Thursday, November 28, 2013

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ....

આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ !t
પછી પેલી છોકરી ને રૂમાલ નું શું થાય ,રમેશ ...
તમને પેલી સિટીના હીચકા ના સમ !
સોનલને ચાહવાની ઋતુઓ સાઠ તો કેમ ભૂલાય ,રમેશ ..
તમને પેલી ઢાળ ઉતરતી ટેકરીના સમ !
છ અક્ષરના માલિક તમને હોકારો'ય ક્યાં દેવાય ,રમેશ ..
તમને ખડિંગ ને વિત। સુદ બીજના સમ !
આમ સભા વચાળેથી નો ઉઠાય ,રમેશ ..
તમને આલા ખાચર ને સોનલના સમ!!!

(Reposting..
❤️© Desai Shilpa ❤️

Friday, November 15, 2013

P R Joshi ....એક સ્મરણનોંધ ..

એક  સ્મરણનોંધ ...


બરાબર યાદ નથી પણ ૧૦-૧૧ વર્ષ ની ઉમર હશે એ વખતે . એક દિવસ ઓફિસેથી આવી ને પપ્પા એ દાદાને વાત કરી કે "પીઆર આવવાનો છે અત્યારે ." મને કાઈ ખબર ન પડી એટલે મેં પૂછ્યું કે "પીઆર એટલે કોણ ? "દાદાએ જવાબ આપેલો " પ્રબોધ જોશી . ' કેડીલા 'કંપની છે ને ? એમાં બહુ ઉચી પોસ્ટ પર છે " મેં માથું ધુણાવી મુકેલું . ત્યારે કેડીલા સ્પ્લીટ નહોતું થયું , એક જ કંપની હતી . ૧૦-૧૫ મિનીટ પછી એક વ્યક્તિ ઘરમાં પ્રવેશી - પડછંદ શરીર , ગોરો વાન , ચહેરા પર સતત રેલાતું સ્મિત અને કઈક અજબ સુરખી. જોશી કાકા ને એક આંખમાં કશીક તકલીફ હતી પણ એ તકલીફ એમના પ્રચંડ આત્મવિશ્વાસ ની એક કાંકરી પણ ખેરવી નહોતી શકી. જોશીકાકા ઉર્ફે PR ઉર્ફે પ્રબોધ આર જોશી . Group President - HR and Corporate communications - Zydus Cadila .ધીરે ધીરે જોશીકાકા સાથે પારિવારિક સંબંધો કેળવાતા ગયા અને અમારે ઘરે નાના કે મોટા પ્રસંગોએ એમની હાજરી અમારે મન સહજ થઇ પડી. અમારી આ ઓળખાણ પર વર્ષોના પડ ચડતા ગયા એમ એમ મજબૂતી વધતી ગઈ. આ મજબુતી મારા પપ્પાની માંદગી વખતે સામે આવી . પપ્પાની માંદગીની રજેરજની માહિતી એમની પાસે રહેતી. પોતે ફાર્માંસ્યુંટીકલ કંપની સાથે સંકળાયેલા હોવાને લીધે  શહેરના સારામાં સારા કેન્સર સર્જન , હોસ્પિટલો સાથે એમના વ્યવસાયિક સંબંધો  જોશીકાકાએ પપ્પાની માંદગીમાં કામે લગાડ્યા. પપ્પાનો એક જ મેસેજ કે ફોન પર એ ગમે તેવું કામ પડતું મુકીને હાજર થઇ જાય . " ભાઈ મને કહે તો મારે આવી જ જવાનું , કોઈ પણ સવાલ જવાબ કર્યા વિના " આ એમનો કાયમી સંવાદ .
સાતમી ઓક્ટોબર, ૧૯૫૩ એ જન્મેલા પ્રબોધ જોશીનો મૂળ જીવડો સાહિત્યકારનો એટલે જ તો એમ.એ. વિથ ઈંગ્લીશ લીટરેચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઇન્ડ રીલેશન એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ ; ' કેડીલા ' જેવી ફાર્મસી ઉદ્યોગની તોતિંગ કમ્પની સાથે ગળાડૂબ હોવા છતાં એમણે સાહિત્યને સદાય હ્રદયસરસું જ રાખ્યું . જાણીતા સાહિત્યકાર અને કવિ સ્વ. ડો. રમણલાલ જોશીના પુત્ર હોવાના નાતે , પિતાએ શરુ કરેલા માસિક ' ઉદ્દેશ ' ને પૂરી નિષ્ઠાથી ધબકતું રાખીને પિતૃતર્પણ પણ કર્યું . ' ઉદ્દેશ' માં ગુજરાતી સાહિત્યની હારોહાર અન્ય ભાષાના સાહિત્યનો પરિચય પીરસતા રહ્યા તો સંપાદકીયમાં એમની ભાષા, વિષય પરની મજબુત પકડ આખે ઉડીને વળગે એવી.

૧૬ માર્ચ ૨૦૧૨ , રાત્રે ૮ નો સુમાર હશે . પપ્પાનો મારા પર ફોન આવ્યો : " કાલે સવારે ૧૦.૩૦કલાકે જોશીકાકા આવવાના છે , તું આવી જજે આપણે લખવા વિષે થોડી વાત કરી લઈએ .સત્તરમી માર્ચે સવારે હું પપ્પાને ત્યાં પહોચી . થોડીવાર પછી પપ્પા મને કહે કે " જોશીકાકા ને ફોન કર , હજુ આવ્યો નહિ " મેં કહ્યું કે " હજુ હમણાં જ તો ૧૦ વાગ્યા છે , એમને ૧૦.૩૦ નું કહ્યું છે તો આવી જ જશે ' બરાબર સાડા દસે જોશીકાકા આવ્યા ને પપ્પા મોજ માં આવી ગયા . લગભગ બે કલાક બેઠા હશે ને એમાં જગત આખાની અલકમલકની વાતોનો દોર ચાલ્યો . પપ્પાએ એમના જાપાન પ્રોજેક્ટ વિષે પૂછ્યું. જોશીકાકા : "અત્યારે એની જ મીટીંગ હતી પણ તમારો ફોન આવ્યો એટલે મીટીંગ થોડી મોડી રાખી ".આંતરરાષ્ટ્રીય કક્ષાની મીટીંગ આ માણસે માત્ર એક જ ફોન કોલ પર પાછળ ઠેલી દીધી અને એનો લેશમાત્ર પણ દેખાડો ન કર્યો કે રંજ પણ નહિ . " તારા પપ્પા કહે એ મારા માટે પૂર્વ દિશા " ફરીથી એ જ ધ્રુવ વાક્ય . કમનસીબે પપ્પા શારીરિક રીતે બહુ લાંબો સમય સ્વસ્થ ન રહી શક્યાં  અને ૩૦ મી માર્ચે એમણે આખરી વિદાય લીધી.



૧૪ મી એપ્રિલ 2012 - પપ્પાના અવસાન ને ૧૫ દિવસ થઇ ચુક્યા હતા . આજે જોશી કાકાના કાવ્યસંગ્રહનું વિમોચન હતું . " પાછો ઉઘાડ નીકળ્યો આ "  ૧૯૭૮ માં પ્રથમ કાવ્યસંગ્રહ " મારે કોઈ નામ આપવું બાકી છે " પ્રકાશિત થયો ત્યાર પછી લગભગ ૩૩ વર્ષે બીજો કાવ્યસંગ્રહ. સ્વ. સુરેશ દલાલ કહે છે એમ "પ્રબોધ જોશી મહેફિલ કે મંચના કવિ નથી. એમની કવિતા ભાવકની હથેળીમાં કમળ થઇ ને ઉઘડે . ઓછામાં ઘણું વ્યક્ત કરવાની એમની ગજબની શક્તિ છે.નીરવતાનો નાદ એમને અતિ પ્રિય છે . ( પ્રસ્તાવના " પાછો ઉઘાડ નીકળ્યો આ "). "પુસ્તક નું વિમોચન ગુજરાતી સાહિત્ય જગત ના માંધાતાઓની હાજરીમાં થયું. એમને કાવ્યપઠન કરવાનું કહેવામાં આવ્યું ને જોગાનુજોગ થયું એવું કે એમના આ પુસ્તક પર હસ્તાક્ષર લેવાનું વિચારીને મેં આ પુસ્તક ખરીદેલું ને પાનાં ફેરવતી હતી . એક કાવ્ય પર નજર પડી - પિતાશ્રી ને . પંદર દિવસ પહેલા જ મારા બાપ ને ગુમાવી ચુકેલી  એટલે જાણ્યે અજાણ્યે આ કવિતા સાથે હું જોડાઈ ગઈ .ને જોશીકાકા એ પઠન પણ એ જ કાવ્ય નું કર્યું.
-----------
"પિતાશ્રી ને - "
-----------
તમે અશબ્દ
ને
હું સ્તબ્ધ
તમે કઈક કહેવા માંગતા હતા
પણ એ હું સાંભળી શકતો નહોતો
એવું તો તમે નહિ જ માનતા હોવ
ખરું ને ?


અંતિમયાત્રા માં

આજે
તમને ખભે ઉચકી ને
ચાલ્યો
થોડું થોડું
ત્યારે
એવું કેમ લાગ્યું કે
તમારી
આંગળી પકડી
ચાલી રહ્યો છું
ધીરે ધીરે

એ પછી

સ્મશાનમાં , શોકસભામાં
ઘર અને બહાર
મળ્યા ચહેરા અનેક
મૌન
પછી ભળી ગયા એકમેક
રચાયું કેવું ઐક્ય !!
વિસર્યો કે હું એક ....."

------------------------------
બે આંસુ કદાચ એમની આંખોથી પણ ટપક્યા હતા કે શું ?

ખેર બહુ ટુકા સમય માં જાણ થઇ કે એમને પણ કેન્સર થયું છે. મળવા જવાની તીવ્ર ઈચ્છા પણ રડી પડાશે તો ? એ ભયે જવાનું ટાળ્યું . ત્યાં જ ' ઈમેજ પબ્લીકેશન ' ના ૧૧ કવિઓના પુસ્તક વિમોચનમાં એ આવ્યાં અને અલપઝલપ મળવાનું  આશ્વાસન લીધું. શરીર ઘણું નખાઇ ગયેલું પણ ઉષ્મા બરકરાર. " હવે ઘણું સારું છે " આટલું બોલતાય શ્રમ પડતો હોય એવું મને લાગ્યું. " મમ્મી , બા-ફોઈ , દાદી ને કહેજે કે હવે મને સારું છે થોડું વધારે સારું થાય એટલે મળવા માટે ફોન કરીશ ' મેં ' મેસેજ આપી દઈશ' કહી ને રજા લીધી . જોશી કાકા ને પોતાની માંદગી વિષે ક્યાય ચર્ચા થાય એ જરાય ન ગમે એટલે બહુ ઓછાને એમની માંદગીની ગંભીરતા વિષે માહિતી હતી .અમારી એ મુલાકાત છેલ્લી જ બની રહી . અમે એમના ફોનની  રાહ જોતા રહ્યા અને એ તો મિસકોલ પણ માર્યા વગર અનંત યાત્રા એ ચાલી નીકળ્યા . કદાચ ઉપરથી પપ્પા એ તો ફોન નહિ કર્યો હોય ને કે " પ્રબોધ , આવી જજે " !!!!

(૧૮મી નવેમ્બરે જોશીકાકાની અંતિમ વિદાય ને  એક વર્ષ પૂર્ણ થશે ....)

Desai Shilpa ..

Saturday, September 7, 2013

પાતળા ....... સુક્ક્લકડી ....સાઠેકડી .....પવનપાવડી ......પેન્સિલ .....etc ....etc ..!!!!




ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ . જ્યોતીન્દ્ર દવે ખુબ જ પાતળા હતા . એવું કહેવાય છે કે એકવાર એ માંદા  પડ્યા અને એમના કોઈ સબંધી ખબર જોવા  આવ્યા તો જ્યોતીન્દ્ર્ભાઈએ પથારીમાંથી ઉભા થઈને કોટ પહેરી લીધો . પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતીન્દ્ર્ભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો : " તમે મને બરાબર જોઈ શકો એટલે માટે "

હમણાં હમણાં બધે ઝીરો ફિગર  , સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સ નો જબરદસ્ત વાયરો વાયો છે . આ વાયરાની શગ સંકેરી હોય તો The કરીના કપૂર અને The શાહરુખ ખાને . બને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં .એ પછી ગલીકુચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટીશીય્ન કલીનીક દેખાવા માંડ્યા . દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે . અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ .તો છાપામાં છપાતી મહિલાપુર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં  થઇ ગયા . લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા . ઘંટીવાળાઓએ બાપજન્મારા માં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો . ફળફળાદી માં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રુટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે " ઘેર કોઈ માંદુ છે ?" અથવા તો ફળફળાદી  તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘર માં માનભેર સ્થાન પામતા થઇ ગયા .

જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકશાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતા ને સુપેરે સમજાઈ ગયું છે .મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધી ઉપાધિઓ પજવે છે
એટલી પાતળા હોવાથી નથી પજવતી . ઉદાહરણ તરીકે બસ ,ટ્રેન માં મુસાફરી કરતી વખતે  પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ  આરામથી ગોઠવાઈ શકે છે . ટ્રેનમાં બે સીટ વચ્ચે  કે પેસેજ માં બેગો મૂકી હોય એના પર " એ તૂટી જશે તો ? " એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે  . જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને  " કેટલી જગ્યા રોકે છે ?" એવા મૌન કે છાના ઘૂરકિયા નો સામનો કરવો પડતો નથી . ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતીયા હોય જ . આ પંચાતીયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરો અંદર ઘુસુરપુસુર કરે કે " ખબર નહિ કઈ ઘંટી નો લોટ ખાય છે " પણ પાતળીયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે

 બીજો મહત્વનો ફાયદો કપડામાં થાય . જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ . પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી -  મળી તો રહે જ .   જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય ( અથવા રહી જાય ) કે ભર વરસાદમાં છત્રી કે રૈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે . રૂમ માં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મુકવું પડશે નહિતર એ ઉડી ને ભીતમાં ભટકાશે કે શું ?

પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે . શૈક્ષણિક શિબિરો  દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને 30-35 રોટલી , 10-15 મોહન થાળના ચકતા કે 3 ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - I repeat ઝાપટતાં નજરે નિહાળ્યા છે . એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય  સાથે , શાક , ભાત  ...  છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પિવે  જ .   છાશ દૂધ પીવા માટે તાંસળું  જ ઉચકે

ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળીયા ઓ માટે પણ નામાવલી હાજર છે ,  દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લીમ - ટ્રીમ  ને વણમાગ્યે ભેટ મળી જાય . અગરબત્તી , ફૂટ્ટપટ્ટી , સોટી , સાઠેકડી , પાતળી  પરમાર , પવન પાવડી , ખડમાકડી , હાડપિંજર  , હાડકાનો માળો , સ્કીની વગેરે વગેરે . મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયો માં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ન પૂછીને ભોઠા પાડી દીધા કે : " એક્સરે પાડવાનો છે કે ફોટો ?"  શરમ ના માર્યા એ ભાઈએ તો પછી અખાડા , જીમ વગેરે વગેરે માં બોડી બનાવાવાના ભરપુર પ્રયત્નો આદરેલા  અને જરાતરા અંશે સફળ બી થયેલા .

શાદી  બ્યાહના મામલામાં પણ પાતળીયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે . મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મુરતિયો / કન્યા સ્લીમ - ટ્રીમ જ જોઈતા હોય છે . તો ઘરમેળે કે સગા-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . " જો જો હો છોકરો / છોકરી  જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે " જો કે એકવાર એક બહેન નું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણ  માં છે . આ બહેન ડાયીટીશિય્ન પાસે ભરાઈ પડેલા . ડાયીટીશિય્ને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ . એમની નાજુક હોજરી ડાયેટ નો ભાર સહન નાં કરી શકી . સરવાળે બહેન પથારીમાં થી ઉભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય .    

નટરાજ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળીયા / પાતળી ઓને વા-વંટોળ માં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ . વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકો ને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખુબ જ વધારે રહે છે .

પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ last but not least - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઉચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન  કરવાની આવતી  નથી . વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રીસીટી પણ ઓછી વપરાય  છે અને એ રીતે પર્યાવરણ નું પણ જતન થાય છે

ટુકમાં કહેવું હોય તો વજનદાર થવા કરતા વજનહીન થવામાં વધારે દમ છે .
બાકી  , ' તારી વાકી રે પાઘલડીનું ફૂમતું  રે ..મને  ગમતું રે ..હું તો કહું છું પાતળીયા તને અમથું રે ......."  આવું રોમેન્ટિક ગીત જાડિયા સાવરિયા પર લખાયું છે કોઈ દિવસ ?????  

-Desai Shilpa  
( काક્ભટ્ટની ડાયરીમાંથી ) 

Friday, July 19, 2013

TWO ...

                           -------------------------1-----------------------




માનનીય વિજયભાઈ,

કુશળ મંગલ?સેમ હિઅર ..
તમે જણાવ્યું હતું એમ આ સાથે એરોપ્લેન સાચવવાની ટીપ્સ મોકલું છું .અમલમાં મુકજો. 
આભાર. 
કાક.


સૌ પ્રથમ એરોપ્લેનને બીયર થી બરાબર ધોઈને લુછી લો. 
એરોપ્લેનના બારી બારણા ખુલ્લા કરી દો. પાયલટ કેબીનમાં ફ્રન્ટ વિન્ડો પણ ખોલી નાખો. જેથી બીયર વ્હીસ્કી ની વાસ આવતી બંધ થઇ જાય  
બની શકે તો બધી સીટ્સ પણ છૂટી કરી ને એકવાર તડકે મૂકી દો. 
બે દિવસ પછી બધી સીટ્સ પાછી યથાસ્થાને મૂકી બારી બારણા બંધકરી દેવા. 
હવે એરોપ્લેનને કવર કરી દો. કવર માટે પ્લેનના લાઈફ જેકેટ્સ ઉપયોગમાં લઇ લેવાય. 
બારી બારણા બંધ કરતા પહેલા પ્લેનમાં સારી કંપનીનું એર ફ્રેશનર છાંટવા નું ભૂલાય નહી. 
દર ત્રીજા દિવસે પ્લેનની બેટરી ને સેલ મારવો જેથી બેટરી ઉતરી ના જાય. 
પ્લેન સ્ટાર્ટ ન થાય તો આપણે જે દેવીદેવતામાં માનતા હોઈએ તેનું ત્રણવાર જોરથી સ્મરણ કરવું. દા. ત. જય માતા દી..કે પછી હર હર મહાદેવ...વગેરે વગેરે
દર પંદર દિવસે એરોપ્લેન બીયરથી ધોવું જેથી પ્લેનની ચમક જળવાઈ રહે. 
બસ વિજયભાઈ, અત્યારે તો આટલું ધ્યાન રાખશો તો ય તમારા સફેદ હાથી સચવાઈ જશે. તેમ છતાંય, જો તમને પ્લેન સાચવવાની તકલીફ પડે તો એક એક  પાર્ટ છૂટો કરીને અમારા અમદાવાદમાં ગુજરી બજારમાં વેચી મારજો. આ ગુજરીબજાર રીવર ફ્રન્ટ પાસે જ ભરાય છે. અમારા નિષ્ણાતો આ પાર્ટ્સનો ભંગાર " વિજયી આકર્ષણ " ના નામે રાઈડ મૂકી દેશે. 


સીડ અને અનુના છમકલા કહેતા લફરાઓ વિષે વાંચીને તમને યાદ કરીએ છીએ.  

હા,બીજી મહત્વની વાત ..મહેરબાની કરીને આ મેઈલનો રિપ્લાય ગુજરાતીમાં ન આપશો..તમે હમણાં નવરી બજાર છો તો તમને આવાં ગતકડાં સુઝશે પણ હમ નવરે નહી હૈ ..ટાઈમ વેસ્ટ હમકો પરવડતા નહી હૈ.તમારું લખેલું ગુજરાતી સમજવા માટે ડિક્શનરી કઈ લેવી એ સમજણ પડતી નથી ..માટે તમે ઇન્ગ્લીસમાં જ લખજો ..

અસ્તુ.
Yours truly,
Kak.
                              --------------------2--------------------

Dear Kak,

Received your mail..ammazing man...really very useful tips to keep an aeroplane up to date .
I have instructed my staff to follow these tips ..though I am "navri bajaar" as u rightly said ..i also keep an eye on the whole system .
Nothing more to pen . News papervalas and other media literally chase me wherever i go as if they are vodafone network puppy ..fed up of all these damn bloody stuff. Once upon a time i was very much fond of this type of publicity but now the scenario is not the same . Every other day they find my faults without fail and put me in the weird situation .. Cant bear this now .. U won't believe but sometimes even I learn  from the media about my scams!!!  
Sid is fine and doing fair with his deals ..he would surely earn more name and fame ..
Ok ..i think i wrote too much..need some energy drink and a proper rest ..
See you soon ..
Yours lovingly,
VJey..

Tuesday, July 16, 2013

બહારગામ જાવ છો ?????



તમે બહારગામ જવા માટે સામાન બાંધતા હો એ જોવા છતાં પણ .." તમે બહારગામ જાવ છો ? " એવું પૂછનારા 100% તમને પણ ભટકાયા જ હશે . તમારામાં હોશિયારી ભારોભાર ભરી હોય,  સામેવાળાને એ ખબર પણ હોય તેમ છતાય સામાન કેમ વ્ય્વશ્થીત પેક કરવો એ વિષે સલાહ સૂચનો આપનારા પણ મળ્યા જ હશે ....આવા હિતેચ્છુઓને જુદી જુદી કેટેગરી માં વહેચી શકાય :

1. ખણખોદીયા હિતેચ્છુ  :

આ પ્રકાર ના હિતેચ્છુઓને તમારા બહારગામ જવા વિષે જ નહિ પણ તમારા બહારગામના A - to - Z કાર્યક્રમોની વિગતો જાણવામાં પણ બેહદ રસ હોઈ છે ને જોવાની ખૂબી એ છે કે તમે એને જે પણ details આપો એમાં લાલા અમરનાથની જેમ expert comment ફટકારે જ ....ક્યારેક તમને તમારા બુદ્ધિ આંક વિષે સંદેહ જાગે એ હદ સુધી માનસિક ત્રાસ ગુજારે 

2. જસ્ટ - ટુ -નો ટાઈપ હિતેચ્છુ  :

આ પ્રકારના હિતેચ્છુ તમારી બહારગામની વિગતો - - તારીખો હોટેલો વગેરે વિષે શક્ય એટલું વધુ જાણવાનો પ્રયત્ન કરે અને કહે કે ' જસ્ટ - ટુ -નો "...." જસ્ટ - ટુ -નો' .  આ જસ્ટ - ટુ -નો માં તમારો મોટાભાગનો પ્રવાસ કવર થઇ જાય ....

3. તારણહાર હિતેચ્છુ:

તમે બહારગામ ક્યાં જવાનાં છો એ જાણ્યા  પછી ફટ્ટ કરતાંક ને એ સ્થળ પર રહેતા પોતાના સગા વાહલા ની ગણતરી કરાવી દે . અને ઉમેરે .. " કઈ પણ જરૂર હોય તો બોસ્સ બિન્દાસ આમનો કોન્ટેક્ટ કરજો ....આપણું  નામ દેજો તમતમારે ...." આ તારણહાર હિતેચ્છુ મનમાં એ પણ જાણતા હોય છે કે આપણે કી ફોન બોન કરવાના નથી જ નથી . કદાચ એટલે જ કહ્યું હોય માત્ર છાકો પાડવા કે ઈમ્પ્રેસ્સ કરવા . એમ પણ બને કે જે તે સગા વહાલા સાથે એમને પણ કોઈ ખાસ સંબંધ ના હોય . હા માત્ર સંપર્ક પુરતી માહિતી હોય એમ બને ...

4. MBA - મને બધું આવડે ટાઇપ હિતેચ્છુ :

આ કેટેગરીના હિતેચ્છુઓ સૌથી વધારે ખતરનાક હોય છે . એ તમારા ટીકીટ બુકિંગ , હોટેલ બુકિંગ માં કઈ કરાવી શકતા નથી પણ તમે મહા મહેનતે પેક કરેલી બેગો ધરાર ખાલી કરાવે જ .  " અમે US ગયેલા ત્યારે બધાની બેગો મેં જ પેક કરેલી ...' કે પછી ..... " મારે તો એના પપ્પા ને વારે વારે બહારગામ જવાનું થાય અને બેગ પેક કરવાનું તો મારે માથે  જ આવે  એટલે આમાં આપણી ભયંકર માસ્ટરી આઈ ગઈ છે .પુછાઈ જોજો કોઈનેય .".. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી બધી જ મહેનત એમની માસ્ટરી આગળ પાણી ભરે ....ને બેગો ખોલાવ્યે  જ છૂટકો કરે .

5. હેલીકોપ્ટર હિતેચ્છુ :
હેલીકોપ્ટર જોયું છે ને ? ...ઉપર પંખો ફર્યા કરતો હોય ....એક્જેટલી એ જ રીતે આ પ્રકારના હિતેચ્છુઓ તમારી ઉપર જ ફર્યા કરે ..જ્યાં સુધી બેગો બહાર રીક્ષા કે કાર માં મુકાય ના જાય ત્યાં સુધી એમની રેકર્ડ ચાલે . ક્યારેક તો બેગો મુકાય જાય પછી પણ એમની ક્વેશ્ચન બેંક ખુલેલી જ હોય ..information desk પણ સતત update થયા કરે ..!! "...ટીકીટ કીધી ? ....પૈસા લીધા ?  ...સાચવજો હો એ બાજુ ચોરીનો ઉપદ્રવ જરા વધારે છે . અમારે થયેલું એવું એકવાર .... આપણા મનમાં ચોરભાઈ  માટે લીટરલી માં થઇ આવે કે આટલી ચોક્કસ ને   ને પણ લુટી  લીધી ? સામાન ફટાફટ વાહન માં મૂકી ને આપણે ડ્રાઈવર ને કહીએ કે  ..." ફટાફટ ભગાવ ભાયલા ....બહુ મોડું થઇ ગયું .."  થોડીવાર રહીને પાછળ પણ જોઈ લઈએ કે હેલીકોપ્ટર પાછળ તો નથી આવતું ને ક્વેશ્ચન બેંક લઇ ને.... 

સાર  : ગમે એવા હોશિયાર .....ચાલાક ....ચતુર હિતેચ્છુઓ તમને મળ્યા હોઈ ...પણ જરૂર પડ્યે તમને તમારી જ વિવેકબુદ્ધિ કામે લાગતી હોઈ છે . પછી વારેતહેવારે આપણે આપણો અનુભવ અન્યત્ર હિતેચ્છુ બનીને સત્યનારાયણ ના શીરાની જેમ બહુજનાય લાભાર્થે વહેચીયે છીએ . વહેચીયે છીએ ને ? ...... સાચું બોલજો .......


- શિલ્પા દેસાઈ

(काકોપનિષદમાંથી)