Thursday, July 28, 2016

મૌન v/s વાણી

મુંબઈ સમાચાર,૨૮/૦૭/૨૦૧૬ ગુરુવાર ," મરક મરક" લાડકી વિભાગ .. 



મનુડાએ બાઈકનો હોર્ન માર્યો ને ખભે ધોળો ખેસ નાંખીને તૈયાર ઊભેલા કાંતિકાકા બાઈકની પાછલી સીટ પર ગોઠવાઈ ગયા.મનુડો  વાણીવિલાસમાં નેતાલોકથી જરાય કમ નહતો.૧૨૦નું પડીકું ખોલે ને જેનું નામ પહેલંુ બોલે એની વાટ લાગી જતી. આજે મનુડા અને કાંતિકાકાના કોમન કોન્ટેક્ટ એવા રામુકાકાનું અવસાન થયેલું એટલે કાંતિકાકા પાસે મનુડાની  વાણીનો લાભ લીધા સિવાય છૂટકો નહતો.એક બાજુ બાઈકે સ્પીડ પકડી અને બીજી બાજુ મનુડાની વાણીએ. 'આ રવિવારે કોઈ એક્સફાયર થઈ જાય ને તો ઈટ્સ ઈરીટેટીંગ્ઝ.ગોડનું ય કંઇ વિચારવું જોઈએ ને ઈન્સાનોએ.માણસ ભયંકર અનપ્રેડિક્ટીંગ એનિમલ છે.કાકા, આપડે ગાર્ડનમાં લોન વાઈ છે. એક ઝાપટું પડ્યું ને ઓલ ગો ગ્રીન.ને મોર હૌ આવવા માંડ્યા ટેંહુક કરતા.એકવાર અમારા બાથરુમની ટાંકી પર આપડે મોરને કળા કરતો જોયેલો તારનું ડિશાઈટ કરેલું લોનનું.નક્કી કરે તો હું નું હુ કરી નાંખે માણસ.ઈટ્સ ઈરીટેટીંગ્ઝ.શું કહો કાકા? "કાકાના જવાબની રાહ જોયા વિના મનુડાે નોનસ્ટોપ 45 ગરબાની કેસેટની માફક એકમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી વાત વગાડતો જ રહે.સ્મશાન આવતાં કાંતિકાકાએ જરા રાહત અનુભવી."ઓહો..સુ પબ્લિક આયું છે?ઈરીટેટીંગઝ..તૈણ ચાર ડેડબોડીઝ ડેલીબ્રેટલી આઈ લાગે આજે હૌ. રામુકાકાને ટાઈમસર લાવે તો હારુ નહીં તો અહીં જ હાંજ થઈ જવાની.લોકો ય હારા હેફાઝાર્ડ ગુજરી જાય છે હમણાના. જો ને સીઝન કેવી બેક્કાર છે. નથી સનલાઈટ્સ કે નથી રેઈન્સ.ઈરીટેટીંગ્ઝ. પણ મૌનમાં જબરી તાકાત છે.પણે જુઓ. કેવા ભાઈચારાથી ફુલો નીચે ત્રણેય ડેડબોડીઝ ગાઢ નિંદરમાં હોય એવી દેખાય છે!  કાકા, સાચું કહેજો. હું બોલ્યો એ વાત સાચી કે ખોટી?" કાંતિકાકાએ મનમાં કહ્યું 'ઈરીટેટીંગ' ને પ્રગટપણે "હા..મૌનમાં જબરી તાકાત હોય છે."નું મત્તું માર્યું ને રામુકાકાના સંબંધીઓ ઊભેલા એ તરફ પગ ઉપાડ્યા.  
એવું કહેવાય છે કે બહુ બોલ બોલ કરનારા લોકો બેવકુફ હોય છે." ખાલી ચણો વાગે ઘણો" કહેવતનો જન્મ પણ અધુરા જ્ઞાનને લીધે બધે ભરડ ભરડ કરતા લોકો થકી જ થયો છે. પણ જો એ લોકો બોલે નહીં તો એમની પાસે જે-તે વિષય અંગે અન્ય કરતાં વધુ માહિતી છે એ જાહેર જનતાને કેવી રીતે ખબર પડે? યે પબ્લિક હૈ ,સબ જાનતી હૈ વાળી પંક્તિ કંઈ બધી વખત સાચી ન પડે.ખાસ કરીને જ્યારે કોઈનું સન્માન કરાતું હોય ત્યારે બધાને જેનું સન્માન થતું હોય એના વિષે બધી માહિતી હોય જ એવું જરુરી નથી. એવા સમયે બોલવું જ પડે. ને મોટાંભાગે આવા કાર્યક્રમો નિયત સમય કરતાં વધુ સમય લઈ જ લે. દરેક વક્તા પોતે બીજાં વક્તા કરતાં વધુ જાણે છેની હરિફાઈમાં સ્થળ,કાળ ,હાજરી બધું ભુલીને વધુ પડતુ બોલી નાંખે. એકવાર ંધારદાર બોલવા માટે જાણીતા સ્વ. મોરારજી દેસાઈનો સન્માન સમારંભ હતો. મંચસ્થ વિદ્વાનો એટલું બધું બોલ્યા કે મોરારજીભાઈનો વારો આવ્યો ત્યારે એ માત્ર "નહીં બોલું"  જ બોલીને બેસી ગયા.લાખ આગ્રહ છતાં ય એ ટેકીલો જણ ધરાર ન જ બોલ્યો . આજે ચારેકોર આપણા રાજકારણીઓ જે રીતે નિવેદનો ફટકારે છે એ જોતાં એમ થાય કે કદાચ ગમેતેમ બફાટ કરવો એ રાજકારણમાં પ્રવેશવા માટેની છુપી એડિશનલ લાયકાત હોવી જોઈએ. જેમ પબ્લિક સ્પીકિંગ માટે કોચિંગ ક્લાસ હોય છે એમ "મનફાવે એવાં  નિવેદનો "નહી કરવા  માટે પણ કોચિંગ ક્લાસ હોવા જોઈએ અને રાજકારણમાં પ્રવેશવા ઈચ્છુકો માટે ફરજિયાત એક સર્ટિફિકેટ કોર્સ દાખલ કરવો  જોઈએ તદુપરાંત, એ કોર્સ કરેલા ઉમેદવાર પાસેથી ઇન્કમ ટેક્સ વિભાગે  એડવાન્સમાં જ  નિવેદન-મનોરંજ-ટેક્સ વસુલ કરવાની કલમ લાગુ કરવી જોઈએ. એનાથી જો કે  મિડીયાને અને પ્રજાને ચોક્કસપણે રાજકારણમાંથી મનોરંજનનું તત્વ ઘટી ગયાની લાગણી ઉદ્ભવશે.પણ  મનોરંજન સ્વયંપ્રકાશિત હીરા સમાન છે. અેને ગમે એટલું ઢબૂરો તો ય ચળકશે જ.  
બહુ બોલકણા લોકો પર લોકોને વિશ્વાસ ઓછો બેસે છે અને એમની વાતોની સચ્ચાઈ વિષે શંકા રાખે છે પણ હકીકત એ છે કે એવા બોલકણા લોકો જે-તે ઘટના કે દુર્ઘટના અંગે એ જ વખતે બોલી પરવાર્યા હોવાથી એમની વાતો નિત નવી જ હોય છે. નિતનવી વાતો પીરસવા માટે એમણે કુવામાંના દેડકા ન બની રહેતા બહાર કુદકો મારવો જ પડે છે. દેશ અને દુનિયાનાં સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવાને લીધે એ પાંચમાં પુછાય છે. એમનું મિત્ર વર્તુળ પણ સિમિત ન રહેતા બહોળું હોય છે.  સામી બાજુ, મૌન રહેનારા મીંઢામાં ખપે છે. જેમ શાંત પાણી ઊંડા હોય એમ મૌન રહેતાં લોકોનું મન કળી શકાતું નથી. મૌન રહેવાની ટેવનાં લીધે એમનું જ્ઞાન વહેંચાયા વિનાનું રહે છે .આ વહેંચાયા વિનાના જ્ઞાનથી એમની મેમરીની ચીપ ભરેલી જ રહે છે પરિણામે એ નવું જ્ઞાન મેળવે તો પણ સ્થળ સંકોચના કારણે સંગ્રહી શક્તા નથી અને એમની સ્થિતિ બંધિયાર તળાવ જેવી થઈ જાય છે. આ કારણોસર આવા મૌનીબાબાઓનું મિત્રવર્તુળ મર્યાદિત  રહે છે.ઘણી વખત પોતાના અજ્ઞાનને છુપાવવા માટે ચતુરો મૌનનો સહારો લે છે. તો કેટલીક વાર કપરા અથવા વિપરીત સંજોગોને લીધે બોલકણાઓએ પણ મૌન સેવવું પડે છે. અણગમતી પરિસ્થિતિમાં બોલવા કરતા બાફવાના પરિણામો ભયંકર આવી શકે છે એનાથી આપણે અવગત છીએ. એકવાર છૂટી ગયેલું તીર અને શબ્દો પાછાં નથી વળતાં.આ વાત બરાબર સમજતાં સમજદારો જોખી જોખીને બોલવાનું મુનાસિબ સમજે છે પણ બોલે તો છે જ. એટલે ન બોલવામાં નવ ગુણ કરતાં બોલે એના બોર વધુ જ વેચાય છે એમાં કોઈ ઈનકાર કરી શકે એમ નથી .મૌન થકી કોઈ સાધુસંતોએ પોતાના શિષ્યોને જ્ઞાન પીરસ્યું હોય એવા દાખલા સમાજમાં કેટલા?
ખોંખારો: ગાંધીજી સાત દિવસે  એક દિવસ મૌન રાખતા એ જાણીને અમે એમનાથી પ્રેરિત થઈને રોજ પુરા સાત કલાક મૌન પાળીએ છીએ- ઊંઘી જઈએ ત્યારે.