ પૂછું કે તમારા સંકલ્પ હું કેવી રીતે લેવડાવી શકું યજમાન? તમારા મગજમાં શું ધખારા છે જેના લીધે તમારા પર પોતાનો જ કંટ્રોલ નથી એ ધખારા મૂકવાનો સંકલ્પ કરી નાંખો આંખ મીંચીને. જમણી હથેળીમાં ફરીથી જળ લો અને લઈ લો સંકલ્પ. ને હા, સંકલ્પ ભાવથી લેવાનો... શ્રદ્ધા પૂરેપૂરી રાખવાની અને મનને મક્કમ બનાવવાનું. ને યજમાને જળ ભગવાનને ચઢાવીને કંઈક હોઠ ફફડાવ્યા અને સંકલ્પ લીધાનો સંતોષ લીધો.
“સંકલ્પ”ને અંગ્રેજીમાં Resolution કહે છે. કેટલાય મિત્રો એકબીજાને નવા વરસની શરૂઆતમાં પોતપોતાના સંકલ્પો વિશે પૂછતા હોય છે. આમ જુઓ તો સંકલ્પ એ છીંક ખાવા જેવી ઘટના છે. તેનાથી તમારા તનાવો થોડાં દૂર થાય છે. થોડા વધુ આધ્યાત્મિક થઈએ તો એમ કહેવાય કે સંકલ્પ એ માત્ર છીંક ખાવા જેવી ઘટના નથી પણ અનુભૂતિ છે. નિરંકુશ મનુષ્યનું જીવન શિસ્તમય હોય છે. આ શિસ્ત પરાણે ઠોકી બેસાડેલી નહીં પણ આંતરિક સ્વયં ઉદ્ભવેલી હોય છે. એ જ રીતે સંકલ્પ એ લોકોને જ લેવા પડે છે જે લોકો જાણેઅજાણે કોઈ પણ કિસ્સાઓમાં ક્રિસની બહાર જઈને રમ્યાં હોય ને પછી એમને અહેસાસ થાય કે સાલુ આ બરાબર નથી. ફરીથી આવું ન થાય માટે સંકલ્પ લેવો પડશે. સંકલ્પ લેવો અત્યંત સરળ છે પણ એ નિભાવવો એટલો જ કઠિન. જે વસ્તુ તમે છોડવા કે પામવા માગતા હોવ એના માટે તમે સંકલ્પ લેતા તો લઈ લો પણ એની પાછળના તમારા ધખારાનું શું? સંકલ્પનું લગ્ન જેવું છે. લેતા લઈ લો પણ પછી એ નિભાવવા માટે ઘણી બાંધછોડ કરવી પડે.
સંકલ્પની શરૂઆત તો રામાયણ-મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા છે. સિરિયલો પ્રમાણે જોઈએ તો એમાં બધા રાજા-મહારાજાઓ રોજેરોજ કંઈ ને કંઈ યજ્ઞમાં સંકલ્પ લીધા કરતા હતા. એ સમય કુદાવીને વર્તમાન સમયમાં આવીએ તો મહાત્મા ગાંધીએય હાથમાં મીઠું ઊંચકીને સંકલ્પ કરેલો અને ઇતિહાસ ફેરવી નાંખેલો. સંકલ્પ લઈને પાળી બતાવવાનું એ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. દાળશાકમાં મીઠું નાંખતા પહેલાં બાપુને સહેજ યાદ કરી જોજો.
સંકલ્પ લેવાની જરૂર મોટા ભાગે બહુ બોલ બોલ કરતાં લોકોને વધારે હોય છે. આ પ્રજાતિ જ્યાં-ત્યાં બાફવામાં એક્સપર્ટ સાબિત થતી હોય છે. બફાટ કર્યા પછી અફસોસ કરી અને રડારોળ કરે... કદાચ આ બહુ બોલવા પર લગામ ખેંચવા માટે જ મૌન મંદિર, વિપશ્યના વગેરેનો જન્મ થયો હોવો જોઈએ.
સંકલ્પ લેવાના ફાયદા શું? આ પ્રશ્ન સંકલ્પને વળગી રહેવા માટે અંબુજા સિમેન્ટ જેવી ઠસોઠસ મજબૂતી પૂરી પાડે છે તો નબળા મનના મનુષ્યો માટે આ જ પ્રશ્ન સંકલ્પનો મારક પુરવાર થાય છે.
“ભટ્ટજી સંકલ્પ લેવાના કે નવા વર્ષમાં? જો જો પાછા, સંકલ્પ હોટલની વાત કરું છું એમ માનીને બાફતા નહીં. તમારો ભોજનપ્રેમ જગત વિખ્યાત છે એટલે તમે આવું બાફો એવી શક્યતાઓ ભારોભાર છે.”
“હા કાકા, આ વખતે તો અમે એક નહીં અનેક સંકલ્પો લેવાનો સંકલ્પ કરેલો છે. આખું લિસ્ટ જ ટાઇપ કરાવડાવી દીધું છે અને એની ઝેરોક્ષ કોપીઓ કઢાવી લીધી છે. ઘરમાં, તમારા જેવા શુભચિંતકોને એક એક લિસ્ટ આપી દઈશું જેથી અમે જો લિસ્ટની બહાર જરાક બી જઈએ તો અમને આજુબાજુમાંથી કોઈ ટપારીને પાછા સ્વસ્થાને લાવી શકે.” ગામ આખામાં વજન ઉતારવાના ક્લાસીસોનાં મોટાં મોટાં પાટિયાં લટકે છે ને એમાં કેટલાય લોકો જોડાય પણ છે. આથી અમે પણ નક્કી કર્યું છે કે વજન ઉતારવું. સાલુ ક્યાંય મગજમાં ચરબી ચડી હોય એ ઉતારવાનાં ક્લાસ નથી! આ કટાક્ષથી કાકા પર અસર પડી કે નહીં તે જોવા અમે સહેજ અટક્યાં. કાકા ધ્યાનથી સાંભળતા હોય એમ લાગતા અમે આગળ ચલાવ્યું. “ખાવાની વાત પરથી યાદ આવ્યું કે થાળી-વેલણનો ઉપયોગ અમે જમવા-વણવા માટે જ કરીશું.” કાકા અમને અટકાવતા બોલ્યા : “ભટ્ટજી તમને બીડી, સિગારેટ, દારૂ, ચા, કૉફી કે એવાતેવા કોઈ વ્યસન ખરાં? “હે ભગવાન આ કાકાને માફ કરી દેજો એમને ખબર નથી કે એ કોને આ પ્રશ્ન પૂછી રહ્યા છે.” પણ પ્રગટપણે ઉત્તર આપ્યો : “ના કાકા... બીડી, સિગરેટ, દારૂ જેવાં વ્યસનોનાં અમે હજી સુધી શિકાર નથી અને ચા પીવી અમારી ગમતી પ્રવૃત્તિ છે. અમારા માટે યજ્ઞ સમાન છે. ને યજ્ઞ કરવો તો સારી બાબત કહેવાય. વ્યસન નહીં. માટે અમે આ ચા-યજ્ઞ જારી રાખીશું. હવે વચ્ચે ટોક્યા વિના લિસ્ટ પૂરું કરવા દો. અમે આગળ લખ્યું છે કે દિયા ઔર બાતી, સીઆઈડી, સાથિયા વગેરે વગેરે જેવી સિરિયલો જોઈશું નહીં અને ધારો કે બાય મિસ્ટેક એ જોવામાં આવી જશે તો એક આખ્ખો દિવસ મૌન પાળીશું. વાત કરીશું તો લખી લખીને. એમ કરવામાં એક સૂક્ષ્મ ફાયદો એ થશે કે અમારા અક્ષર સુધરશે.”
“પણ, ભટ્ટજી તમે તો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહો છે. તમને મોબાઇલનું વ્યસન છે. મોબાઇલમાં તો ટાઇપ કરવાનું હોય. એમાં અક્ષર કેવી રીતે સુધરશે?”
“તમને નહીં સમજાય રહેવા દો. મોબાઇલ આજની તાતી જરૂરિયાત છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ વ્યસન ન કહેવાય. હવે, પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ. અમારો હવેનો સંકલ્પ છે કે જો ભારત T-20માં વર્લ્ડ કપ જીતશે તો અમે એ દિવસે મગની દાળનો શીરો બનાવીને ખાઈશું. અમને સ્વીટ જરીક પણ ભાવતું નથી પણ દેશ માટે એટલું તો કરી શકાય ને? દેશ માટે થઈને અમે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત ખાદી જ ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે તો કહીએ છીએ કે દરેક ભારતીયએ આ સંકલ્પ લેવો જ જોઈએ. ખાદીના વસ્ત્રો માત્ર નેતા-અભિનેતાનો જ ઇજારો છે એવું થોડું છે? આખરે દેશપ્રેમ જેવી ભાવના જેવું તો કંઈ હોવું જોઈએ ને દરેકને?”
આટલું બોલીને અમે શ્રોતાગણનો પ્રતિભાવ નિહાળવા સામે જોયું તો શ્રોતાગણ અંતર્ધ્યાન થઈ ગયેલો દીસ્યો. પણ ડગલું ભર્યું કે ન હઠવું ન હઠવું..... નો હઠાગ્રહ યાદ રાખીને અમે અમારું લિસ્ટ વાંચન ચાલુ રાખ્યું. “વિમાનમાં બેસતા પહેલાં એમાં ઉંદર છે કે નહીં તેની જાત-તપાસ કરીશું અને જો હશે તો તરત જ જીવદયા કેન્દ્ર પર જાણ કરીશું. જો હવામાં અધ્ધર ગયા પછી મૂષક-અસ્તિત્વનો અણસાર આવશે તો કમરપટ્ટો ફીટોફીટ બાંધીને અમે અમારી જગ્યા પર મૌન બેસી રહીશું. વળી કોઈ પણ પ્રકારના રાજકારણમાં રસ નહીં લઈએ. કારણ કે રમતગમતમાં અમે નાનપણથી જ “ઢ” છીએ. સમયપાલન અમારી કમજોરી છે. કોઈને સોંપેલું કાર્ય જો એ સમય પર પૂર્ણ નહીં કરે તો ફરીથી એ વ્યક્તિને એ સમયસર કરી શકે એવું જ કાર્ય સોંપીશું.”
આ યાદી અમે હજી આગળ લંબાવી શક્યા હોત પણ સમય અને યોગ્ય શ્રોતાગણના અભાવે અમે મૌન રહેવું ઉચિત માન્યું.

ખોંખારો : “તમારા સિવાય તમારો ઉદ્ધાર બીજો કોઈ કરવાનો નથી.”
— સરદાર વલ્લભભાઈ પટેલ.

નવું વરસ શરૂ થયું એટલે અમે તો અમારા સંકલ્પોનું લિસ્ટ બનાવીને રસોડામાં ફ્રીજ પર ચોંટાડીય દીધું. એટલુંય કેટલાં કરે છે?

સંપેતરું .....ઉર્ફે ....જોખમ ....ઉર્ફે પાર્સલ :



http://bombaysamachar.com/epaper/e31-12-2015/LADKI-THU-31-12-2015-Page-4.pdf
મુંબઈ સમાચાર..લાડકી..૩૧/૧૨/૧૫


સુદામા કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે એમના મિસીસે પૂછ્યું ; “ ખાલી હાથે જશો ? કઈક લેતા જાવ “ ને પોટલીમાં તાંદુલ ભરી આપ્યા . કૃષ્ણ એ સ્વીકારશે કે જેસીક્રીષ્ણ એ ય ખબર નહિ પણ કૃષ્ણ એ તો સુદામા અને તાન્દુલનું નામ પડતા જ હરખભેર હડી કાઢી પછીની વાત તો સૌ જાણીએ છીએ પણ અમને લાગે છે કે આ મિસીસ સુદામાએ તાન્દુલ પોટલી ભળાવેલી એ કદાચ દુનિયાનું સૌથી પ્રથમ સંપેતરું હતું . કોઈકે આપેલી વસ્તુ કોઈને પહોચાડવી એટલે સંપેતરું .સંપેતરા બે પ્રકારના હોય ...એક તો ખુલ્લા અને બીજા ત્રણ-ચાર પેકિંગ કરેલા .આ પેકિંગ કરેલા સંપેતરા મગજમાં અનેક વિચારો જન્માવે ને પછી એ ડબલ – ટ્રબલ – ચૌબલ પેકિંગ કરેલા સંપેતરા સાચવીને પહોચાડવાની ભલામણના કારણે ઘણીવાર એમ થાય કે બધા પેકિંગ ખોલીને જોઈ લઈએ કે એમાં શુ ભર્યું છે ? આ તાલાવેલી પર કાબુ રાખવો અત્યંત કઠીન કાર્ય છે . ખોખું હોય તો સાવ અજાણતા જ આપણે ખખડાવી જોઈએ ને એનાથી જે ધ્વની ઉત્પન્ન થાય એના પરથી ખોખામાં શુ હશે એની નિરર્થક ( આપણા માટે ) અટકળો કરીએ. શુ હશે ? ગણપતિ ? કે ચાંદીનો ગ્લાસ ? કે એન્ટીક પીસ ? આ પેકિંગવાળું સંપેતરું ઈર્ષ્યાપ્રેરક હોય છે . આપણી પાસે હોય છતાં આપણું ન હોવાનો ભાવ વિષાદયોગને જન્મ આપે છે. બે વ્યક્તિ વચ્ચે ચીજ વસ્તુ ની લેવડ દેવડ થાય અને એ લેવડ દેવડ માં જ્યારે જોડતી કડી કોઈ ત્રીજી વ્યક્તિ હોય ત્યારે એ ચીજ વસ્તુ " સંપેતરું " કહેવાય . ઘણી વખત આ સંપેતરું /અનામત / ભાળવણી કે પાર્સલ સાથે જે તે જોડતી કડી / વ્યક્તિ ને જરાય લાગતું વળગતું ન હોય . આંગડીયા પેઢીઓ કે કુરીયાર્સ આનું ઉત્તમ ઉદાહરણ છે . સંપેતરા પ્રથા ના પાયા માં ભરપુર વિશ્વાસ રહેલો છે ને જોડતી કડી વિશ્વાશું હોય તો ભલભલું ચળાવી ડે એવું સંપેતરું સહીસલામત પહોચે . બાકી તો હરી ઓમ . જો કે આંગડીયા પેઢી કે કુરીયર્સના ફૂલ નહિ તો ફૂલ ની પાંદડી જેવા ચાર્જ બી ઘણા ને ખુચતા હોય છે . " એવા મફત (?) શેના આલી દેવાના ? ' એટલે આવી મફત મેંટાલીટી ઓનર્સ મફત સર્વિસ સેન્ટર જ શોધતા હોય. જેવું ક્યાંક કોઈ મળે કે તરત જ પધરાવી દે . આવું પરદેશ રહેતા હોય એમની સાથે વધારે થાય . કારણ કે પરદેશ મોકલવાની હોય વસ્તુ તો કુરીયર્સ વાળા ભાવ સારો એવો લે. એટલે આ તફમ કોમ્યુનીટી વાળા ક્યાંથી ક્યાંનું સગપણ શોધી લાવે . પછી પ્રશ્નોત્તરી ચાલુ કરે . " કેટલું વજન થયું બેગનું ? એક નાની વસ્તુ છે લગભગ એકાદ કિલો ની . મારી બેબી ની નણંદ ના જેઠાણી ના ભત્રીજી જમાઈ માટે લઇ જવાની . નાં ન કહેતા . લઈ જ જવાની છે . મારા ભાઈ ના સમ . " સીધા સમ ખાવા પર આવી જાય . એ બેટા કઈ બાજુ જાય છે ? જરા આટલો ડબ્બો તારી દીદીને ત્યાં પહોચાડતી જા ને પછી તારા કામે નીકળી જજે તું તારે .' સવારમાં લગભગ દસેક વાગ્યે સ્કુટર ની કિક મારતી હતી ત્યાં જ બાજુવાળા માસીનો ટહુકો સંભળાયો . લીલી ઝભલા થેલી માં એક સ્ટીલ નો ડબ્બો ધરીને માસી મારી બાજુમાં જ આવીને ઉભા રહ્યા. ત્રણ વાક્યો બોલ્યા એમાં પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછ્યો જેના જવાબ ની રાહ જોયા વગર જ બીજા બે વાક્યોમાં મક્કમતાથી હુકમ ફટકાર્યો . હવે હું ગમે તે દિશા માં જતી હોઉં તો પણ માસીના હુકમ નો અનાદર થાય એમ હતું નહિ . એટલે પરાણે હસતું મોઢું રાખીને " હા . હા ... કેમ નહિ માસી , લાવો ને આપતી જઈશ . એમાં શું ? ' આમ તો કાઈ ખાસ નથી પણ તારા જીજાજી ને મારું બનાવેલું પાપડી - વેંગણ નું શાક બહુ ભાવતું છે તો મેં કું થોડું મોકલું : માસી ઉવાચ . મારી અનિચ્છાએ પણ મારા પ્રિય દીદી અને જીજાજી માટે ખાસ શાક આપવા એમના ઘરે જવું પડ્યું . મારા ગંતવ્ય સ્થાન પર પહોચતા મને લગભગ અર્ધો કલાક જેટલું મોડું થયું પણ માસી ના વહાલના વળામણા માં એ તો ગૌણ હતું .તો કેટલાક વિરલા ઓ સામે ચાલી ને સંપેતરા મંગાવે . " આપી જાવ તમતમારે . એ ક્યા ખાવા માંગવાનું છે ? " ક્યારેક આ વિરલા ઓ ધર્મસંકટ માં આવી પડે કારણ કે મદદ રૂપ થવાની હોશ માં પોતાનો સમાન મુકીને સંપેતરા ઓ ઉચકી જવાનો વારો આવે.અમારા એક સગા યુ.એસ.એ. થી આવેલા . મારા મામા યુ.એસ.એ. રહે છે તો એમને કશું મોકલવું હોય તો મોકલી આપો એવું કહેવા એમણે ફોન કર્યો . બે કિલો સુધી વાંધો નથી એમ પણ કહ્યું . હવે આ સગાં રહે જશોદાનગર ચાર રસ્તા અને અમે નારણપુરા. લગભગ ૪૫ મિનીટ જેટલું અંતર . ( ટ્રાફિક excluded )અમે તો હોશે હોશે એકઝેટ બે કિલોનું સંપેતરું બરાબર પેક કરાવીને અભિમન્યુના ચક્રવ્યૂહ ની જેમ ટ્રાફિક ના કોઠા વીંધતા વીંધતા જશોદાનગર પહોચ્યા . ભાઈ એ ચોક્કસ લઇ જશે એમ કહી ને અમારા દેખતા જ સામાન માં મુક્યું . અમને ધરપત થઇ કે હાશ પહોચી ગયું . થોડા દિવસ પછી ભાઈના ઘરેથી એટલે કે જશોદાનગર વાળા ઘરે થી ફોન આવ્યો કે તમારું સંપેતરું ભાઈ લઈ જઈ શક્યા નથી તો તમે પાછુ લઈ જાવ . હવે સંપેતરા માં એક કિલો કાજુ કતરી અને એક કિલો પેંડા મુકેલા . આટલા દિવસ માં એ બગડી જ ગયા હોય એટલે મીઠાઈ પણ બગડી અને સંબંધ પણ !!! પહેલેથી જ કહી દીધું હોત અથવા તરત જ કહ્યું હોત તો મીઠાઈ તો ન જ બગડી હોત !!! કેટલીક વાર આપણે આપણા કોઈ મિત્ર , સંબંધી આવું સંપેતરું / પાર્સલ પહોચાડવાનું કહે તો બે આંખ ની શરમ ના માર્યા નાં કહી શકતા નથી . એક નન્નો સો દુખ હણે એ ઉક્તિ બધાય જાણતા હોવા છતાં કર્ણ ને જેમ અણી ને વખતે જ વિદ્યા વિસરાઈ ગયેલી એમ આપણે પણ ટાંકણે જ નન્નો ભણવાનું ભૂલી જઈએ છીએ અને ઉપાધી ના પોટલા ઊંચકી લઈએ છીએ . કોઈ વાર તો આપણે બારોબાર જ બોલ્ડ થઇ જઈએ . કોઈ જ પૂર્વ તૈયારી વિના ત્રાટકતા વાવાઝોડા ની માફક આપણે બે વ્યક્તિ ના સંપેતરા ને જોડતી કડી બની જઈએ. મોટાભાગે આવા પ્રકાર ના સંપેતરા પહોચાડવા માટે બે આંખ ની શરમ નડી જાય . આપણે બે માં થી એક પક્ષ ને કદાચિત બને પક્ષને સારી રીતે જાણતા હોઈએ અને શરમ માં ને શરમ માં આપણું કામ પડતું મૂકી ને ય સંપેતરું પહોંચાડીએ. એવે વખતે આપણા મનમાં બંને પક્ષ માટે રોષ જન્મે . કોઈવાર જેને સંપેતરું પહોચાડવાનું હોય એને તો બીચારા ને ખબર પણ ન હોય અને રોષ નું નિશાન બની જાય . એકવાર અમે પણ આવી જોડતી કડી બનેલા. જોવાની ખુબીલીટી એ કે અમારે સંપેતરું પહોચાડવું છે એ અમને માહિતી મોડી મળી . બંને પક્ષો સાથે સારા સંબંધ હોવાથી સંપેતરું આપનારની નિયત વિષે શંકા થઇ નહિ . સંપેતરું લેવા ગયા તો ભાઈએ અમારું ય પડીકું પકડાવ્યું. બંદા જરા ખુશ થયા કે વાહ , આ સોદો તો ફળ્યો . બે ત્રણ દિવસ પછી ખબર પડી કે અમે સંપેતરું લઇ જઈએ અને પહોચાડી દઈએ એટલા માટે લાંચ/ ઘૂસ / કટકી રૂપે અમને એ પડીકું ભેટ આપવામાં આવ્યું હતું . જરા ભોંઠા પાડવા જેવું લાગ્યું .

ખોંખારો : સંપેતરું પહોચાડવા પાછળ ઉમદા હેતુ એકબીજા ને મદદરૂપ થવાનો જ હોય છે . સંબંધો ને વટાવી ખાનારા ય છે પણ મદદરૂપ થનારા કાઈ કેટલાય ગણા વધારે છે જેમ દરેક સમસ્યાનો ઉકેલ છે એમ દરેક સંપેતરા નો પહોચાડનાર પણ હોય જ છે

“જમણ-રમણભમણ!-17/12/15

http://bombaysamachar.com/epaper/e17-12-2015/LADKI-THU-17-12-2015-Page-4.pdf

મુંબઈ સમાચાર- ૧૭/૧૨/૧૫ ,ગુરુવાર ,"લાડકી" section

 

— શિલ્પા દેસાઈ

“ચલો દાળ, દાળ… દાળ… દાળ રજા માગે… બોલો દાળ… દાળ...” ને પંગતમાં બેઠેલા મહેમાનો એકસાથે પડિયા આગળ ધરે. દાળ પીરસનારો સર્વ પ્રત્યે સમભાવ દાખવીને પડિયામાં થોડી થોડી દાળ રેડી આપે. છેલ્લા છેલ્લા સબડકાઓ બોલે ને પંગતનો જમણવાર પૂરો થાય. દાળભાત, પૂરી, બટાકાનું રસાવાળું શાક, તેલિયું ઊંધિયું, વાલની દાળ, મોહનથાળનાં ચકતાં અને ડિસ્કો પાપડ-પાપડી. લગ્નપ્રસંગ હોય એ સ્થળથી જરા દૂર જમીન પર લાંબા પટ્ટા પાથરેલા હોય એના પર બિરાજમાન થવાનું. ફટાફટ પડિયા-પતરાળાં મુકાય. ‘એ ભ’ઈ બીજી પતરાળીય આપો. કેટલી ખરાબ પતરાળી છે આ. એની નીચે બીજી મૂકી દઈશ એટલે ચાલશે.” આવુંય સાંભળવા મળી જતું. આવી રીતે બે પતરાળી લેવાવાળા “હુસિયાર” કહેવાય. બધી જ આઇટમોમાં તેલનું પ્રમાણ અતિ. અર્થાત્ કોલેસ્ટ્રૉલનું પ્રમાણ અપ્રમાણ. મોહનથાળનાં ચકતાં પર રીતસર ઘીનો થર. મુખ્ય રસોઈયો પંગત ગોઠવાય એના પર ચાંપતી નજર રાખે. જેવી બધી જગ્યાઓ ભરાઈ જાય કે એ અંદર જઈને બૂમ પાડે “ચાલુ કરો.” ને હુડુડુડુ... કરતાંક પૂરી, શાક-દાળના કમંડળવાળા દોટ મૂકે. પૂરીવાળો પાંચ પાંચ પૂરીના થપ્પા પતરાળીમાં ઠાલવતો જાય. શાક-દાળમાં પહેલી જ પંગત હોય એટલે જરા છૂટથી પીરસાય. ગામડાગામમાં લોકોનો ખોરાક પણ વ્યવસ્થિત હોય એટલે પિરસનારાઓનીય કસોટી થાય. એક પંગત લગભગ કલાકે પૂરી થાય. છેલ્લે પવાલામાં પાણી કે છાશ પીને જોરથી ઓડકાર ખાઈને બે હાથના ટેકે ઊભા થઈને બે મિનિટ મૌન પાળવા ઊભા હોય એમ ઊભા રહે પછી જ ડગલું માંડવા સક્ષમ બને. આવા પંગત જમણવારમાં જરા વધારે જ ખવાઈ જાય એ જમીને ઊભા થયા પછી જ ખબર પડે! બધી પંગતો પડી જાય પછી છેલ્લે બંને કુટુંબનાં પચાસેક જણા જમવાનાં બાકી હોય એ જમવા બેસે. બંને પક્ષનાં વેવાઈઓ સામસામે મોહનથાળનાં ચકતાં ખવડાવે એ આખી ઘટના “લીમ્કા બુક ઑફ રેકૉર્ડઝ”માં સ્થાન પામે એટલી મૌલિક અને ભવ્ય હોય છે. વેવાઈઓ એકબીજાનાં મોઢાં સુધી મોહનથાળનાં ચકતાં લઈ જાય અને પછી ફોટોગ્રાફર સામે જોઈને અટકી જાય. ફોટો પડે પછી જ ચકતુ મોઢાંમાં ઠૂંસવાનું.. વારાફરતી બધા એકબીજા પર જૂની દાઝો કાઢતા હોય એમ એકબીજાનાં મોંમાં મીઠાઈ ઠૂંસે. આવા જમણવારો હવે “અમારા જમાનામાં તો...”ની ટેગલાઇનમાં વર્ણવી શકાય. એમ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. આવા જમણવારો જોવાનીય એક મઝા હતી. હવે લગ્નોમાંય “ગ્લોબલ વૉર્મિંગ”ની અસર વર્તાય છે. ગમે તે સિઝનમાં લગ્નો થાય. કમુરતામાંય શ્રેષ્ઠ લગ્ન મુહૂર્ત નીકળી રહ્યાં છે. દરિયાપાર તો એમ પણ કોઈ મુરત-કમુરતા નડતાં ન હતાં. જમણવારો આધુનિકથી અતિઆધુનિક બની ગયા છે અને મોટા ભાગે હવે લગ્નો ઇવેન્ટ-મૅનેજમેન્ટવાળાની જવાબદારી બની ગયાં છે. વરપક્ષ-કન્યાપક્ષ કરતાં વધારે જવાબદારી આ “અપક્ષ” જેવા ઇવેન્ટ-મૅનેજમેન્ટની હોય છે. લાઇવ બેસૂરા સંગીતથી માંડીને લાઇવ ઢોકળા સુધીની સઘળી જવાબદારી આ અપક્ષનાં માથે હોય છે. એકસરખા યુનિફૉર્મમાં સજ્જ અને મહેમાનોની સરભરા કરતાં, ચટરપટર અંગ્રેજી બોલતાં આસિસ્ટન્ટની ટીમ લગ્નોમાં જુદા જ પ્રકારનો મોભો બક્ષે. કોઈ વાર દેખાદેખીથી તો કોઈ વાર સ્ટેટ્સ સિમ્બોલ તરીકે લગ્નોની જવાબદારી આ અપક્ષ જેવા ઇવેન્ટ મૅનેજમેન્ટને સોંપી દેવાય છે. જૂના જમાનામાં ભાંગેલા દિલની ધડકન એવો “પિયાનો” હવેનાં લગ્નોમાં જમણવાર સાથે મનોરંજન પીરસે છે. જમતાં-જમતાં “લાઇવ” પિયાનો સાંભળીને ત્રણચાર વાટકી બાસુદી કે રસ ઝાપટી જનારા ભોજનપ્રેમીઓની સંખ્યા સારી એવી હોય છે. તો વળી કેટલાક આ પિયાનો સૂરમાં છે કે બેસૂરો એની વ્યર્થ ચર્ચા કરવામાં જમવાનુંય વિસારે પાડી દે એવા વીરલાઓય મળી જ રહે. હવેનાં લગ્નસમારંભો ઘરઆંગણેથી કે ન્યાતની વાડીઓમાંથી બહાર નીકળીને પાર્ટીપ્લૉટોમાં ગોઠવાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટોમાં સરસ મઝાનાં ડેકોરેશન વચ્ચે જમણવારો ચાલે. પ્લોટના એક ખૂણામાં લાઇનસર જુદા જુદાં કાઉન્ટર ગોઠવેલાં હોય અને કાઉન્ટરની સામી બાજુએ અપક્ષનાં યુનિફૉર્મવાળા, વેલમેનર્ડ કાઉન્ટર બોયઝ, કાઉન્ટર ગર્લ્સ ઊભાં હોય. ભોજનની સાથે એકસરખું જ સ્મિત પિરસતાં આ ટીમ મેમ્બરો જૂના લોકોને એમના જમાનાનાં લગ્નનાં જમણવારો યાદ કરાવી દે ખરા! એ સમયે પિરસણિયા મોટા ભાગે કુટુંબનાં જ ભાઈ-ભાંડરડા, આડોશીપાડોશી હોય અને મોટાભાગે પંગતમાં જમવા બેસનારથી પરિચિત હોય એટલે આગ્રહ કરીને જમતા પણ ખરાં. વચ્ચે વળી પાછો ટેબલખુરશીનો યુગ પણ થોડો સમય ઝળહળી રહ્યો. ધોળા બગલાની પાંખ જેવા ટેબલ-ક્લૉથ, સ્ટીલનાં થાળીવાટકાએ એમનાં સમયમાં બરાબર રાજ કર્યું. તો જમણવારની મિષ્ટાન્ન-પકવાનમાં આમૂલ પરિવર્તન આવ્યું. પૂરીની ઇનિંગ્ઝ પૂરી થઈ હોય એમ જાતજાતનાં પરોઠા, રોટલીઓ ટેબલ પર દેખાવા માંડ્યાં. થાળીવાટકાનાં ખખડાટ પણ થોડા ઓછા થયા અને સુવર્ણયુગ શરૂ થયો બૂફેનો. ઊભા ઊભા જમવાની આ પદ્ધતિ ‘ગીધ-ભોજન’ તરીકેય ઓળખાય છે. મોટા મોટા પાર્ટીપ્લૉટમાં યોજાતા જમણવારોને ધ્યાનમાં રાખીને વિખ્યાત કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે એકવાર સરસ રમૂજ કરેલી : “ઢોંસાનું કાઉન્ટર ક્યાં છે?” એક મહેમાને બીજાને પૂછયું. બીજાએ જવાબ આપ્યો : “આ પેલું પાણીપુરી વાળુ કાઉન્ટર છે ને ત્યાંથી ડાબી બાજુ ચાઇનીઝ છે અને જમણી બાજુ મેક્સિકન છે. એ પૂરું થાય એટલે તરત જ ઢોંસાનું કાઉન્ટર છે.” આ બૂફેપ્રથાથી ખરેખર ભોજનવીરો થોડા નિરાશ થયા. બેસીને આરામથી તૈયાર ભાણે જમવાની જે જાહોજલાલી હતી એનું આ પ્રથાએ ગળું ઘોંટ્યું અને ઉપરથી જાતે પીરસીને જમવાનો વારો આવ્યો. જમણવારોમાં વાનગીઓનાં નામ ગણવામાંય આંગળીના વેઢા વધી પડતાં એને બદલે ભારતીય ઉપરાંત — મેક્સિકન, થાઈ, શ્રીલંકન વગેરે કોન્ટિનેન્ટલ ફૂડ પીરસાવા માંડ્યાં જેનાથી મોટા ભાગનાં નામ પણ જમી રહીએ ત્યાં સુધીમાં ભુલાઈ જાય.
યુનિફૉર્મવાળા પેલા અપક્ષના સભ્યો હાથમાં જાત જાતનાં સ્ટાર્ટર, સૂપ, જ્યૂસની ટ્રે લઈને ચોતરફ ફર્યા કરે. જેને જે ખાવું હોય એ ખાય. કોઈને વળી સ્ટાર્ટર ભાવી જાય તો એના પર જ મારો ચલાવે. તો કોઈ વૃદ્ધજનને પનીર ટીકા સળી કહેતાં ટૂથપીકમાં ભરાવીને કેવી રીતે ખાવું એનો ડેમો કોઈ ટેણિયો આપતો હોય એવુંય જોવા મળે તો.
ભારતીય વાનગીઓ તો ઘેર ખાઈએ જ છીએ તે અથવા તો દેશી ગણાઈ જવાની બીકે વિદેશી ભોજનનાં કાઉન્ટર પર જરા વધારે ભીડ જોવા મળે. જે રીતે ભોજનનાં કાઉન્ટર અને વપરાયેલી થાળીઓનાં કાઉન્ટર વચ્ચે અંતર હોય છે એ જોતાં એમ લાગે કે થાળી મૂકીને પાછા આવીશું ત્યારે ફરી ભૂખ લાગી જશે કે શું? તોય, આ આધુનિક જમણવારોમાં એકેય આઇટમ મનભરીને ધરાઈને ખવાય નહીં અને તેમ છતાંય જમી પરવારીએ ત્યારે વધારે પડતું ખાઈ લીધાની અનુભૂતિ ચોક્કસ થાય. 100-150 વાનગીઓ ધરાવતા જમણવારમાં કેટલીય આઇટમ તો ચાખી પણ ન શક્યાનો રંજ પણ સારા ભોજનપ્રેમીને પજવે. જમી લીધા પછીય તમને મુખવાસમાં પાન બનાવીને શેરો-શાયરી લલકારતાં ખાસ તાલીમ પામેલાં પાનવાળાઓ પાન મોંમાં મૂકી આપે અને તમને એટલિસ્ટ જમણવાર પૂરતાં રાજા-મહારાજા જેવી ફિલિંગ આવે જ આવે.

ખોંખારો : બૂફે જમણવારમાં ગમ્મે એટલાં ફેરફાર આવે, હાથ ધોવા તો ચોક્કસ જમનારે જ જવું પડશે. કારણ કે પંગતમાં બેસીને જમણવારમાં હાથ થાળીમાં ધોઈ શકાય છે પણ એક હાથે પ્લેટ પકડીને બીજો હાથ પ્લેટમાં કેવી રીતે ધોવો એની હજી કોઈ રીત શોધાઈ નથી.